જંગલના આશ્રમમાં બે સાધુ પુરુષ જમવા બેઠા હતા. તેમની સામે બે કેરી પડી હતી.
મોટા સાધુને થયું, હું લીલી કેરી લઈ લઉં. કેમ કે બીજી પીળી કેરી વધારે પાકી છે. તે મીઠી હશે. મીઠી કેરી ભલે નાનો સાધુ ખાય. ને તેણે લીલી કેરી લઈ લીધી.
નાના સાધુને થયું, બહુ સારું થયું. મારે ભાગે મીઠી કેરી આવી. હું તો નાનો છું એટલે મને સારી વસ્તુ જ મળવી જોઈએ. મોટા સાધુએ આજ સુધી કેટલીય કેરી ખાધી છે. એને ક્યાં કેરીની નવાઈ છે!
બંને સાધુ કેરી ચૂસવા માંડ્યા. નાના સાધુએ કહ્યું: ‘અરે, મારી કેરી તો ખાટી છે, ખૂબ ખાટી છે!’
મોટાએ કહ્યું: ‘અરેરે, બહુ ખરાબ થયું. પણ પ્રભુની મરજી. મારી કેરી તો અમૃત જેવી મીઠી છે!’
કેરીના એ અજબ સ્વાદનું કારણ કોઈની સમજમાં આવ્યું નહિ.
- શ્રી યોગેશ્વરજી