પ્રશ્ન : સ્પૃહા કે લાલસા સુખકારક છે કે દુ:ખદાયક ? એ રાખવી કે ના રાખવી જોઈએ ? કર્મ સ્પૃહા થઈને કરવા કે સ્પૃહારહિત બનીને ? એ બધું વિસ્તારથી સમજાવશો ?
ઉત્તર : કોઈ પણ પ્રકારની સ્પૃહા કે લાલસા હોવી એ દુઃખનું કારણ છે. એમાંથી ઘર્ષણ, બેચેની, સ્પર્ધા કે અશાંતિ પણ જન્મે છે. માતા-પિતા પુત્રનું પાલન કરે છે ને સ્વાભાવિક રીતે જ ઈચ્છા રાખે છે કે પુત્ર મોટો થઈને અમારું પોષણ કરશે. પરંતુ પરિસ્થિતિ એથી ઊલટી આવે છે ત્યારે એ કામના કે સ્પૃહા જ દુ:ખ અથવા સંતાપનું કારણ થઈ પડે છે. માણસ લોકસેવક બનીને સેવાના ક્ષેત્રમાં પડે છે ને સેવા કરે છે પણ ખરો, પરંતુ એની સેવા નિષ્કામ કે નિ:સ્વાર્થ નથી રહી શકતી, એટલે એની સેવા ધર્મ, કર્તવ્ય, ફરજ કે સ્વભાવ બનવાને બદલે શરતી બની જાય છે. વેપાર, વ્યવસાય કે વિનિમય થાય છે, ને સેવાની બદલામાં મેવા મેળવવાના અથવા તો પૈસા, પદ ને પ્રતિષ્ઠા મેળવવાનાં એ સ્વપ્નાં સેવે છે. એ સ્વપ્નાં સાચાં ના પડે તો ત્યાં સુધી એને દુ:ખ થાય છે. એ અશાંતિ અનુભવે છે. કેટલીકવાર કાવાદાવા પણ કરે છે, ને નીતિના નિયમોને નેવે મૂકે છે. એનું આખું જીવન જટિલ થાય છે, ડહોળાઈ જાય છે, ને સમાજને માટે પણ સમસ્યારૂપ થાય છે.
માટે જ મહાપુરુષોએ કહ્યું છે કે લાલસા તથા સ્પૃહાનો ત્યાગ કરો ને સેવાનું જે પણ કાર્ય કરો તે કોઈ પણ પ્રકારની પૂર્વશરત વિના, બને તેટલી નિષ્કામ રીતે, એક ધર્મ કે કર્તવ્ય માનીને કરો. એવી રીતે સેવા કરશો તો સંપત્તિ કે વિપત્તિ, હર્ષ અને શોક તથા નિંદા ને સ્તુતિમાં ચલાયમાન થયા વિના મનને સ્વસ્થ રાખી શકશો. સેવા દ્વારા તમે કેવાક પુરસ્કાર તથા પારિતોષિકની આશા રાખો છો ? બીજાને મદદરૂપ થવાથી તમારા અંતરાત્માને જે ઊંડી શાંતિ મળે છે તેમજ જીવનને સફળતાપૂર્વક જીવ્યાનો જે સંતોષ થાય છે તેથી વધારે સુંદર ને મૂલ્યવાન બીજો કયો પુરસ્કાર છે અને એથી ઉત્તમ બીજું કયું પારિતોષિક છે ? અંદરની સંતૃપ્તિ કે શાંતિ વગર બહારનાં પાર્થિવ પારિતોષિકો શું કામ લાગશે ? માટે રાખવી જ હોય તો જેની આગળ બીજાની વિસાત નથી એ ઉત્તમ આત્મિક પુરસ્કારની જ ઈચ્છા રાખો.