if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
પ્રશ્ન : આધ્યાત્મિક વિકાસ માટે દીક્ષા જરૂરી છે ?
ઉત્તર : આધ્યાત્મિક વિકાસ માટે ગુરૂની દીક્ષા અનિવાર્યરૂપે આવશ્યક છે એવું નથી સમજવાનું. એના સિવાય પણ આધ્યાત્મિક વિકાસના માર્ગે આગળ વધી શકાય છે. સદગ્રંથોનું વાંચન, ચિંતન, મનન, પ્રાર્થના, નામજપ, ધ્યાન, આત્મનિરીક્ષણ, આત્મવિચાર, વ્યસનત્યાગ, એ બધું આત્મવિકાસનો સાધક, ધારે તો પોતાની મેળે જ કરી શકે છે. એને માટે દીક્ષાની આવશ્યકતા છે જ એવું નથી. દીક્ષાની ઈચ્છા હોય અને એ ના મળી હોય તો પણ એની રાહ જોઈને બેસી રહેવાની જરૂર નથી. સાધનાત્મક અભ્યાસક્રમમાં અમુક અવસ્થાએ પહોંચ્યા પછી દીક્ષાની આવશ્યકતા લાગે તો તેની વાત જુદી છે. તેવા સાધકોને માટે દીક્ષા જરૂરી છે એવું કહી શકાય.

પ્રશ્ન : ગુરૂ શિષ્યને કેવી રીતે દીક્ષા આપે ?
ઉત્તર : એનો આધાર ગુરૂની વ્યક્તિગત ઈચ્છા પર રહેતો હોય છે. સામાન્ય રીતે એવું કહી શકાય કે ગુરૂ શિષ્યને સંકલ્પ માત્રથી, સ્પર્શથી, શબ્દથી કે વાણીથી દીક્ષા આપે. સંકલ્પ તો સર્વાવસ્થામાં કાર્ય કરે છે. ગુરૂ સમીપ હોય કે દૂર હોય તો પણ પોતાનું કાર્ય કરતા હોય છે. દેશકાળનાં અંતર એમને નથી અડતાં. એ સ્થૂલ રીતે શ્વાસ લેતા હોય કે સૂક્ષ્મરૂપે રહેતા હોય તો પણ પોતાની પ્રવૃતિ કરતા હોય છે. એથી કશો ફેર પડતો નથી. કોઈવાર એ મંત્ર આપે છે, કોઈવાર સદુપદેશ પ્રદાન કરે છે, કોઈવાર ધ્યાનની વિધિ બતાવે છે, તો કોઈવાર શાંત અથવા મૂક રીતે મદદ પહોંચાડે છે. એમની કાર્યપધ્ધતિ ખૂબ જ વિલક્ષણ હોય છે. એ પોતાની શકવર્તી ઐતિહાસિક અસર ઊભી કરે છે.

પ્રશ્ન : વિધિપૂર્વક દીક્ષા લીધા સિવાય સાધકે કરેલા મંત્રજપ ફળે કે ના ફળે ?
ઉત્તર : શા માટે ના ફળે ? દીક્ષા લીધા સિવાય પણ કરાયેલા મંત્રજપ પોતાનું કામ કરે છે ને ફળે છે, નકામા નથી જતા. કેટલાક સાધકોએ વિધિપૂર્વક દીક્ષા લીધા સિવાય શ્રદ્ધાભક્તિથી સંપન્ન બનીને મંત્રજપ, ધ્યાન, આત્મવિચાર અને પ્રાર્થનાનો પરમકૃપાળુ પરમાત્મા પર નિર્ભર રહીને આધાર લીધો છે અને સિદ્ધાવસ્થા તથા શાંતિની સંપ્રાપ્તિ કરી છે. દીક્ષા વગર એમનું આત્મિક અભ્યુત્થાનનું કલ્યાણકાર્ય અટક્યું નથી. મંત્રજપ તો જે પણ કરે છે તેને, જ્યારે પણ કરે છે ત્યારે લાભ પહોંચાડે છે. તે વિધિપૂર્વકની દીક્ષાની અપેક્ષા રાખવાને બદલે શિક્ષા અથવા સમજ, પ્રેમ અથવા ઉત્કટતા, લગન અને એકાગ્રતાની આકાંક્ષા રાખે છે. એમની સફળતાનો આધાર મુખ્યત્વે એવી આંતરીક સૂક્ષ્મ ગુણવત્તા કે યોગ્યતા પર રહેતો હોય છે. એની પાછળ ઈશ્વરની કૃપાનું પરમ પ્રેરક પીઠબળ હોય છે. એટલે સર્વ કાર્ય સરળ બની જાય છે. બીજી કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી રહેતી.

ઈશ્વરની શરણાગતિ, પ્રેરણા અને અસાધારણ અલૌકિક અનુગ્રહવર્ષા જ દીક્ષા થાય છે. પ્રત્યેક સાધકે સમજી લેવાનું છે કે માનવ શરીર મળ્યું, સદબુદ્ધિ સાંપડી, અને મન ઈશ્વરાભિમુખ બનવા માંડ્યું એટલે ઈશ્વરની દૈવી દીક્ષા મળી ગઈ. આત્મોન્નતિના મંગલ માર્ગે વળેલો કોઈપણ સાધક - પરમાર્થનો કોઈપણ પ્રવાસી એ દીક્ષાથી વંચિત નથી.
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.