દિલ્હી આવનારા યાત્રીઓ અનુકૂળતા પ્રમાણે આગ્રા જવાનું તો પસંદ કરવાના જ. જમના નદીના પ્રવાહને લીધે પાવન દેખાતું આગ્રા એટલું બધું રમણીય તો નથી જ, છતાં આખી દુનિયામાં પ્રસિદ્ધ છે. દુનિયાના ભિન્નભિન્ન ભાગોમાંથી સૌન્દર્યપ્રેમી સ્ત્રીપુરુષો અહીં ઊતરી પડે છે એનું મુખ્ય કારણ, એ સૌના આકર્ષણ અને આગમનનું ખાસ કેન્દ્ર, ત્યાંની પેલી પ્રસિદ્ધ ઈમારત તાજમહાલ છે. પ્રવાસીઓ એને જોઈને મંત્રમુગ્ધ બને છે. સંગેમરમરની એ વિશાળ ભવ્ય ઈમારત શિલ્પકળાની દુનિયામાં અજોડ મનાય છે. દર્શકો એની મુક્તકંઠે પ્રશંસા કરે છે. શાહજહાંએ મુમતાજની પાછળ બંધાવેલું એ સ્મારક સમસ્ત સંસારનું સરસ સૌન્દર્યસ્મારક બની રહ્યું છે. એને કોઈએ ‘કરુણાની કવિતા’ કહી છે, તો કોઈએ એને ‘મધુરતાનું મહામંદિર’ કે ‘પ્રેમનું પ્રતીક’ માન્યું છે.
બાજુમાં વહેતી જમના એને જોવામાં લીન બની લાગે છે. તાજમહાલ આમ તો સુંદર છે જ, પરંતુ ચાંદની રાતે વધારે સુંદર દેખાય છે. એમાંયે જ્યારે પૂનમનો પૂર્ણ ચંદ્ર ખીલ્યો હોય ત્યારે તો એની સુંદરતા ને સુમધુરતા અનેરી હાય છે. એટલા માટે પૂનમની રાતે ઘણા મુસાફરો ત્યાં ભેગા થાય છે.
તાજમહાલને તૈયાર કરવા પાછળ કેટલું બધું ધન વપરાયું હશે, કેટલા બધા મજૂરોએ વરસો સુધી એકસાથે કામ કર્યું હશે, ને કેટલા બધા શિલ્પીઓએ સંયુક્ત રીતે એની યોજના બનાવી હશે એની તો કેવલ કલ્પના જ કરવાની રહે છે.
દયાલબાગ : આગ્રાની પાસે જ દયાલબાગ સ્થાન છે. તે રાધાસ્વામી સંપ્રદાયનું કેન્દ્ર ગણાય છે. એ સંપ્રદાયમાં થઈ ગયેલા સદ્દગુરુ સાહેબજી મહારાજે એ સ્થાનમાં સારા એવા સુધારાવધારા કરેલા. એ સ્થાનને કેવળ આત્મિક સાધનાનું કેન્દ્ર રાખવાને બદલે ત્યાં સત્સંગીઓની એક વિશાળ, આધુનિક સાધનસજ્જ, સ્વાશ્રયી વસતિ કરવાના નિર્ણયના અમલમાં એમણે અત્યંત અગત્યનો ફાળો આપેલો. ભારતમાં યોગીઓની શોધમાં આવેલા પોલ બ્રન્ટને એમની મુલાકાત લઈને એમના તથા દયાલબાગના સંબંધમાં પોતાના પ્રસિદ્ધ પુસ્તક ‘સર્ચ ઈન સિક્રેટ ઈન્ડિયા’માં ઘણો સારો અભિપ્રાય આપ્યો છે.
રાધાસ્વામી મતના અનુયાયીઓ આ સ્થળમાં વધારે આવે છે. એમને અહીંથી પથપ્રદર્શન ને પ્રેરણા મળે છે. વખતના વીતવા સાથે એ મતમાં માનનારાઓમાં ફાંટા પડ્યા છે. એમનામાંનો એક વર્ગ કેવળ આત્મિક ઉન્નતિને જ મહત્વની માને છે અને બાહ્ય પ્રવૃત્તિઓ તરફ રસવૃત્તિ નથી રાખતો, જ્યારે બીજો વર્ગ બાહ્ય પ્રવૃત્તિઓમાં રસ લેવાની સાથે સાથે આત્મિક વિકાસને પણ આવકારે છે. એને લીધે દયાલબાગના એક કેન્દ્રને બદલે આજે ત્યાં બે કેન્દ્રો દેખાય છે. ભક્તો અથવા અનુયાયીઓ પોતપોતાની પસંદગી ને રુચિ પ્રમાણે એમનો લાભ લે છે.
રાધાસ્વામી સંપ્રદાય મુખ્યત્વે એકાંત શાંત સ્થાનમાં બેસીને, કાનનાં છિદ્રોને બંધ કરી, અંદરથી સંભળાતા શબ્દના શ્રવણ પર વધારે ધ્યાન આપવામાં માને છે. એવી સાધના કરવાથી ક્રમેક્રમે અભ્યાસ વધવાથી મન સ્થિર ને શાંત થાય છે. નાદ-અનુસંધાનની એ સાધના ભારે ઉપયોગી, આશીર્વાદરૂપ અને પ્રાચીન છે.
એ મતમાં માનનારી એક બીજી સંસ્થા પંજાબમાં કપુરથલાથી થોડેક દૂર બિયાસ નદીને કાંઠે છે. ત્યાં પણ ભક્તો, પ્રશંસકો અને અનુયાયીઓ માર્ગદર્શન માટે જતા હોય છે.