if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
પ્રશ્ન : આજકાલ મંદિરોમાં પણ ચોરી થવા માંડી છે. મંદિરોમાંથી કિમતી વસ્ત્રો, આભૂષણો અને પૈસા ચોરાવા લાગ્યા છે. એ છતાં એની વિરુદ્ધ ભગવાન કશું જ કરી શકતા નથી. એના પરથી શું એવું સાબિત થતું નથી કે કલિયુગમાં દેવીદેવતાનું કે ભગવાનનું દૈવત ઓછું થઈ ગયું છે ?
ઉત્તર : દેવીદેવતા કે ભગવાનનું દૈવત ઓછું નથી થયું, પરંતુ તમારી સમજશક્તિ ઓછી થઈ છે. શ્રીમંતોના મકાનોના દરવાજા પર દરવાન કે સંરક્ષક હોય છે તેમ તમે દેવી, દેવતા કે ભગવાનને મંદિરના દરવાન કે રખેવાળ માની બેઠા છો, કે તેમની જેમ તે પણ મંદિરની સઘળી સંપત્તિનું સંરક્ષણ કરે ?  દેવી, દેવતા કે ભગવાને તમારી પાસે કોઈ દિવસ વસ્ત્ર, આભૂષણ કે ધનવૈભવની માગણી કરી છે ? એમણે એવું પણ કહ્યું છે કે અમારે રહેવા માટે મકાન નથી. અમને મકાન અથવા આવાસની આવશ્યકતા છે માટે મંદિર બાંધો. તમારી ઈચ્છાથી પ્રેરાઈને તમે મંદિરને બનાવીને તેમાં વસ્ત્રાભૂષણોના શણગાર કર્યા છે. પછી દેવી, દેવતા કે ભગવાન એમની સંભાળ શા માટે રાખે ? એ કાંઈ કોઈના નોકર છે ? મંદિર, વસ્ત્ર, ધન અને આભૂષણમાં મમતા તો તમને છે. તેથી તમે તેમનું રક્ષણ કરો તે બરાબર છે. દેવી, દેવ કે ભગવાન તેનું રક્ષણ શા માટે કરે ?

એક મહાપુરુષ, ગુણાતીત કે સ્થિતપ્રજ્ઞ યોગીપુરુષ પણ પથ્થર, માટી તથા સોનાને સમદૃષ્ટિથી જુએ છે. કોઈ સિદ્ધ મહાપુરુષને ધનની કે ફળફૂલની ભેટ ધરવામાં આવે ને બીજી જ ક્ષણે તે ભેટને લઈ લેવામાં આવે તો પણ સિદ્ધ મહાપુરુષ તેનો વિરોધ કે શોક કરતા નથી. તો પછી જે ઈશ્વર અથવા દેવોના દેવ છે, તેમને કોઈ પણ લૌકિક કે પારલૌકિક પદાર્થની માયામમતા, તૃષ્ણા કે આસક્તિ ક્યાંથી હોય ? તમે એવી અપેક્ષા રાખો છો કે તમે જેમ ધન, ધરા, રમાને માટે લડો છો, મારો છો કે મરો છો, તેમ દેવ, દેવી કે ભગવાન લડે, મારે ને મરે ? તમે તેને ફળાદિ ધરો છો તેનો ને કોઈ તેને લઈ જાય છે તેનો તેમને સહેજ પણ હર્ષશોક નથી હોતો. એટલી વાતને સમજી લેશો તો સમજાશે કે દેવી, દેવનું કે ભગવાનનું દૈવત નથી ઘટ્યું કે નથી મટ્યું પરંતુ તમારી વિવેકશક્તિ ઓછી થઈ છે.

પ્રશ્ન : તમે મંદિરોના નિર્માણની તરફેણમાં છો કે વિરુદ્ધમાં ?
ઉત્તર : કેમ ?

પ્રશ્ન : મંદિરોની રચના વધતી જાય છે.
ઉત્તર : તેથી કોઈએ ચિંતાતુર શા માટે બનવું જોઈએ ? મંદિરોના નિર્માણની પ્રવૃતિ વધતી જતી હોય તો તેથી નાહક દુઃખી નથી થવાનું. દુઃખી થવાથી કે વિરોધ કરવાથી કોઈ ઉપયોગી હેતુ નહિ સરે. મહત્વનું કાર્ય તો મંદિરોને લોકસેવાનાં સાંસ્કૃતિક કેન્દ્રો બનાવવાનું અને જનહિતની વિવિધ પ્રવૃત્તિઓથી ધમધમતા ને મઘમઘતા કરવાનું છે. એમ કરવામાં આવે તો મંદિરો આશીર્વાદરૂપ અને ઉપયોગી થાય.

પ્રશ્ન : તમે કોઈ મંદિરોનું નિર્માણ કરવાના છો ?
ઉત્તર : મારી આગવી રીતે હું મંદિરનું નિર્માણ કરી જ રહ્યો છું. પંચમહાભૂતના હાલતાંચાલતાં માનવમંદિરોની માવજત કરતાં, એમનો મહિમા દર્શાવતાં, હું શ્વાસ લઉં છું. એ મંદિરોમાં મંદ પડેલા કે નામશેષ બનેલા સદબુદ્ધિના, શ્રદ્ધાભક્તિના દીપકને જગાડી, નવી શક્તિ ધરી, દેવોના દેવ આત્મદેવની આરાધના બતાવું છું, આરતી ઉતારું છું. એ મંદિરોના પુનરુધ્ધારની પ્રામાણિક પ્રવૃતિ કરું છું. મંદિરોના એવા નવનિર્માણથી, એને માટેના સતત સંનિષ્ઠ પ્રયાસથી, મને સંતોષ થાય છે.


We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.