if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
પ્રશ્ન : વર્તમાન સમયમાં તમારી દૃષ્ટિએ આત્મકલ્યાણ, આત્મવિકાસ અથવા આત્મશાંતિને માટેનું અકસીર, અમોઘ સર્વોત્તમ સાધન કયું છે ?
ઉત્તર : સૌથી સરળ, સહજ, સચોટ, સર્વોત્તમ સાધન પ્રાર્થનાનું છે.

પ્રશ્ન : પ્રાર્થનાનું ?
ઉત્તર : હા.

પ્રશ્ન : કેટલાક શાસ્ત્રો ને સંતોએ નામજપનો મહિમા વધારે કહ્યો છે અને નામસ્મરણના સાધનને વર્તમાન સમયને માટે સર્વોત્તમ કહ્યું છે.
ઉત્તર : નામસ્મરણનું સાધન પ્રાર્થનાથી અવિરોધી છે, છતાં પણ પ્રાર્થનાના સાધન પર જેટલો પણ ભાર મૂકીએ એટલો ઓછો છે. એ સાધન નવું નથી, સંસ્કૃતિના ઉષઃકાળથી શરૂ થયેલું છે. મોટા મોટા ભક્તોએ એમનાં કેટલાંક પદો કે ભજનોના રૂપમાં એમના અંતરના ભાવોની અભિવ્યક્તિ કરીને પરમાત્માની પ્રાર્થનાઓ જ કરી છે. એ દ્વારા પરમાત્માના અનુગ્રહને અનુભવવાની કોશિષ કરીને એમાં અલ્પ અથવા અધિક પ્રમાણમાં સફળતા પણ મેળવી છે. આજે પણ એ સાધનાનો આધાર લઈ શકાય છે. પ્રાર્થનાનું એક જ સાધન પૂરતું છે.

પ્રશ્ન : પ્રાર્થના કેવી રીતે કરવી ?
ઉત્તર : સહજ રીતે કરવી જોઈએ. પ્રાર્થના શ્લોકના રૂપમાં, ભજન કે ગીતના સ્વરૂપમાં, પોતાની ભાષામાં બોલીને અથવા મૂક રીતે મનમાં જ કરી શકાય, પરંતુ એ કરાવી જોઈએ સ્વાભાવિક રીતે. સ્વાભાવિક રીતે કરવામાં આવતી પ્રાર્થનાને પહેલાં થોડીક વાર લાગશે. એવી પ્રાર્થના પ્રાર્થનાનો સાચો પ્રેમ પ્રકટ્યા પછી પાછળથી થશે. આરંભમાં તો અસ્વાભાવિક અથવા કૃત્રિમ પ્રાર્થનાનો જ આધાર લેવો પડશે. એવી પ્રાર્થના પણ નકામી નહિ જાય. થોડો પણ લાભ કરશે જ.

પ્રશ્ન : પ્રાર્થના માટેનો કોઈ નિશ્ચિત સમય હોવો જોઈએ ખરો ?
ઉત્તર : હોય તો સારું છે. ખાસ કરીને શરૂઆતમાં પ્રાર્થનાનો ચોક્કસ સુનિશ્ચિત સમય રાખવામાં અને એને ખૂબ જ ચીવટપૂર્વક વળગી રહેવામાં આવે તો તેથી લાભ થાય છે.

પ્રશ્ન : કેવો લાભ થાય છે ?
ઉત્તર : પ્રથમ લાભ તો એ થાય છે કે મનને નિશ્ચિત સમયે પ્રાર્થના કરવાની ટેવ પડે છે. એ વખતે મન એને માટે તૈયાર રહે છે. બીજો લાભ મનની એકાગ્રતાનો છે. જેમ જેમ પ્રાર્થનાનો પ્રેમ વધે છે તેમ તેમ એકાગ્રતા વધે છે, સમયનો સદુપયોગ થાય છે અને માનસિક શાંતિ મળે છે. મન અથવા અંતર ભાવમય બને છે. નિયમિત રીતે નિશ્ચિત સમયે પ્રાર્થના કરવાની ટેવ પાડવાથી મન માટે પ્રાર્થનામાં જોડાવાનું સહેલું બને છે. મનમાં એક પ્રકારનો અંતરંગ પ્રવાહ પેદા થાય છે. એ પ્રવાહ આખરે કલ્યાણકારક ઠરે છે. પછી તો પ્રતિ પળે અને પ્રતિ સ્થળે પ્રાર્થના થયા કરે છે. એને માટે કોઈ નિશ્ચિત સમયની આવશ્યકતા રહેતી નથી. સમગ્ર જીવન પ્રાર્થનામય બને છે. પળે પળે પરમાત્મા પ્રત્યે પ્રવાહિત થાય છે.

