य एकोऽवर्णो बहुधा शक्तियोगाद् वरणाननेकान् निहितार्थो दधाति ।
विचैति चान्ते विश्वमादौ च देवः स नो बुद्ध्या शुभया संयुनक्तु ॥१॥
ya eko'varno bahudha saktiyogad
varanananekan nihitartho dadhati ।
vichaiti chante visvamadau cha devah
sa no buddhya subhaya samyunaktu ॥ 1॥
રૂપરંગથી અતીત તોયે કોઈ ગૂઢ પ્રયોજનથી,
શક્તિ વિવિધ પોતાની તેથી રૂપરંગ જૂદા ધારી,
જગતરૂપમાં પ્રકટે, ધારે જગત, જગત જે લીન કરે,
તે પરમાત્મા અદ્વિતીય, તે અમને મંગલ બુદ્ધિ દે. ॥૧॥
અર્થઃ
યઃ - જે
અવર્ણઃ - રૂપ, રંગ વગેરેથી રહિત હોવા છતાં પણ
નિહિતાર્થઃ - ગુપ્ત પ્રયોજનવાળા હોવાથી
બહુધા શક્તિયોગાત્ - વિવિધ શક્તિના સંબંધથી
આદૌ - સૃષ્ટિની શરૂઆતમાં
અનેકાન્ - અનેક
વર્ણાન્ - રૂપરંગને
દધાતિ - ધારણ કરે છે.
ચ - અને
અન્તે - આખરે
વિશ્વમ્ - વિશ્વ (જેમાં)
વ્યેતિ (વિ+એતિ) ચ - વિલીન પણ થઇ જાય છે.
સઃ દેવઃ - તે પરમદેવ પરમાત્મા
એકઃ - એક છે.
સઃ - તે
નઃ - અમને
શુભયા બુદ્ધયા - સદબુદ્ધિથી
સંયુનક્તુ - સંપન્ન કરે.
ભાવાર્થઃ
આ શ્લોકમાં સદબુદ્ધિની પ્રાર્થના કરવામાં આવી છે. જીવનમાં સદબુદ્ધિનું સ્થાન ખૂબ જ મહત્વનું છે. એના પર જીવનની સુખશાંતિનો ને સફળતાનો ઘણો મોટો આધાર છે. પરમાત્માની પ્રાપ્તિ માટે અથવા એમની પ્રાપ્તિની સંતોષકારક સાચી સાધનાના સમ્યક્ અનુષ્ઠાન માટે સદબુદ્ધિની અનિવાર્ય આવશ્યકતા છે. જે સત્યની દિશામાં દોરે તે સદબુદ્ધિ. ઋષિ પરમાત્માની પાસે સદ્ બુદ્ધિની પ્રાર્થના કરે છે તેમ આપણે પણ પ્રાર્થના કરીએ કે હે પ્રભુ ! હે પરબ્રહ્મ પરમાત્મા ! અમને દુર્બુદ્ધિમાંથી મુક્ત કરીને સદબુદ્ધિ આપો. એ પરમાત્મા રૂપ, રંગથી રહિત હોવાં છતાં પણ કોઇક વિશિષ્ટ અજ્ઞાત પ્રયોજનથી પ્રેરાઇને, વિભિન્ન શક્તિના સંબંધથી, સૃષ્ટિની શરૂઆતમાં જુદાજુદા અસંખ્ય રૂપરંગને ધારણ કરે છે, અને સૃષ્ટિને છેવટે એમની અંદર સમાવી લે છે. એમની પ્રાર્થના સર્વપ્રકારે શ્રેયસ્કર થઇ પડે છે.