if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પ્રશ્ન : આ પંડિતજીએ કૃષ્ણ ને સુદામાની કથા કહી, તેમાં રસ આવ્યો. પણ તેનો સાર શો છે તે કહેવા કૃપા કરશો ?

ઉત્તર : પહેલાં ભક્તિની રીતે વિચારીએ. સુદામા વિશ્વાસપૂર્વક કૃષ્ણની પાસે જાય છે. એક રીતે કહો કે થોડા સમય પૂરતો તેને શરણે જાય છે. કૃષ્ણ ભઞવાન તેનો પ્રેમથી સત્કાર કરે છે. સુદામાના તાંદુલ પણ પ્રભુ ખાય છે ને તેમાં અજબ સ્વાદ અનુભવે છે. તાંદુલ એટલે પ્રેમની પ્રસાદી, ભલે તે શબરીના જેવી એઠાં બોરની જ હોય છતાં, પ્રભુને ખૂબ પ્રિય લાગે છે. સુદામાં જ્યારે કૃષ્ણની વિદાય લે છે ત્યારે કૃષ્ણે તેને કાંઈ જ આપ્યું નથી એમ તેને લાગે છે, પણ પ્રભુનું વિશ્વાસપૂર્વક લીધેલું શરણ કદી મિથ્યા થતું નથી એ વાત સુદામા ને ઘરે આવ્યા પછી સમજાય છે. પ્રેમભાવે ભગવાનનું શરણ લો તો તમારી બધી  જ  ઈચ્છા - પછી તે ભલેને લૌકિક સુખ કે સમૃઘ્ઘિ માટેની હોય કે પરમ જ્ઞાન કે નિર્વાણ માટેની હોય, પ્રભુ પૂરી કરે જ છે. એ અમુલખ ઉપદેશ સુદામાના ચરિત્રમાંથી આપણને મળે છે. માટે સાંસારિક દુઃખ ને દર્દથી હતાશ કે નિરાશ થવાને બદલે વિશ્વાસને જાગૃત રાખી હરેકે પ્રભુને યાદ કરવા જોઈએ, પ્રભુ ને શરણે જવું જોઈએ, ને પ્રભુ ને પ્રેમ કરવો જોઈએ. પ્રભુનો પ્રેમ કદાપિ નિષ્ફળ જતો નથી. તે આપણો તદ્દન નિકટનો સાથી, પ્રાણ, જે કૈં કહો તે છે. ને તેની તે આપણી સગાઈ આ જન્મ પૂરતી જ નહિ પણ જન્મજ્ન્માંતરની છે.

જ્ઞાનની રીતે આનો વિચાર કરવો હોય ને સાર લેવો હોય તો પણ લઈ શકાય છે. સુદામા ને કૃષ્ણ પહેલા ઘનિષ્ઠ મિત્રો હતા. પાછળથી તે છૂટા પડ્યા. એક પૃથ્વીપતિ થઈ ને બેઠો ને બીજો દરિદ્ર ને દુઃખી થયો. આ વાત શું કહે છે, ખબર છે ? સુદામા ને કૃષ્ણ એ જીવાત્મા ને પરમાત્માના રૂપક સમજો તો સહેલાઈથી સમજી શકાશે . જીવાત્મા ને પરમાત્મા એક હતા. તેમની વચ્ચે મિત્રતા હતી ત્યાં લગી અપાર આંનદ હતો. પણ જીવાત્મા પરમાત્માથી જુદો પડ્યો ત્યારથી દુઃખ શરૂ થયું. જીવાત્મારૂપી સુદામા સંસારમાં પડ્યો, સ્ત્રીપુત્રોની મમતામાં પડ્યો, ને તેના પરિણામે દીન, હીન, દરિદ્ર ને બેહાલ બની ગયો. પોતાની સ્ત્રીરૂપી ગુરુનો તેને ઉપદેશ મળ્યો ત્યારે તે સમજ્યો કે કૃષ્ણ જેવો મિત્ર છે તો તેની પાસે શા માટે ના જવું. તેને પોતાના સ્વરૂપનું-પરત્માનું મિલન કરવાની ઈચ્છા થઈ. જ્યારે તે પરમાત્મારૂપી કૃષ્ણની પાસે ગયો ને તેની લીલા જોઈ, તેમજ તેનો મહિમા જાણ્યો, ત્યારે તેનુ બધું દુઃખ દૂર થઈ ગયું, ને પરમાત્મા ને તેની વચ્ચેનું ભેદરૂપી અંતર ટળી ગયું એટલે તે પણ પરમાત્માની પેઠે જ ઐશ્વર્યવાન ને સુખી થઈ ગયો.

આ જ વાત ને ઉપનિષદ પોતાની અનોખી શૈલીમાં કહી બતાવે છે.

द्वा सुपर्णा सयुजा सखाया  समानं वृक्षं परिषस्वजाते ।
तयोरन्यः पिप्पलं स्वाद्वत्त्यनश्नन्नन्यो अभिचाकशीति ॥६॥
समाने वृक्षे पुरुषो निमग्नोऽनीशया शोचति मुह्यमानः ।
जुष्टं यदा पश्यत्यन्यमीशमस्य  महिमानमिति वीतशोकः ॥७॥

‘એક વૃક્ષ પર બે પક્ષી વાત કરે છે. તેમાંનુ એક ફળનો ભોગ કરે છે એટલે તેના સારા-નરસા સ્વાદથી તેને સુખદુઃખ થાય છે. જ્યારે તે બીજા પક્ષીને જુએ છે ત્યારે તેને તેના નિર્મમ નિર્વિકાર સ્વરૂપનું જ્ઞાન થાય છે, ને તે પણ નિર્મમ ને નિર્વિકાર બની દુઃખ ને શોકથી પર થાય છે.’

આ બે નાના મંત્રોમાં બહુ રહસ્ય ભરેલું છે. સુદામા ને કૃષ્ણ બેય આ શરીરરૂપી વૃક્ષમાં બેઠેલા જીવાત્મા ને પરત્મા છે. જીવાત્મા પરમાત્માથી દૂર છે, માટે દુ:ખી છે. પણ જ્યારે તે પરમાત્માનું શરણ લે છે, ને પરમાત્માના મહિમાને સમજે છે, ત્યારે તેનું બધું જ દુઃખ દૂર થઈ જાય છે. આ વાત કહી જાય છે કે બધા જ દુઃખોનું મૂળ કારણ સ્વરૂપના જ્ઞાનનો અભાવ છે ને સ્વરૂપના જ્ઞાનની જાગૃતિ થતાં, તેમાં પ્રતિષ્ઠા થતાં, માનવનાં બધા જ નાનામોટા દુઃખ ટળી જાય છે, ને તેને પરમ સુખ તેમજ શાંતિની પ્રાપ્તિ થાય છે. દુઃખ તેમજ શોકને દૂર કરવા સંસારની મમતા ને આસક્તિના બંધનો જ્ઞાનવિચાર દ્ધારા કાપી નાખી પરમાત્માના મિલનનો પરમ આંનદ પ્રાપ્ત કરવાની જરૂર છે.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.