મારા અંતરમાં એક તારું જ આસન છે. તારી જ આરાધનાના અમીમય અનવરત આલાપ ત્યાં થઈ રહ્યા છે. એમાં એક તારા જ અનુરાગનો અર્ણવ ઉછાળા પર ઉછાળા મારી રહ્યો છે.
મારા હૃદયમાં, રોમેરોમમાં એક તારું જ રાજ ચાલી રહ્યું છે. એક તારા જ રસનો રાસ રમાઈ રહ્યો છે. થઈ રહ્યું છે એકમાત્ર તારા જ નેહનું નિત્યનૂતન નર્તન. તારા જ સ્નેહસંગીત સભર, સુવાસિત મારો શ્વાસોશ્વાસ તારી મહાપૂજાની પદ્મપાંખડી બનીને પ્રસન્નપણે પુલકિત થઈને પ્રકટી રહ્યો છે.
મારા જીવનમાં તારા વિના બીજું છે જ શું ? તું જ છે મારું જીવન, મારું કવન, મારા શ્વાસનું સ્પંદન પણ તું જ છે.
મારા અનુરાગની અવગણના ના કરીશ. એથી તારા હૃદયને, રોમેરોમને રાગભર્યું કરીશ તો હું કૃતાર્થ થઈશ. એજ મારી આકાંક્ષા છે. મારા અનુરાગથી હું જન્મજન્માંતર લગી તારી અર્ચના કરીશ !
(૨૭-૩-૧૯૬૦, રવિવાર)
-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)