Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તમારા વિના કોણ છે મારું ?
ક્ષણભંગુર સંસારે બીજું કોણ પ્રાણથી પ્યારુ ?...તમારા વિના.

કોણ સ્વજન ને સ્નેહી દિલની ગાઢ લાગણીવાળું,
માત તાત ને કોણ સખા છે, કોને માનું મારું ?...તમારા વિના.

કોને માટે મરી પડું ને કોને હૈયે ધારું ?
તમારા વિના કોણ પ્રેય ને પરમ શ્રેય કરનારું ?...તમારા વિના.

તજી તમારી પ્રીત, પ્રીત હું કેમ અન્યની પાળું ?
પરમ પ્રકાશ, તમારે તેજે જીવન કાં ન ઉજાળું ?...તમારા વિના.

પાલક તારક કોણ અન્ય છે ઉત્તમ તેમ રૂપાળું ?
સમર્થ કોણ તમારા સરખું ? દિલમાં કેમ ન ધારું ?...તમારા વિના.

તમારા થકી થઇ રહ્યું છે નીરસ જગ આ ન્યારું,
જડ જીવન ચેતનમય બનિયું પવિત્ર ને રઢિયાળું...તમારા વિના.

કોની પાસે જઉં, હૃદયને ખોલું ને પોકારું,
‘પાગલ’ કોને કાજ બનું તે સમજી લો તો સારું...તમારા વિના.

- શ્રી યોગેશ્વરજી


Add comment

Submit