if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
પ્રશ્ન : સમાધિની સિદ્ધિ થયે શું મળે છે ?
ઉત્તર : શું મળે છે એટલે ?

પ્રશ્ન : મારો પ્રશ્ન એ છે કે સમાધિમાં મન મળી જાય છે ત્યારે, કે તેના પરિણામે, કઈ કઈ વિશેષ વસ્તુઓની પ્રાપ્તિ થાય છે ?
ઉત્તર : સૌથી પહેલાં તો આત્મદર્શન થાય છે. એ થવાથી પરમશાંતિની પ્રાપ્તિ થાય છે; જે શાંતિની દરેક જીવ ઝંખના કરે છે, અને સાધક જેને માટે સાધનાનું આલંબન લે છે, તે શાંતિ સમાધિના પરમ પ્રદેશમાં પ્રવેશ કરવાથી સહજ બને છે. શરીરથી અલગ આત્માની અનુભૂતિ પણ શરીર જ કરાવી આપે છે. એ ઉપરાંત કેટલીક વિશેષ શક્તિઓની પ્રાપ્તિ - જેને સિદ્ધિ કહેવામાં આવે છે તેની પ્રાપ્તિ પણ વિકાસના ક્રમના પરિણામરૂપે સ્વાભાવિક રીતે જ થઈ રહે છે. આત્મદર્શનની ઈચ્છાવાળા સાચા સાધકો એવી સિદ્ધિઓની લાલસા નથી રાખતા. છતાં પણ એ સિદ્ધિઓ એમના માર્ગમાં આપોઆપ જ આવતી હોય છે.

પ્રશ્ન : સમાધિની સિદ્ધિને પરિણામે પ્રાપ્ત થનારી સિદ્ધિ, કોઈને પથચ્યુત કરી દે છે ખરી ?
ઉત્તર : પથચ્યુત થવાનો ભય સાધક જ્યાં સુધી કાચી દશામાં હોય છે ત્યાં સુધી જ છે. મન નિર્મળ થાય, ઈશ્વરમય બની જાય, અથવા તો સ્વરૂપના સાક્ષાત્કારમાં સહાયભૂત થાય, પછી તેવો ભય નથી રહેતો. પછી તો સાધક સંપૂર્ણપણે ભયમુક્ત બની જાય છે. પછી એને અષ્ટસિદ્ધિ ને નવનિધિની પ્રાપ્તિ થાય તો પણ શું ? એ સિદ્ધિઓ એને ચંચલ, ચલિત કે ભ્રાંતચિત્ત નથી બનાવી શકતી. એવી વિશેષ શક્તિ કેટલીક વાર એના જીવનમાં ઉપયોગી થઈ પડે છે. અને એવી શક્તિની મદદથી એ બીજા અનેકને મદદરૂપ બને છે.

પ્રશ્ન : આત્મદર્શનને માટે વિશેષ શક્તિ કે સિદ્ધિ અનિવાર્ય છે ખરી ?
ઉત્તર : બિલકુલ નહીં. આત્મદર્શનને માટે જે અત્યંત અનિવાર્ય છે, તે તો હૃદયની નિર્મળતા, દર્શનને માટેની તીવ્ર ધગશ, સતત પુરુષાર્થ અને સમાધિની અલૌકિક અવસ્થાની અનુભૂતિ છે. શક્તિ કે સિદ્ધિ એવી સાધના દ્વારા થતી એક સહજ પ્રાપ્તિ છે. કોઈને તે થાય, ને કોઈને ન પણ થાય; કોઈને સાધારણ કે અલ્પમાત્રામાં થાય, ને કોઈને વિશેષ માત્રામાં પણ આવી મળે. એનો કોઈ ચોક્કસ અથવા તો એકધારો નિયમ નથી.

પ્રશ્ન : સમાધિ સિવાય આત્મદર્શન ન થાય ?
ઉત્તર : સમાધિ સિવાય આત્મદર્શન કરી શકશો જ કેવી રીતે ? આત્મદર્શન માટે તમારી પાસે બીજું સાધન જ કયું છે ? આત્મદર્શનની અભિલાષાવાળા સાધકે ધ્યાન કે ધારણાની અંતરંગ સાધનાનો આધાર લઈને, સમાધિ સુધી પહોંચવું જ જોઈએ, કેમ કે સમાધિ જ એકમાત્ર એવું સાધન છે કે જે દ્વારા હૃદયપ્રદેશમાં રહેલા પરમાત્માની સાથે સીધો સંબંધ બાંધી શકાય. અંતરંગ સાધનાની ઉપેક્ષા કરીને કેવળ પુસ્તકોનું પારાયણ કરવાથી, કે ગમે તેટલી કુશાગ્ર બુદ્ધિ દ્વારા પણ આત્માને સમજવા-સમજાવવાથી, પરમાત્માનો સાક્ષાત્કાર નહિ થઈ શકે, ને પરમાત્માનું રહસ્ય પણ હાથમાં નહિ આવી શકે. જે પરમશાંતિની ઝંખના છે, તે પરમશાંતિ પણ દૂર જ રહેશે.

તમે નથી જોતા કે બૌદ્ધિક પ્રતિભાવાળા વિદ્વાનો, પંડિતો અથવા અધ્યાપકો અને આચાર્યોનો જગતમાં તોટો નથી, છતાં પરમાત્માના પ્રત્યક્ષ દર્શનથી તે વંચિત છે. મન તથા ઈન્દ્રિયો પર તેમનો કાબૂ નથી, ને પોતાની પ્રકૃતિના તે ગુલામ છે. પ્રકૃતિની એ ગુલામીમાંથી મુક્તિ મેળવીને મન અને ઈન્દ્રિયોની પારના પ્રદેશમાં માણસ સ્થિતિ કરે ત્યારે જ તે પરમાત્મદર્શી બની શકે છે, અને પરમશાંતિનો ઉપભોગ પણ ત્યારે જ કરે છે. એટલે સમાધિ સિવાય કોઈને આત્મદર્શન થઈ શકશે એવું ન માનતા અને તમારે જો આત્મદર્શન કરવું હોય તો, બીજી બધી ભ્રાંતિનો ત્યાગ કરીને, ધ્યાન ધારણા જેવી અંતરંગ સાધનાનો રસ કેળવવા કટિબધ્ધ બનજો. એ જ માર્ગ છે, સાધન છે, ઉપાય છે, એ લખી રાખજો.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.