અંતર ધીરજ કેમ ધરે ?
તમારા વિના બેચેન બન્યું,
નિત્ય વિલાપ કરે;
અંગારામાં જલી રહ્યું છે,
કેમ ત્રિતાપ ટળે ? ... અંતર.
શાંત બનીને ક્યાંથી બેસે,
કેમ નિરાંત વળે ?
સુખનો શ્વાસ લભે શી રીતે,
શેં આનંદ મળે ? ... અંતર.
અંગ સુશોભિત મોહભરેલું
માનવ કો’ક કરે,
પરંતુ આરોગ્ય વિના એને
શેં સૌન્દર્ય મળે ? ... અંતર.
અથવા પ્રાણ વિના કાયાથી
હેતુ ન લેશ સરે;
તમારા વિના અંતર એવું
રડતાં મૂક મરે ! ... અંતર.
વિહ્વલ બનતાં આલાપે છે
નિશદિન સ્નેહસ્વરે;
‘પાગલ’ પ્રાણ મળે જો એને
તો વિશ્રાંતિ વળે ... અંતર.
- © શ્રી યોગેશ્વરજી