if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
પ્રશ્ન : મારે આધ્યાત્મિક ઉન્નતિના માર્ગે આગળ વધવા માટે કોઈ ગુરુની આવશ્યકતા ખરી ?
ઉત્તર : આધ્યાત્મિક ઉન્નતિના માર્ગે આગળ વધવા માટે તમારે કોઈ ગુરુની આવશ્યકતા છે કે નથી તેનો નિર્ણય મારે નહિ પણ તમારે જ કરવાનો છે; એ નિર્ણય કરવામાં હું મારી રીતે મદદરૂપ થઈ શકું, પરંતુ છેવટનો નિર્ણય તમારે જ કરવાનો છે. કોઈ વ્યક્તિ કોઈને માટે એ સંબંધે અંતિમ નિર્ણય ના કરી શકે. કરે તો પણ દીર્ઘ સમયપર્યંત કે છેવટ સુધી ચાલે નહિ.

પ્રશ્ન : ગુરુ વિના આધ્યાત્મિક ઉન્નતિના મંગલ માર્ગે આગળ વધી જ ના શકાય એ સાચું છે ?
ઉત્તર : મને પોતાને એવું નથી લાગતું.

પ્રશ્ન : કેમ ?
ઉત્તર : આધ્યાત્મિક ઉન્નતિના માર્ગે આગળ વધવા માટે ગુરુ અનિવાર્યરૂપે આવશ્યક નથી. અને હોય તો પણ જીવનવિકાસના એવા કેટલાય નિયમો, તપો તથા વ્રતો છે જેમનું પરિપાલન અથવા અનુષ્ઠાન ગુરુની રાહ જોવા સિવાય પોતાની મેળે જ કરી શકાય.

પ્રશ્ન : દાખલા તરીકે ?
ઉત્તર : દાખલા તરીકે રોજ રોજ બ્રાહ્મમુહૂર્તમાં ઉઠીને પરમાત્માની પ્રાર્થના કરવા માટે અને સ્નાનાદિથી નિવૃત થઈને સદગ્રંથોના સ્વાધ્યાયનો ને નામજપ સાથેના કે નામજપ સિવાયના ધ્યાનનો આધાર લેવા માટે સદગુરુની આવશ્યકતા છે જ એવું થોડું છે ? પોતાના જીવનનું આત્મનિરીક્ષણ કરવા, પોતાની ત્રુટીઓને તપાસવા તથા તેમનામાંથી મુક્તિ મેળવવા માટે ગુરુની પ્રતીક્ષા કરીને અનિશ્ચિત કાળપર્યંત બેસી રહેવું પરવડે તેમ છે ? વ્યસનોના શિકાર ના બનવું હોય ને વ્યસનોમાંથી મુક્તિ મેળવવી હોય તો ગુરુની ઉપસ્થિતિ અનિવાર્ય છે ? રાત્રે સૂતાં પહેલાં પ્રાર્થના કરવી હોય ને વીતેલા વખતનું નિરીક્ષણ કરીને નૂતન સંકલ્પો કરવા હોય તો ગુરુ સિવાય કરી શકાય જ નહિ ? એ સૌને માટે ગુરુની પ્રતીક્ષા કરીને બેસી રહેવું જોઈએ ? જીવનવિકાસને માટેની એવી બધી ને બીજી ઉપયોગી વાતોનો અમલ પોતાની મેળે પણ કરી શકાય છે. જ્યારે કોઈક બહારના સ્થૂળ માનવ ગુરુની આવશ્યકતા હશે ત્યારે આપણી યોગ્યતાનો કે પાત્રતાનો વિચાર કરીને ઈશ્વર જ એમને મોકલી આપશે.

પ્રશ્ન : એવા સદગુરુની પ્રાપ્તિ વ્યવહારમાં રહીને કરી શકાય ?
ઉત્તર : શા માટે ના કરી શકાય ? સદગુરુની પ્રાપ્તિના પવિત્ર કાર્યમાં વ્યવહાર વચ્ચે આવતો નથી કે બાધક બનતો નથી. સદગુરુની સંપ્રાપ્તિ માટે જેનું મુખ્ય મહત્વ હોય છે તે તો માનવનું મન છે. મનમાં એમને મેળવવા માટેના મનોરથ જાગતાં અને આતુરતા વધતાં જ્યાં પણ હોઈએ ત્યાં એમના દર્શન, સમાગમ, અનુગ્રહનો દેવદુર્લભ લાભ મળી રહે છે.

પ્રશ્ન : સદગુરુની સેવા કેવી રીતે કરવી ?
ઉત્તર : એમની આવશ્યકતા અથવા અભિરુચિને અનુસરીને. એ સેવાનાં સ્વરૂપો જુદાં જુદાં હોઈ શકે, છતાં પણ એમની મહત્વની સેવા એમના પ્રદર્શાવેલા પ્રગતિપંથ પર પ્રયાણ કરવામાં અને અંતતો ગત્વા જીવનનું આધ્યાત્મિક કલ્યાણ કરવામાં રહેલી છે. એમની સેવા પરમ અને અચળ શ્રદ્ધાભક્તિથી સંપન્ન બનીને, સર્વ પ્રકારની શંકા-કુશંકામાંથી કાયમ માટે મુક્તિ મેળવીને કરવી જોઈએ. એમનામાં દોષદર્શન કરનાર કદી પણ એમની સાચી સેવા નથી કરી શકતો. દોષદર્શન કરવું જ હોય તો પોતાનું દોષદર્શન જીવનવિકાસના સાધકને માટે ખૂબ ખૂબ મદદરૂપ બની શકે. અન્યના અને એમાંય સદગુરુના દોષદર્શનથી કોઈ ઉપયોગી હેતુ નહિ સરે. સદગુરુને સાચી રીતે એમના વાસ્તવિક રૂપમાં ઓળખવાનું કામ અતિશય અઘરું છે. એને માટે એમની અહેતુકી અનંત કૃપા જોઈએ. એમને ઓળખવાની યોગ્યતા સિવાય એમને માટે ગેરસમજ થવાનો અને અનુચિત ભળતા અભિપ્રાયો આપવા-અપાવવાનો સંભવ રહે છે.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.