ભયની ભૂતાવળો મને ભયભીત ના કરી શકે,
હે અભયંકર !
ભયની ભૂતાવળો મને ભયભીત ના કરી શકે.
વિઘ્નોનાં વાદળ ચારેકોર પથરાઈ ગયાં હોય તો પણ,
એમને જોઈને મારું અંતર અવસાદથી આવૃત ના બને,
હે પ્રસન્નતાપારાવાર !
અંતર અવસાદથી આવૃત્ત ના બને.
જાણું છું, જીવનમાં ઝેર છે, જડતા છે,
નથી એકલું અમૃત કે ચેતન;
પરિતાપના પાવકથી પ્રજ્વલિત એનો પથ
સદા સારું શાન્તિકારક, સુખદાયક નથી હોતો :
જયની સાથે પરાજય, વહાલની સાથે વેદના,
સંપત્તિની સાથે વિપત્તિ, માનની સાથે અપમાન,
યોગની સાથે વિયોગ, એમાં તાણા ને વાણાની પેઠે વણાયેલાં છે.
એમાં અનુકૂળતાની પળો કરતાં પ્રતિકૂળતાની પળો વધારે આવે છે :
છતાં પણ એ પળો મને પીડિત-પથચ્યુત ના કરે,
હે પરમ પ્રેમ, પરમ ધ્યેય, પરમ પ્રકાશમય !
એ પળો મને પ્રમાદી ના કરે :
તારા, તેં આપેલા, જીવન પ્રત્યેના રસને, મારા સ્વત્વને, ના હણે,
મારું મન એથી નિરાશ નીરસ ના બને.
- શ્રી યોગેશ્વરજી