if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
પ્રશ્ન : ભારત ધર્મપ્રાણ દેશ કહેવાય છે. એમાં અવતારી પુરુષો, સંતો, સદુપદેશકો, યોગીઓ, તપસ્વીઓ, સત્પુરુષો અને લોકસેવકોની અધિકતા હોવા છતાં આટલું બધું દુઃખ, અજ્ઞાન, આટલી બધી અનીતિ અને અશાંતિ કેમ છે ?
ઉત્તર : એનાં કારણો કેટલાંય હોઈ શકે છે. પરંતુ મહત્વનું કારણ પ્રજા, સંતો, સત્પુરુષો તથા સદુપદેશકોના માર્ગદર્શન મુજબ ચાલતી નથી, અને ચાલે છે તો અત્યંત અલ્પ પ્રમાણમાં ચાલે છે, તે છે. વૈદ ગમે તેટલી સારી દવા બતાવે, પરંતુ વ્યાધિગ્રસ્ત વ્યક્તિ તેનું સેવન જ ના કરે તો વ્યાધિ કેવી રીતે દૂર થાય ?

મારા પરિચયમાં એક સંન્યાસી મહારાજ હતા. તેમને પેટની અને બીજી તકલીફ હતી. એ એક જાણીતા સિદ્ધહસ્ત ડોક્ટર પાસે ગયા. ડોક્ટરે તેમને તપાસીને સારામાં સારી દવા આપી. એ દવા એમણે આભાર વ્યક્ત કરીને લીધી. ચાર-પાંચ દીવસ પછી અમે ફરવા નીકળેલા ત્યારે એ ડોક્ટર સામેથી આવતા દેખાયા. સંન્યાસી મહારાજ પાસે પહોંચીને ડોક્ટરે એમના સ્વાસ્થ્યના સમાચાર પૂછ્યા તો એમણે જણાવ્યું કે સ્વાસ્થ્ય સંતોષકારક નથી. એવું જ છે. દવા વિશે પૂછપરછ કરતાં એમણે કહ્યું કે દવા લેતો જ નથી. એમણે ડોક્ટરે આપેલી દવાની પડીકીઓ કફનીના ખિસ્સામાંથી કાઢીને ડોક્ટરને આપી દીધી. ડોક્ટરે બધી જ પડીકીઓ પર્વતની ખીણમાં ફેંકી દઈને કહ્યું કે દવા ખાવી નહોતી તો લીધી શા માટે ? મેં તમને મોંઘામાં મોંઘી ને સારામાં સારી દવા આપી તો પણ તમે તેનો ઉપયોગ ના કર્યો પછી દરદ કેવી રીતે જાય ?

હવે તમે મને ફરીવાર દવા આપવાનું કહેતા નહિ. દરદ દૂર ના થાય તો મને દોષ પણ ના દેતા. એટલું કહીને ડોક્ટર ચાલવા લાગ્યા. મોટાભાગની પ્રજાની દશા એ સંન્યાસી મહારાજ જેવી છે. એને ઔષધિના સેવનમાં રસ નથી. સત્પુરુષો અને સદુપદેશકો એને જીવનને શુદ્ધ, શાંત, સમુન્નત શક્તિશાળી બનાવવાની ઔષધિ બતાવે છે અને અહર્નિશ અવારનવાર બતાવે છે, પરંતુ એ ઔષધિના સમુચિત સેવનમાં કચાશ છે.

છેલ્લા કેટલાક વરસોમાં જ કેવા કેવા લોકોત્તર મહાપ્રતાપી મહાપુરુષો થઈ ગયા ? રામકૃષ્ણ પરમહંસદેવ, મહર્ષિ દયાનંદ સરસ્વતી, લોકમાન્ય તિલક, સ્વામી વિવેકાનંદ, સ્વામી રામતીર્થ, મહર્ષિ અરવિંદ, મહાત્મા ગાંધીજી. કોઈપણ દેશ એવા પરમ પ્રતાપી મહાપુરુષોને પ્રકટાવવા માટે ગૌરવ લઈ શક્યો હોત. ભારતે પણ એને માટે ગૌરવ અનુભવ્યું છે. પરંતુ એમણે ઉપદેશેલી સાર વાતોને પ્રજાએ પોતાના જીવનમાં સામુહિક રીતે ઉતારવાની આવશ્યકતા છે. એ પ્રવૃતિ જેટલા વધારે પ્રમાણમાં થશે તેટલી જ લાભકારક અને ઉપયોગી થઈ પડશે. એ દિશામાં પ્રયત્નો થઈ રહ્યા છે અને એમાં સફળ થવાની આશા છે.

પ્રશ્ન : ભારત સર્વતોમુખી વિકાસ સાધી, બધી બદીઓને દૂર કરી, દુનિયાના આગળ પડતા દેશોની હરોળમાં બેસી શકશે એવો તમને વિશ્વાસ છે ?
ઉત્તર : પૂરેપૂરો વિશ્વાસ છે. એને માટે અમે પ્રામાણિકપણે પ્રયત્નો કરી રહ્યા છીએ. અત્યારે દેશ વિકાસના તબક્કાઓમાંથી પસાર થઈ રહ્યો છે. એની બદીઓને દુર કરવાની કોશિશો કરાઈ રહી છે. વખતના વીતવાની સાથે એ કોશિશો સફળ થશે અને ભારત સંસારના સર્વશ્રેષ્ઠ દેશ તરીકે બહાર આવશે. એના માર્ગમાં અંતરાયો અથવા અવરોધો હોવા છતાં એમને પાર કરીને એ એનું નિર્માણ કરશે. એ સંબંધમાં મને કોઈ શંકા નથી. આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે એ એના નવનિર્માણ કાર્યમાં સંપૂર્ણપણે સફળ થાય.

પ્રશ્ન : ભારતના નવનિર્માણ કાર્યમાં એના સત્પુરુષોને કે સદુપદેશકોને રસ છે ખરો ?
ઉત્તર : છે. સત્પુરુષો કે સદુપદેશકોના અમુક વર્ગને એવો રસ ન હોય એટલે કાંઈ બધાને નથી એવું ના કહી શકાય. ભારતમાં સત્પુરુષો, સદુપદેશકો કે મહાપુરુષોનો એક મોટો વર્ગ એવો છે જે એની સુખાકારી, શાંતિ, સમુન્નતિ તથા સમૃદ્ધિમાં રસ ધરાવે છે અને એને માટે પોતાનાથી બનતા બધા જ પ્રયત્નો કરે છે. એમની કાર્યપદ્ધતિ જુદી જુદી હોવા છતાં એમનું ધ્યેય એક જ છે. ભારત પ્રત્યે સૌને એકસરખો આદર અને પ્રેમભાવ છે. ભારતીય સંસ્કૃતિની સમુન્નતિ માટે સૌ અભિરુચિ રાખે છે. સૌ એનું ગૌરવ ધરાવે છે. 


We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.