તારા સનાતન સુધામય સ્નેહસુરમાને આંખમાં આંજીને આખીયે અવનીમાં ફરું છું; પછી મને ભેદભાવ ને દ્વેષથી ભરેલા દર્શનનો શો ભય છે ?
તારા પ્રેમભાવની ભસ્મને શરીરે ચોળીને વિશ્વમાં વિહરું છું; પછી મને વિશ્વનાં વાવાઝોડાંની, પૃથ્વીના પ્રલોભન ભરેલા પવનની, શી ફિકર છે ?
તારી પ્રસન્નતા ને પવિત્રતાના પતિતપાવન પ્રવાહનું પ્રતિક્ષણ પાન ને સ્નાન કરતાં, વધારે ને વધારે મુક્ત, મંગલમય, મસ્ત બનું છું; પછી મને બંધનની શી તમા છે ? મુક્તિની પણ શી પરવા છે ?
તારા જ્ઞાનના પ્રકાશથી પ્રકાશિત બનીને સંસારમાં શ્વાસ લઉં છું; પછી મને તિમિરની શી તમા છે, જડતાને જલાવી દેવાની પણ શી ચિંતા છે ?
-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)