જે પરમાત્માને જાણે એ અમૃતરસને માણે,
જે અંદર દષ્ટિ વાળે,
વિષયોના રસને મારે,
તે કૃતાર્થ થાયે પ્રીત કરીને
પરમાત્માના ધ્યાને ... જે પરમાત્માને.
ના પ્રલોભને અટવાયે,
સિદ્ધિમાં કદી ફસાયે,
તે મક્કમ મનથી ધપે ધ્યેય પ્રતિ
એક અલૌકિક તાને ... જે પરમાત્માને.
જ્યોતિમાં જ્યોત સમાયે,
બુદ્ બુદ્ વારિમાં વિલાયે,
સંગીત તણો સ્વર શમે છેવટે
શાંત સનાતન ગાને ... જે પરમાત્માને.
- શ્રી યોગેશ્વરજી (કાવ્યસંગ્રહ 'આરતી' માંથી)