પ્રશ્ન : પ્રાર્થના કરનારને જ્ઞાન કે ધ્યાનની આવશ્યકતા રહે છે ?
ઉત્તર : પ્રાર્થના કરનાર જ્ઞાન કે ધ્યાનની રુચિ રાખે અને જ્ઞાન કે ધ્યાનનો આધાર લે તો કશી હરકત નથી. એથી લાભ જ થાય છે. પરંતુ પ્રાર્થના કરનારને માટે એમનો આધાર લેવાનું અનિવાર્ય નથી. એ પ્રાર્થનાનો આધાર લે છે એટલું પૂરતું છે. પ્રાર્થનાની શક્તિ અને શક્યતા એટલી બધી અનંત છે કે એને લીધે જ્ઞાન તથા ધ્યાન આપોઆપ આવે છે. પ્રાર્થનાની મદદથી હૃદય સંવેદનશીલ અને ભાવવિભોર બનતાં ભાવ સમાધિની પ્રાપ્તિ આપોઆપ થાય છે, અને આત્મજ્ઞાનની આકાંક્ષા હોય છે તો તે પણ ઈશ્વરની કૃપાથી આપોઆપ મળી રહે છે.

રામકૃષ્ણ પરમહંસદેવ જગદંબાને રોજ પ્રાર્થના કરતા કે મા ! વેદોમાં, ઉપનિષદોમાં, ગીતા, રામાયણાદિ પુરાણ ગ્રંથોમાં જે કંઈ કહ્યું છે તેનું રહસ્ય મને તું જ બતાવી દે. મારામાં જ્ઞાન, ભક્તિ, યોગ, જપ, તપનો છાંટોય નથી. તારી અહેતુકી કૃપાનો જ મારે આધાર છે. કૃપા કરીને મને તારા દૈવી દર્શન આપ. એ પ્રાર્થનાના પરીણામે એમને 'મા'નું દૈવી દર્શન તો થયું જ પરંતુ સાથે સાથે એવું આત્મજ્ઞાન પણ મળ્યું કે એમના શ્રીમુખમાંથી આત્મજ્ઞાનનાં જે અસાધારણ રહસ્યો નીકળતાં એમને સાંભળીને એ જમાનાના મોટા મોટા પંડિતો અને વિદ્વાનો પણ આશ્ચર્યચકિત તેમજ મંત્રમુગ્ધ બની જતા. જ્ઞાનવિજ્ઞાનના શાસ્ત્રસંમત ગૂઢાતિગૂઢ રહસ્યોને એ ખૂબ જ સ્વાભાવિક સરળમાં સરળ સુસ્પષ્ટ ભાષામાં રજૂ કરતા. એ જ્ઞાનવિજ્ઞાનનું મૂળ પ્રાર્થનામાં અને એની દ્વારા વરસનારી 'મા'ની અલૌકિક કૃપામાં હતું. પ્રાર્થનાની શક્તિ એવી ચમત્કારિક છે. એનો લાભ કોઈપણ લઈ શકે છે.

પ્રશ્ન : પ્રાર્થના દ્વારા પરમાત્માનું દર્શન થઈ શકે ?
ઉત્તર : જરૂર થઈ શકે. પરંતુ પરમાત્માના દર્શન માટેની પ્રાર્થના ખૂબ જ પ્રામાણિક અને પ્રબળ હોવી જોઈએ. અંતરમા અંતરતમમાંથી થનારી પ્રેમપૂર્ણ પ્રાર્થનાના પરીણામે પરમાત્માનો પાવન પ્રેમ વધે છે, લગન લાગે છે, અને પરમાત્માના પરમ દિવ્ય દર્શનની ભૂમિકા તૈયાર થાય છે. પરમાત્માના સાક્ષાત્કાર માટે પ્રેમનું સાધન અકસીર અથવા અમોઘ મનાય છે.

પ્રશ્ન : પ્રાર્થના દ્વારા પરમાત્મા સાથે સંબંધ બંધાય છે ?
ઉત્તર : બાંધવો હોય તો જરૂર બંધાય છે. પ્રાર્થના એવી રીતે સેતુ બને છે.

પ્રશ્ન : કેવી રીતે ?
ઉત્તર : પ્રાર્થના કરનારને જ્ઞાત અથવા અજ્ઞાત રીતે પરમાત્માનું અવલંબન લેવું પડે છે. એ સમજે છે કે પરમાત્મા સર્વશક્તિમાન છે અને જે એમનું શરણ લે છે અને સ્મરણ કરે છે એની સદા રક્ષા કરે છે. એમને શાંતિ આપે છે તથા સહાયતા પહોંચાડે છે. પરમાત્માની પરાત્પર શક્તિમાં વિશ્વાસ રાખીને એ એમની આગળ આત્મનિવેદન કરતાં શીખે છે. અહર્નિશ અનુભવે છે કે આ જગતમાં, જીવનની જટિલ યાત્રામાં, પોતે એકલો નથી. પરમાત્મા પોતાની પડખે છે. એ પોતાને સહીસલામત રીતે આગળ વધારવા ને મદદરૂપ થવા સદા તૈયાર છે. અનુભવ વધે છે એમ એ પરમાત્મા તરફ વધારે ઢળે છે. એનો પરમાત્મા સાથેનો સંબંધ વધારે ને વધારે બળવાન બનતો જાય છે.
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.