if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
પ્રશ્ન : જગતના સુધારને માટે તમે ખરેખર આશાવાદી છો ? મને તો લાગે છે, અને મારી માન્યતા સાથે કેટલાય સૂર પૂરાવે છે જગતનો સંપૂર્ણ સુધાર કદાપિ નહી થઈ શકે. એ દિશામાં થનારા પ્રયત્નો અધૂરા જ રહેવાના ને નિષ્ફળ જવાના.
ઉત્તર : મારો દૃષ્ટિકોણ એટલો બધો નિરાશાવાદી નથી. જગતનો સંપૂર્ણ સુધાર કદાપિ ના થઈ શકે તેમ હોય તો પણ એ દિશામાં થનારા સઘળા પ્રયત્નો પ્રસંશનીય અને આવકારદાયક છે. એ પ્રયત્નોને આપણે વધાવી લઈએ છીએ. આપણું અને સૌનું કર્તવ્ય માનવ તરીકે બીજાને ઉપયોગી થવાનું છે. એ કર્તવ્યનો અનાદર કેવી રીતે કરી શકાય ? એના પ્રત્યે આંખમીંચામણાં કરવાને બદલે એનું જેટલું પણ પાલન કરી શકાય એટલું કરવા માટે તૈયાર રહેવાનું છે. બીજાની સેવા તથા સુધારણાના નાના મોટા બધા જ પ્રયાસો અધૂરા રહેશે તો પણ તદ્દન નિષ્ફળ તો નહિ જ જાય. એવા પ્રયત્નો કરનારને કર્તવ્યના અથવા માનવોચિત કર્તવ્યના પ્રામાણિક પાલનનો સંતોષ સાંપડશે. બધા જ માનવો પોતાની જાતને એવા પ્રામાણિક કર્તવ્યપાલનમાં લગાડી દે તો સંસારનું સ્વરૂપ મોટા પ્રમાણમાં સુધરી જાય.

પ્રશ્ન : જગતના સુધારની ચિંતા જગતના કર્તા ઈશ્વરને જ સોંપીએ તો ? ઈશ્વર એનો સુધાર કરવા માટે શક્તિશાળી નથી ?
ઉત્તર : છે, પરંતુ એ કામ કેવળ ઈશ્વરને શા માટે સોપવું જોઈએ ? સમાજ, રાષ્ટ્ર, અને સંસાર પ્રત્યે માનવની પોતાની પણ જવાબદારી છે. શિક્ષિત, સમજુ, સેવાભાવી માનવને બીજાને ઉપયોગી થવાની ઈચ્છા થાય છે, એ આવકારદાયક છે. એ ઈચ્છાનો અમલ કરવા માટે એ સ્વતંત્ર છે. એ ઈચ્છા એની ઉદારતા, નિસ્વાર્થતા તથા સેવાભાવનાની સૂચક છે, એ એની માનવતાની સાક્ષી પૂરે છે. ઈશ્વર પોતે તો જે કાંઈ કરવાનું હશે તે કરશે જ, પરંતુ માનવે પણ પોતાની રીતે કાંઈક કરી છુટવું જોઈએ. એ પોતાના કર્તવ્યને ભૂલીને સાધનસામગ્રી અને શક્તિ હોવા છતાં લમણે હાથ મૂકીને અકર્મણ્ય કે પ્રમાદી બનીને બેસી રહી શકે નહિ. કર્તવ્યનો કલ્યાણકારક સેવાયજ્ઞ ક્ષણે ક્ષણે ને સ્થળે સ્થળે ચાલુ રહે અને સર્વત્ર પોતાની સુવાસ પ્રસરાવે એ આવશ્યક છે. કર્તવ્યનિષ્ઠ સેવાવીરોની સંખ્યા વધતી જાય એ ઈચ્છવા યોગ્ય છે.

પ્રશ્ન : સંસારમાં અસંખ્ય સેવાવીરો થઈ ગયા અને આજે પણ થતા જાય છે. તમને એમને લીધે સંસારમાં સુધારો થયો હોય એવું લાગે છે ?
ઉત્તર : એમને લીધે સુધારો નહિ થયો હોય તો પણ બગાડો તો નથી જ થયો એ તમે જરૂર સ્વીકારશો. ઉત્તમ ભાવનાથી પ્રેરાયેલું સેવાકાર્ય કે કલ્યાણકાર્ય કદી નકામું જતું નથી. એ અવશ્ય ફળે છે. સેવાકાર્ય કરનાર પોતાનું કર્તવ્ય જ બજાવે છે ને કર્તવ્યના સમ્યક્ અનુષ્ઠાનમાં આનંદ માને છે. એ પણ એટલું જ સાચું છે કે સુધારો સદા ધીરે થાય છે. એની ગતિ મંદ હોય છે, છતાં પણ હોય છે ચોક્કસ. કેટલીકવાર એની પ્રગતિ એટલી બધી મંદ અને સૂક્ષ્મ હોય છે કે બહારથી એનું દર્શન પણ નથી થતું. તો પણ એ ભૂગર્ભમાં પોતાનું કામ કર્યા જ કરે છે. સંસારમાં આજે જે થોડુંક પણ સત્વશીલ, શુભ અને સુંદર દેખાય છે તે એવા પરગજુ, 'પરહિત સરિસ ધરમ નહીં ભાઈ' - ની ફીલસૂફીમાં માનનારા કલ્યાણમૂર્તિ સેવાવીરોને જ આભારી છે. એનું શ્રેય એમને ફાળે જાય છે. એમના પુરુષાર્થ વિના જગતની અવસ્થા કેટલી બધી કરુણ અને કંગાળ હોત તેની કલ્પના સહેલાઈથી કરી શકાય તેમ છે.

પ્રશ્ન : એનો અર્થ એમ કે અમારે પણ અન્યની સેવા કરવી જોઈએ ?
ઉત્તર : તમે એવો સારાંશ ગ્રહણ કરી શકો છો. એથી તમારું અને અન્યનું શ્રેય સધાશે. આપણે જીવનભર બીજાની સેવા દ્વારા જ મોટા થઈએ છીએ. આપણું જીવન પારસ્પરિક મદદ અથવા વિનિમયના આધાર પર જ ચાલે છે. તો પછી એ જીવન દ્વારા આપણે પોતે પણ બીજાને કાંઈક નક્કર એવું આપી જવું જોઈએ. સૌ કોઈ વાવ, કુવા કે પરબનું નિર્માણ ના કરી શકે, પણ તરસ્યાના મુખમાં પાણી તો રેડી શકે. અન્નક્ષેત્રો ના ખોલી શકે પણ ભૂખ્યાંને ભોજન તો આપી શકે. અધિક અથવા અલ્પ પ્રમાણમાં અન્યને ઉપયોગી થવાનું મૂલ્ય ઘણું મોટું છે. એ ભાવનાને સેવવા તથા સાકાર બનાવવા બનતું બધું જ કરી છુટવું જોઈએ.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.