જ્ઞાન બે પ્રકારનું કહેવાય છે : બૌદ્ધિક જ્ઞાન અથવા શ્રવણ, વાંચન, મનનના પરિણામે પ્રાદુર્ભાવ પામેલું જ્ઞાન અને સ્વાનુભૂતિના પરિણામે સાંપડેલું જ્ઞાન. એક પરોક્ષ જ્ઞાન અને બીજું અપરોક્ષ જ્ઞાન. એક શાસ્ત્રોનું, ગ્રંથોનું અને બીજું પોતાનું, આચારમાં અનુવાદિત થયેલું જ્ઞાન. બંને પ્રકારના જ્ઞાન પરસ્પર પૂરક છે. સમાજમાં એ બંને પ્રકારના જ્ઞાનવાળા માનવો દેખાય છે. એક પ્રકારના માનવો સિદ્ધાંતો, આદર્શો, વ્રતો તથા નિયમોની કદી ખૂટે નહિ તેવી મોટી મોટી વાતો કર્યા કરે છે, અન્યને એમની ભલામણ કરે છે અને ઉપદેશ આપે છે, પરંતુ પોતાના જીવનમાં એમનો અનુવાદ નથી કરી શકતા. કેટલીકવાર તો એમના અનુવાદનો આગ્રહ પણ નથી સેવતા. એમને જે જ્ઞાન મળે છે તે એમનું પોતાનું નથી બનતું.
બીજા પ્રકારના માનવો બોલે છે ઓછું, પરંતુ કરવાનો આગ્રહ અધિક રાખે છે. એ સિદ્ધાંતો, આદર્શો તથા જીવનોપયોગી સ્વર્ણસંદેશાને વ્યક્તિગત જીવનમાં ઉતારવાનો અથવા આત્મસાત્ કરવાનો આગ્રહ રાખે છે. એવા માનવોનું મનોબળ અથવા આત્મબળ વધારે દેખાય છે. એમના જીવન બીજાને માટે ઉદબોધક અને પ્રબોધક બને છે. પ્રેરક ઠરે છે.
જીવનની સાચી શાંતિ અને સંવાદિતા, આદર્શો ને સિદ્ધાંતોનું પોપટ- પારાયણ કરનારાને નથી મળતી પરંતુ એમને અનુસરીને જીવનારાને મળી શકે છે. એમના જીવનમાં સ્થિરતા આવે છે એમની અંદર અસાધારણ અખૂટ આત્મબળનો આવિર્ભાવ થાય છે. એમની વાતો વિશ્વસનીય તેમજ વાસ્તવિક લાગે છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં 'જ્ઞાન વિજ્ઞાન સહિતમ્' શબ્દપ્રયોગ કરીને સૂચવવામાં આવ્યું છે કે, બોદ્ધિક જ્ઞાનનો અનુભવાત્મક અપરોક્ષ જ્ઞાન સાથે સમન્વય થાય છે ત્યારે જ્ઞાન સર્વાંગસુંદર, સંપૂર્ણ બને છે. તેવું જ્ઞાન સર્વ પ્રકારના અશુભ ભાવો, વિચારો, વ્યવહારોમાંથી વિમુક્તિ આપે છે. જીવનને નિર્મળ, નિર્ભય, નિર્લેપ, નિરહંકાર બનાવે છે અને અવનવો આકાર ધરે છે.
સમાજમાં બૌધિક પ્રતિભાસંપન્ન પુરુષો વધે એ આવરદાયક છે તો પણ અનુભવસિદ્ધ ઉદાત્ત જીવનવાળા સત્પુરુષો વધે એ સમાજની સુખાકારી, શાંતિ, સ્વસ્થતા, સમુન્નતિ અને સુદૃઢતાને માટે ખૂબ જ આવશ્યક છે. આપણે એવા જ જ્ઞાની નહિ, વિજ્ઞાની બનવાનો સંકલ્પ કરીએ.
- શ્રી યોગેશ્વરજી