કેવાં નમણાં નયન !
જાણે સુધાના સરોવરે સ્નેહનાં શયન.
કેવાં નમણાં નયન !
એમાં આશાની અખંડ જ્યોત જાગી ગઈ,
કોઈ વ્હાલની વર્ષાવેણુ વાગી ગઈ;
એવાં ગરવાં નયન, એવાં વરવાં નયન,
જાણે સુધાના સરોવરે સ્નેહનાં શયન.
કેવાં નમણાં નયન !
એને એકવાર અવલોકી લે જો જરી,
જાય સંપત્તિ સઘળી નીરસ તો થઈ;
એવાં ભરતી ભરેલાં રસીલાં નયન.
જાણે સુધાના સરોવરે સ્નેહનાં શયન.
કેવાં નમણાં નયન !
મળે મુજને તો પરવા કશીયે નહીં,
સ્વર્ગ વૈકુંઠ તીર્થ પછી ક્યાં કહીં;
એનાં રસમાં નહાયે નિરંતર નયન.
જાણે સુધાના સરોવરે સ્નેહનાં શયન.
કેવાં નમણાં નયન !
- શ્રી યોગેશ્વરજી