સાચા સંતની સંગત સેવીએ રે,
સંતની સંગતે મળશે શ્યામ.
શ્રીચરણોમાં મસ્તક મેલીએ રે,
કરીએ તન-મન-ધન કુરબાન....સાચા...
સંતનું સ્મરણ ઉરમાં ધારીએ રે,
ધરીએ મુખખંડળનું ધ્યાન....સાચા...
કરીએ સેવા શ્રદ્ધાભાવથી રે,
જ્ઞાનપીયૂષનું કરીએ પાન...સાચા...
અંતે દર્શન કરાવે દેવનાં રે,
પ્રસન્ન બનતાં દે વરદાન....સાચા...
MP3 Audio
રચના સમયના મનોભાવો
સાચા સંતની સંગતને પ્રભુકૃપાએ મળેલી અમૂલ્ય ભેટ ગણી શકાય એ અમૂલ્ય ભેટ મને પણ પૂજ્ય શ્રી યોગેશ્વરજીના સ્વરૂપે મળી ગઈ.
એ સમર્થ સંતના શરણે કઈ રીતે રહી શકાય અને એ રીતે શરણાગતિ ભાવે રહીએ તો શું પામી શકાય, એનો પ્રત્યુત્તર આ પદમાં મળશે.
સાચા સંતના સેવનથી જ શ્યામ પણ મળે છે. એ હકીકતનો સ્વીકાર આ પદમાં જોવા મળશે.
સંતના શરણે થતી સરળ ને સહજ સાધનાથી સંત પ્રસન્ન થઈ જાય તો જીવનનું સર્વોત્તમ ધ્યેય પણ સરળતાથી પૂર્ણ થઈ જાય છે.
મારી સાધનાનો એ જ અભિગમ હતો અને એ રીતે કોઈ પણ સાધક આગળ વધી શકે એવી મારી શ્રદ્ધા છે.
સર્વસમર્પણ સંતના ચરણે કરી તો જુઓ. પ્રભુ જરૂર કૃતકૃત્ય ધન્ય બનાવી દેશે.