પ્રશ્ન : જ્ઞાનમાર્ગમાં વિવેકનું સ્થાન ઘણું મહત્વનું માનવામાં આવ્યું છે. પરંતુ વિવેકની પ્રાપ્તિ કેવી રીતે કરી શકાય ?
ઉત્તર : સંતશિરોમણિ તુલસીદાસે રામાયણમાં કહ્યું છે કે ‘બિનું સત્સંગ વિવેક ન હોઈ’ એટલે કે સત્સંગ સિવાય વિવેકની પ્રાપ્તિ નથી થતી. એ ઉક્તિમાં વિવેકની પ્રાપ્તિના મુખ્ય સાધન સત્સંગ તરફ અંગુલિનિર્દેશ કરવામાં આવ્યો છે. વિવેક સત્સંગથી થઈ શકે છે એ સંપૂર્ણ સાચું છે.
પ્રશ્ન : સત્સંગ એટલે શું સમજવું ?
ઉત્તર : સંતપુરુષોના સમાગમને સત્સંગ કહેવામાં આવે છે. એ ઉપરાંત સદ્દગ્રંથોના શ્રવણ, વાંચન તથા મનનને પણ સત્સંગ તરીકે ઓળખવામાં આવે છે.
પ્રશ્ન : વિવેક અથવા વિવેકજન્ય જ્ઞાનની પ્રાપ્તિ માટેનો બીજો કોઈ માર્ગ છે ખરો ?
ઉત્તર : એને માટેના બીજા બે માર્ગ છે. એક તો ઉપાસના અથવા ભક્તિ દ્ધારા પરમાત્માની પરમ કૃપાનો ને બીજો યોગસાધનાનો. એ બંને માર્ગોનો ઉલ્લેખ ગીતામાં કરવામાં આવ્યો છે :
तेर्षा सततयुक्तानां भजतां प्रीतिपूर्व कम् ।
ददामि बुद्धियोगं तं येन मामुपयान्ति ते ॥
तेवामेवानुकंपार्थ महमज्ञानजं तन: ।
नासयांमयात्मभावस्यो ज्ञानदीपेन भास्वता ॥
પોતાના જીવનને મારી સાથે સતત રીતે જોડનારા ને મને પ્રેમપૂર્વક ભજનાર ભક્તોને હું બુદ્ધિયોગ આપું છું, જેથી તે મને મેળવી લે છે. એમની ઉપર કૃપા કરીને એમના હદયમાં જ્ઞાનનો પ્રકાશયુક્ત પ્રદીપ પ્રકટાવીને હું એમના અજ્ઞાનરૂપી અંધકારનો અંત આણું છું.
અને યોગનો માર્ગ બતાવતાં કહેવામાં આવ્યું છે કે જ્ઞાન જેવો પવિત્ર પદાર્થ સંસારમાં બીજો કોઈ જ નથી, અને યોગમાં સિદ્ધ થયેલા સત્પુરુષને સમય જતાં એની પ્રાપ્તિ પોતાની અંદરથી આપો-આપ થઈ રહે છે. એ સંબંધી શ્લોક આ રહ્યો:
न हि ज्ञानेन सदृशं पवित्रमिह विद्यते ।
तत्स्वयं योगसंसिद्ध: कालेनात्मपि विंदति ॥
પ્રશ્ન : Transcendental meditation એટલે શું ?
ઉત્તર : Transcendental meditation નો સામાન્ય અર્થ દેહાતીત અથવા અતીન્દ્રિય ધ્યાન કરી શકાય પરંતુ બરાબર વિચાર કરતાં સમજાશે કે ધ્યાનની ક્રિયા છેવટે તો અતીન્દ્રિય અવસ્થાની અનુભૂતિની જ ક્રિયા છે. ધ્યાન દ્ધારા ધીમે ધીમે અન્નમય, મનોમય, પ્રાણમય, વિજ્ઞાનમય અને આનંદમય કોશથી ઉપર ઊઠીને, એમની સીમાઓને ઓળંગી જઈને, આત્મામાં સ્થિતિ કરવાની હોય છે. એટલે ધ્યાનને Transcendental કહેવાની આવશ્યકતા નથી. એ હોય છે જ Transcendental. એને Transcendental કે અતીન્દ્રિય કહેવાથી કાંઈક એવું કહેતાં હોઈએ એવો ભ્રમ ઊભો થાય છે. એવા ભ્રમને પોષવાની કે વધારવાની જરૂર નથી લાગતી. ધ્યાનને કેવળ ધ્યાન કહીએ એટલું પૂરતું છે. એમાં એનો સારાંશ સમાઈ જાય છે.
પ્રશ્ન : તો પછી ધ્યાનના એવા ભેદ શા માટે પાડવામાં આવે છે ?
ઉત્તર : એવા ભેદ શા માટે પાડવામાં આવે છે તે તો તે ભેદને જે પાડતા હોય તે જ જાણે. એવા ભેદ પાડવાનું જરા પણ જરૂરી નથી. ધ્યાનના એવા આધાર વિનાના ઉપરછલ્લા ભેદ પાડવાથી લોકોમાં ધ્યાનની કોઈક નવી વાત કરી રહ્યા હોઈએ એવી ખોટી ભ્રાંતિ પેદા થાય છે. એથી ધ્યાનની કે ધ્યાન કરનારા સાધકોની કોઈ સેવા થાય છે એવું મને નથી લાગતું.