તેના મસ્તક પર હાથ મૂકતાં વેંત, તેની કાયા પર કર ફેરવતાં વેંત,
તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી, ને કહેવા લાગી,
મારું દર્દ ભારે છે. એ વાતને જાણનાર હજી કોઈ મળ્યું નથી.
મારા પતિતપણાના પ્રસંગો હજી તમે જાણતા નથી,
નહિ તો મને પાસે પણ ના બોલાવત, બેસાડત, ને સ્નેહના શબ્દો પણ ભાગ્યે જ કહેત.
મેં કહેવા માંડ્યું : આટઆટલા પતનના પ્રસંગો છતાં આજે આ દર્દ છે,
આટઆટલા કાદવથી વીંટાઈને વસવા છતાં આજે કમલની કમનીયતા કાયમ છે,
એ શું બતાવે છે ? એ કાંઈ ઓછી વાત છે ?
પતન કરતાંયે પતનનું દર્દ મોટું છે, મૂલ્યવાન છે, ને મંગલમય છે.
તેને લીધે તમારો મહિમા મોટો થયો છે, ને તમારે માટે મારું માન વધી ગયું છે.
- શ્રી યોગેશ્વરજી