if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
પ્રશ્ન : ગુરુપૂર્ણિમાનો મહિમા આટલો બધો કેમ લાગે છે ?
ઉત્તર : ગુરુ પ્રત્યેની શ્રદ્ધા, ભક્તિ તથા ભાવનાથી ભરેલા ભક્તોને લીધે.

પ્રશ્ન : એને ગુરુ સાથે સંબંધ છે ખરો ?
ઉત્તર : હા.

પ્રશ્ન : કેવી રીતે ?
ઉત્તર : ગુરુપૂર્ણિમાનું બીજું નામ વ્યાસપૂર્ણિમા પણ છે. એ દિવસે મહર્ષિ વ્યાસનો પ્રાદુર્ભાવ થયેલો એમ કહેવાય છે. મહર્ષિ વ્યાસ ભારતીય સંસ્કૃતિના પ્રખર પુરસ્કર્તા તથા પ્રતિનિધિ હોવાથી એ દિવસનો મહિમા ધાર્યા કરતાં ઘણો મોટો કહેવાય. એ દિવસે એમની પૂજા થાય અને એમને સમુચિત અંજલિ અપાય એ ઈચ્છવા જેવું, આવકારદાયક, અભિનંદનીય છે. વખતના વીતવાની સાથે મહર્ષિ વ્યાસને બદલે વ્યાસપીઠ પર વિરાજેલા કથાકાર કે ઉપદેશક અને પોતપોતાના સદગુરુની પૂજાની પ્રથા પ્રવર્તી હશે. આજે એ પ્રથા સાર્વત્રિક જેવી બની ગઈ છે.

પ્રશ્ન : એ પ્રથા તમને પસંદ છે ?
ઉત્તર : એ પ્રથા મને પસંદ છે કે નથી એ પ્રશ્નનું એટલું બધું મહત્વ નથી. ભક્તો, શિષ્યો, સદગુરુઓ અને સદુપદેશકોને એ પસંદ છે. એ પ્રથા અથવા પૂજાપદ્ધતિ પ્રેરક, પથપ્રદર્શક, ઉપયોગી, ઉપકારક છે. એ દિવસે શ્રધ્ધાભક્તિસભર ભાવભીના ભક્તો ગુરુની આગળ એકઠા થાય છે, ગુરુનું મંગલ માર્ગદર્શન મેળવે છે, આધ્યાત્મિક જીવનની પ્રેરણા પામે છે, ને સદગુરુની સમયોચિત સેવા કરે છે. માનવજીવનના ધ્યેયનું સ્મરણ કરવાનો, અવિદ્યારૂપી અંધકારમાંથી પ્રજ્ઞાના પરમપાવન પ્રકાશમાં પહોંચવાના સંકલ્પ દૃઢાવવાનો, એ દિવ્ય દીક્ષાદિવસ છે. એનો ઉપયોગ એવી રીતે કરવામાં આવે છે એ ઇચ્છવા જેવું છે. એવી રીતે એનો લાભ લેવાય તો એ દિવસ વધારે પ્રેરણાત્મક તથા શ્રેયસ્કર થઈ પડે. એ દિવસને જીવનવિકાસના મહત્વના દિવસ તરીકે માનવો - મનાવવો જોઈએ. પૂજાની પરંપરાગત પ્રથાને આત્મોન્નતિના અસરકારક અમોઘ સાધન તરીકે માનવા - મનાવવામાં આવે એ આવશ્યક છે. માટે જ હું ગુરુપૂર્ણિમાની પાવન પરંપરાગત પ્રથાનો ને પૂજાપદ્ધતિનો વિરોધ નથી કરતો. એ પ્રથા જીવંત રહે ને કાયાકલ્પ પામે તો સારું લેખાય. એ જડને બદલે ચિન્મય થાય, જીવનોપયોગી બની જાય.

પ્રશ્ન : આપણે કોઈને અંતરના ઉંડાણમાંથી ગુરુ માનતા હોઈએ પણ ગુરુદેવ આપણો સ્વીકાર ના કરતા હોય તો ?
ઉત્તર : તો શું થયું ? એથી કોઈ પ્રકારની ચિંતા નથી કરવાની. ગુરુદેવ આપણો સ્વીકાર કરે છે કે નથી કરતા એ એટલું અગત્યનું નથી. સૌથી અગત્યની વાત તો આપણે પોતે ગુરુદેવનો સ્વીકાર કરીએ છીએ કે નહિ તે છે. ગુરુ કોઈ દ્રષ્ટ અથવા અદ્રષ્ટ કારણે આપણો સ્વીકાર કરે કે ના કરે તો પણ આપણે એમનો સ્વીકાર કરીએ એટલે થયું. આપણું કાર્ય પૂરું થાય છે. આપણને સદગુરુમાં સાચી શ્રધ્ધા હોય એટલે આપણો અંતરંગ વિકાસ સહેલાઈથી થવા લાગે છે. ગુરુ એક અથવા બીજી રીતે આપણને મદદરૂપ થાય છે. ગુરુ તૈયાર નથી હોતા તો પણ પરમાત્માની પરમ પ્રબળ સનાતની શક્તિ એમના માધ્યમ દ્વારા કે અન્ય રીતે આપણી આકાંક્ષાને સંતોષીને આપણને આગળ વધારે છે.

ગુરુ દ્રોણાચાર્યે એકલવ્યનો શિષ્ય તરીકે સ્વીકાર ના કર્યો પરંતુ એકલવ્યે એમને સદગુરુ તરીકે સ્વીકારી લીધા. એમની માટીની મૂર્તિ બનાવીને શ્રધ્ધાભક્તિપૂર્વકના પ્રયોગો પ્રારંભ્યા. તો પરિણામે એ પરમ ધનુર્વિદ, અસ્ત્રશસ્ત્ર વિશારદ બની ગયો. સંત કબીરે રામાનંદની અનિચ્છા હોવા છતાં એમનામાં ગુરુભાવ રાખ્યો. અખાએ કાશીના પ્રજ્ઞાચક્ષુ સ્વામીને સાચા દિલથી સદગુરુ તરીકે, પોતાને અપનાવવામાં ના આવવા છતાં પણ, સ્વીકારી લીધા. તો એનું પરિણામ કેટલું બધું આશ્ચર્યકારક અને ચમત્કારિક આવ્યું ! એવી રીતે આપણે પણ સદગુરુ પ્રત્યેની શ્રધ્ધાથી પ્રેરાઈને અસાધારણ પ્રગતિ કરી શકીએ. શરત એ જ છે કે આપણે સદગુરુને સંપૂર્ણપણે સ્વીકારી લેવા જોઈએ. એના સિવાય બીજું કશું જ ના બની શકે.

પ્રશ્ન : તમે કોઈના ગુરુ બનો ખરા ?
ઉત્તર : મારે કોઈના ગુરુ બનવાનું રહેતું જ નથી. જેને બનવું હોય તેણે શિષ્ય બનવાનું જ રહે છે. આગળનું કાર્ય આપોઆપ થઈ રહે છે. કોઈ કોઈનો સાચો શિષ્ય બની શકે તો એનો બેડો પાર થઈ જાય. સવાલ કોઈએ ગુરુ થવાનો નથી, સ્વયં શિષ્ય બનવાનો છે.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.