કૃષ્ણભક્તિનું અનન્ય ઉદાહરણ બની રાજસ્થાનને અમર કરનાર મીરાંબાઈ (૧૪૯૮-૧૫૪૭)નો જન્મ મેડતાની ધરતી પર જોધપુર પાસે ચૌકડી ગામમાં થયો હતો. એમના પિતાનું નામ રત્નસિંહ હતું. મીરાં એના દાદા દુદાજી પાસે મોટી થઈ હતી. જેમની પાસેથી એને ગળથૂથીમાં કૃષ્ણભક્તિ મળી હતી. બાળ મીરાં કૃષ્ણની મૂર્તિ સાથે અનોખા ભાવબંધનથી બંધાઈ હતી. જ્યારે મીરાં ઉદયપુરના મહારાણા ભોજરાજ સાથે લગ્નગ્રંથિથી બંધાઈ હતી ત્યારે એ સાંવરા કૃષ્ણની મૂર્તિને સાથે લઈ ગઈ હતી. ભલે શરીરથી એ રાણા સાથે પરણી હતી પરંતુ મનઅંતરથી તો એણે ભગવાન શ્રીકૃષ્ણ સાથે સાત ફેરા ફરી નાખેલા. એથી રાજમહેલ એને માફક ન આવ્યો.
ઘેલી મીરાંની સાન ઠેકાણે લાવવા એના સાસરિયાઓએ જાતજાતના પ્રયત્નો કરી જોયા, ત્રાસ આપી જોયો, વિષ આપી મારી નાખવાની પણ કોશિશ કરી પણ રામ રાખે તેને કોણ ચાખે - ના ન્યાયે મીરાંબાઈ બચી ગયા. ત્રાસ અને સિતમની વચ્ચે એનો કૃષ્ણપ્રેમ છાપરે ચઢી બોલવા લાગ્યો. પતિનો દેહાંત થતાં મીરાં બાળવિધવા બની. જ્યારે મીરાંની દિવાનગી રાજપરિવારની હદોને પાર કરી ગઈ ત્યારે તેણે મહેલનો ત્યાગ કર્યો અને તીર્થાટન કરવા નીકળી ગઈ. માર્ગમાં તેને લોકોનો અપાર પ્રેમ અને આદર મળ્યા. ઘણાં લાંબા સમય સુધી વૃંદાવનવાસી બનીને રહ્યા પછી આખરે દ્વારિકામાં મીરાંબાઈ ભગવાનની મૂર્તિમાં સમાઈ ગઈ.
મીરાંબાઈ સંત રહિદાસને પોતાના ગુરુ ગણતી હતી. મીરાંબાઈની ભક્તિની વિશેષતા એ હતી કે ભગવાન કૃષ્ણને પતિ ગણી પ્રેમ કરતી હતી. એમની રચનાઓમાં એ દિવાનગી જોઈ શકાય છે. ગુજરાતી ભાષાને એમણે કેટલાય સુંદર કૃષ્ણભક્તિ પદો આપ્યા છે. જો કે એમના બહુધા પદો રાજસ્થાની મિશ્રીત હિંદી ભાષામાં અને વ્રજભાષામાં લખાયેલા છે. કૃષ્ણભક્તિની અનોખી ઉંચાઈ હાંસલ કરનાર મીરાંબાઈના કેટલાક પ્રસિદ્ધ પદો અહીં પ્રસ્તુત કર્યા છે.