if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
પ્રશ્ન : જીવનના વિરોધાભાસી વિષમ વ્યવહારની વચ્ચે વસનારો, વિચરનારો માનવ ધ્યાનને સારુ સમય કાઢી શકે ખરો ?
ઉત્તર : શા માટે ના કાઢી શકે ? જીવનના વિરોધાભારી વ્યવહારની વચ્ચે વસનારો, વિચરનારો માનવ બીજી કેટલીય પ્રવૃતિઓને માટે સમય કાઢી શકે છે તો પછી ધ્યાનને માટે શા માટે ના કાઢી શકે ? મુખ્ય મુદ્દો સમયનો નથી પરંતુ અભિરુચિનો અથવા રસવૃત્તિનો છે. જે વિષયની રુચિ અથવા રસવૃત્તિ હોય છે તે વિષયને માટેનો સમય માનવ ગમે તેમ કરીને ગમે ત્યારે પણ કાઢતો હોય છે. ધ્યાનને માટેની રુચિ કે રસવૃત્તિનો ઉદય થતાં સમયની સમસ્યા લેશ પણ નહીં સતાવે, સમય તો કાઢવામાં આવશે જ.

ધ્યાનને માટેની રુચિ કે રસવૃત્તિને જાગતાં કે બળવાન બનતાં વાર લાગશે, તેને માટે જુદી જુદી રીતે પ્રામાણિકતાપૂર્વક પ્રયત્નો કરીને ભૂમિકા બનાવવી પડશે. એવી આવશ્યક ભૂમિકાનું નિર્માણ થતા આગળનું કાર્ય સરળ બનશે. પછી તો સાધક ધ્યાન માટેનો નિશ્ચિત સમય નક્કી કરીને તેને વળગી રહેશે. એ સાધના માટેનો સમય નથી એવી ફરીયાદ નહીં કરે. ઊંઘમાંથી અથવા તો બીજી આડ વાતો તથા પ્રવૃતિઓમાંથી વખત કાઢીને તે ધ્યાન માટે વાપરશે. એને ધ્યાનની લગન લાગશે.

એ લગન પોતાની સાથે અન્ય અનેક વસ્તુઓ લઈ આવે છે. સમયની સાનુકૂળતા, સાધનાની પ્રીતિ, ઉત્સાહ-ધીરજ-ખંત, હિંમત-પુરુષાર્થપરતા, સાધનાનું સાતત્ય, આનંદ, આત્મનિવેદન, એકાગ્રતા, અને આત્માનુભૂતિ. પોતપોતાના વિષયમાં રસવાળા માનવો એને માટે ગમે તે ભોગે પણ સમયને ફાળવતા હોય છે. વ્યવહારની વચ્ચે વસતા-વિહરતા માનવે પણ એવી રીતે સમયને ફાળવવો જોઈએ. એને માટે બીજો કોઈ વિકલ્પ નથી. હરવા-ફરવાનો, ખાવાનો, ઊંઘવાનો, ગપ્પાં મારવાનો, અને એવો બીજો સમય હોય અને સત્સંગ, સ્વાધ્યાય-ધ્યાન જેવી જીવનોપયોગી કલ્યાણકારક, શાંતિપ્રદાયક પ્રવૃતિ માટે સમયનો અભાવ છે એવું માનવા મનાવવામાં આવે તો તેવી વૃત્તિ કે પદ્ધતિને આવકારદાયક ના કહી શકાય, સ્વસ્થ કે તંદુરસ્ત ના મનાય.

પ્રશ્ન : ધ્યાનની અંતરંગ સાધના સારું કોઈ નિશ્ચિત સમયની આવશ્યકતા ખરી ? એ સાધના દરમ્યાન કોઈ નિશ્ચિત સમયે, નિશ્ચિત આસન પર જ બેસવું જોઈએ કે ગમે તે સમયે ગમે તેવા આસન પર બેસીએ કે ના બેસીએ તો પણ ચાલી શકે ?
ઉત્તર : તમારા એ પ્રશ્નનો પ્રત્યુત્તર મેં આ પહેલાં એક અથવા બીજી રીતે પ્રકારાંતરે આપી દીધો છે, તો પણ તમે પૂછો છો તો ફરીવાર કહું. ધ્યાનની અંતરંગ સાધના નિશ્ચિત સમયે કરવામાં આવે એ ખરેખર અને ખૂબ જ આવશ્યક છે. સાધના રોજ સુનિશ્ચિત સમયે કરવાથી મનને તેવી ટેવ પડી જાય છે. વખતના વીતવાની સાથે આખરે તે એકાગ્ર થાય છે. તો પણ કોઈ સંજોગોમાં, કોઈ કારણે સુનિશ્ચિત સમયે સાધના માટે બેસી ના શકાય તો પણ જે સમયે બેસી શકાય તે સમયે બેસવું તો ખરું જ.

બીજી મહત્વની વાત એ છે કે ધ્યાનની સાધના આસન પર બેસીને કરવામાં આવે એ ઈચ્છવા યોગ છે. આસન પર બેસવાથી મનને સ્થિર, એકાગ્ર અને શાંત કરવામાં મદદ મળે છે તેમજ સમાધિ દશામાં પ્રવેશવાનું સહેલું બને છે.

પ્રશ્ન : આત્મકલ્યાણને માટે ધ્યાન કરવું સારું કે લોકકલ્યાણનું કામ કરવાનું સારું ?
ઉત્તર : આત્મકલ્યાણને માટે કરાતા ધ્યાનમાં ને લોકકલ્યાણને માટે કરાતા કામમાં કોઈ પ્રકારનો વિરોધ નથી. ધ્યાન પણ કામ જ છે ને ધ્યાનથી લોકકલ્યાણના કામમાં મોટી મદદ મળે છે. આપણે ત્યાં મોટાભાગના માનવોએ ધ્યાન તથા કામને પરસ્પર વિરોધી વિષયો માની લીધા છે. તેથી વ્યવહારિક કામ કરનારા ધ્યાન કરવામાં માનતા નથી ને ધ્યાનની રુચિ રાખનારા વ્યવહારિક કાર્યો પ્રત્યે સૂગ ધરાવે છે, ઉપેક્ષાભાવ રાખે છે, અને એવાં કાર્યો કરનારાને અજ્ઞાની અથવા મંદ બુદ્ધિના માને છે. સાચી વાત તો એ છે કે જીવનના સર્વાંગીણ વિકાસને માટે લોકકલ્યાણનાં ઉપયોગી સર્વ શ્રેયસ્કર કાર્યોનું અનુષ્ઠાન કરવાની સાથે સાથે ધ્યાન, જપ, પ્રાર્થના, સ્વાધ્યાય, આત્મનિરીક્ષણ જેવા અંતરંગ આધ્યાત્મિક અભ્યાસક્રમની પણ આવશ્યકતા છે. બંનેનો વખતે એવી રીતે વહેંચી દેવો જોઈએ કે બંનેનું અનુષ્ઠાન એકમેકને મદદરૂપ બની રહે. રોજ સવારે ને સાંજે ઓછામાં ઓછું બે કલાક ધ્યાન ને શેષ સમયમાં કામ એ નિયમ ઘણો સારો છે.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.