પ્રભુ પ્રેમે કરી પધારો,
મારા મનમંદિરમાં આવો... પ્રભુ.
ઝગમગ ઝગમગ જ્યોત જલે છે, ધૂપ સુવાસિત સારો;
વીણા ને કરતાલ મિલાવી રાતદિન કરું હું પુકારો... પ્રભુ.
આંખલડી આતુર છે મારી, અમૃતને વરસાવો;
દર્દ હૃદયમાં આગ જગાવે, આલિંગનથી ટાળો !... પ્રભુ.
બહુબહુ દિનથી વાટ નિહાળું, વાર હવે ન લગાડો;
મંદિર મારું છેક જ સૂનું, મિલનનું બીન બજાવો... પ્રભુ.
અંતર્યામી તમે, તો વધારે વાતો કેમ લખાવો,
નવજીવન દો, મૃતને સ્નેહે સંજીવની લગાવો... પ્રભુ.
- શ્રી યોગેશ્વરજી