તારી આ વ્હાલથી ભરેલી વીણાને તું તારા જ કામમાં લે !
એને તારા હેતાળ હૈયે લગાવી લે;
આનંદનાં આંસુથી - સુવાસિત સુંદર સુમનથી સજાવી દે,
ને અંતઃપુરમાં બેસીને તારી જ રાગરાગિણીથી ભરી દે.
તારી આ વહાલની વસંત જેવી વીણાને તું તારા જ કામમાં લે !
તારા વિના એને બીજું કોઈ પણ સ્પર્શ ના કરે,
ને કોઈનાય અંતરને એ આલિંગન ના ધરે;
કેવળ તારી મિલકત, તારું જ હૃદય ને જીવનસર્વસ્વ બની રહે;
ઓ મારા રસેશ્વર ! એ જ આશીર્વાદ દે.
તારી આ વહાલથી ભરેલી વીણાને તું તારા જ કામમાં લે;
હા, કોઈકના દિલની દુનિયાની તે દેવી થાય,
કોઈક જડ જીવનને જગવી જાય;
કોઈનાં આંસુમાં એનાથી આનંદનું ઈન્દ્રચાપ ઊભું થાય,
કોઈની પ્રેરણા, પગદંડી ને છાયા થાય;
કોઈના સૂના નીરસ સંસારમાં
એનાથી સંગીતની સૂરાવલિ ઊભી થાય !
તો તું એને વગાડી લે, વારંવાર વગાડી લે,
ને જી ભરીને બજાવી દે !
પણ એને તાન તો તારું જ રહે;
તારા વિના એ ના કૈં જુએ, ના સુણે !
- શ્રી યોગેશ્વરજી