Sunday, May 26, 2013
   
Text Size

નિવેદન

ભૂતકાળની સ્મૃતિ લગભગ દરેક માણસને થયા કરે છે. વીતી ચૂકેલા જીવનના મીઠા પ્રસંગોને લાંબા સમય સુધી ને વારંવાર યાદ કરીને માણસ તેમાંથી આનંદ, પ્રેરણા, પ્રકાશ, શાંતિ ને નવજીવનનું ભાથું મેળવે છે. માનવજીવન અતિ મૂલ્યવાન છે. તેનું ખાસ પ્રયોજન છે. તેમાં ભારે શક્તિ ને શક્યતા રહેલી છે. દેહધારી માનવને એની અલ્પતાનો અંત લાવી અને એને વધારેને વધારે ઉચ્ચ તથા ઉજ્જવળ બનાવી એને પરિપૂર્ણ કરવાની તક મળેલી છે. અંધકારને દૂર કરી, અસત્ય અને મૃત્યુના આવરણને હઠાવી દઇ, તેને જ્યોતિર્મય, સત્યમય અને અમૃતમય કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. તે માટે તેણે પ્રયાસ કરવાનો છે. પ્રકાશના પંથના એ પ્રવાસનું એણે અવારનવાર અવલોકન કરવાનું છે ને ધ્યેય સિદ્ધ ન થાય ત્યાં સુધી જાગ્રત રહીને આગળ ને આગળ ધપવાનું છે.

પ્રકાશના પંથના આલેખનનું આ કાર્ય એકમાત્ર ઇશ્વરની ઇચ્છાથી થઇ રહ્યું છે. જીવનને પૂર્ણ, મુક્ત ને પ્રભુમય બનાવવા માટે થયેલી સાધનાની આ કથા પ્રામાણિક અને વાસ્તવિક છે. એ કેટલાક બુદ્ધિજીવી કે બુદ્ધિ પર જ નિર્ભર રહેતા માણસોને કૈંક અચરજમાં મૂકી દેશે, કેટલીક વાર શંકાશીલ તો કેટલીક વાર ઊંડા વિચાર કરતા કરી દેશે. જીવનને પ્રભુપરાયણ કરવાની ઇચ્છાવાળા માણસોને કે પ્રકાશના પંથે પ્રવાસ કરનારા સાધકોને આમાંથી કંઇ ને કંઇ ઉપયોગી સામગ્રી અવશ્ય મળી રહેશે. પથભ્રાંત કે હતાશ થયેલા સાધકોને આમાંથી માર્ગદર્શન ને નવજીવનની સુખદ સામગ્રી સાંપડશે. સંસારના આધ્યાત્મિક વારસામાં એ રીતે થોડોઘણો પણ વધારો થશે તો લેખનનો પરિશ્રમ કૈંક અંશે સાર્થક થયેલો મનાશે.

નાનપણથી મને રોજનીશી લખવાની ટેવ હતી. અને તે ટેવ ઉપકારક લાગવાથી લાંબા વખત સુધી ચાલુ રહી. એટલે જીવનનું અવલોકન કરીને તેનું શબ્દોમાં સરવૈયું કાઢવાની મારી પ્રિય પ્રથા, ઇશ્વરી પ્રેરણાનો પુરસ્કાર પામીને જાણે કે આત્મકથાના રૂપમાં પરિણમી રહી છે. એ પરથી કોઇએ એમ નથી સમજવાનું કે વીતી ગયેલ જીવનની બધી જ વાતોને આમાં સમાવી લેવામાં આવી છે. અહીં તો જે વાતો લખવા જેવી લાગી તે જ અને જે સાધનાત્મક અનુભવો જાહેર કરવા ઠીક લાગ્યા તે જ રજૂ કર્યા છે. વધુ તો આ કથા પોતે જ કહેશે.

 

Today's Quote

Constant dripping hollows out a stone.
- Lucretius 
10.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Translate

Who's Online

Now 53 guests online

View site in