if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
પ્રશ્ન : ધ્યાનમાં પ્રાણાયામ તથા મુદ્રાનો અભ્યાસ અનિવાર્ય છે ?
ઉત્તર : ના, અનિવાર્ય નથી. પ્રાણાયામ તથા મુદ્રાના અભ્યાસ સિવાય પણ ધ્યાનની સાધના થઈ શકે છે. ધ્યાન કરતી વખતે આસન, પ્રાણાયામ, મુદ્રાનો અભ્યાસ કરવામાં આવે છે એ તો એક આનુષંગિક પૂરક સાધન તરીકે. તેના વિના ધ્યાન થાય જ નહિ એવું નથી સમજવાનું. એ અભ્યાસથી કેટલાક શારીરિક અને માનસિક લાભો થાય છે, તો પણ ધ્યાનની સાધના એક સ્વતંત્ર, નિરાળી, પરિપૂર્ણ સાધના છે. એનો આધાર કોઈપણ પ્રકારના બીજા અભ્યાસ વિના સીધો જ લઈ શકાય છે. એનો આધાર લઈને સાધક સિદ્ધાવસ્થાના શાંત સમુન્નત સુમેરુ શિખર પર પહોંચી શકે છે. ધ્યાનમાં ધ્યાન સિવાય બીજા કશાનો અભ્યાસ અનિવાર્ય નથી.

પ્રશ્ન : ધ્યાન દિવસે કરવું જોઈએ કે રાતે કરવું જોઈએ ?
ઉત્તર : ધ્યાન દિવસે પણ કરવું જોઈએ અને રાતે પણ કરવું જોઈએ. એને માટે દિવસ કે રાતનું કોઈ બંધન નથી. જ્યારે પણ સાનુકૂળ સમય હોય ત્યારે એનો આધાર લઈ શકાય છે. કેટલાકના આદરપ્રિય અભિપ્રાય પ્રમાણે રાતે જ્યારે ઉંડી શાંતિ હોય છે, તે સમયે થોડોક વખત ધ્યાન જેવી અંતરંગ સાધના માટે કાઢવામાં આવે એ વધુ ઈચ્છવા યોગ્ય છે. એ અભિપ્રાય આધાર વગરનો અને અનુચિત તો નથી જ. છતાં પણ ધ્યાનના અભ્યાસની અભિરુચિ જાગશે પછી દિવસે કે રાતે જ્યારે પણ સમય મળશે ત્યારે ધ્યાન કરવાનું જ વલણ રહેશે. જેમને વધારે વખત ના મળતો હોય તેમણે રોજ સવારે બ્રાહ્મમુહૂર્તમાં અને રાતે સૂતા પહેલાં કે સૂર્યાસ્ત સમયે ધ્યાન કરવાની ટેવ પાડવી. એ ટેવ લાંબે ગાળે ખૂબ જ લાભકારક થશે.

પ્રશ્ન : ધ્યાનમાં જુદાં જુદાં દર્શન થાય છે એ સાચું છે ?
ઉત્તર : સાચું છે. ધ્યાનમાં અમુક અવસ્થાએ પહોંચ્યા પછી જુદી જુદી જાતનાં દર્શનો થતાં હોય છે. સાધકો સાધનાના માર્ગમાં આગળ વધ્યા પછી એવા દર્શનોનો આનંદ મેળવી શકે છે.

પ્રશ્ન : એ દર્શનો કોનાં હોય છે ?
ઉત્તર : સિદ્ધ મહાપુરુષોનાં, દેવીદેવતાનાં તેમજ સાધકના પોતાના ઈષ્ટનાં.

પ્રશ્ન : જપનો આધાર લઈને ધ્યાન કરવું કે જપનો આધાર લીધા વિના ધરવું ?
ઉત્તર : જપનો આધાર લઈને કે જપનો આધાર લીધા સિવાય ધ્યાન કરવું તે વાતનો આધાર સાધકની પ્રકૃતિ અથવા રુચિ પર રહે છે. ધ્યાન બંને રીતે કરી શકાય છે. કેવી રીતે ધ્યાન કરવું તેનો નિર્ણય સહેલાઈથી ના કરી શકાય તો કોઈ અનુભવી પુરુષનું અથવા ગુરુનું માર્ગદર્શન મેળવવું અને તે માર્ગદર્શન પ્રમાણે આગળ વધવું. જપનો આધાર લઈને ધ્યાન કરવામાં આવે કે જપના આધાર વગર ધ્યાન કરવામાં આવે તો પણ ધ્યાનમાં મન એકાગ્ર થાય તે ખૂબ જ મહત્વનું કહેવાય છે.

પ્રશ્ન : જપ પર પ્રેમ ન હોય તો જપ વગર ધ્યાન કરી શકાય ?
ઉત્તર : જપ પર પ્રેમ ન હોય તો પોતાના ઈષ્ટદેવ અથવા આરાધ્ય દેવનો આધાર લઈને તેમના સ્વરૂપને યાદ કરીને પણ ધ્યાન કરી શકાય. ધ્યાન કરનારા બધા જ સાધકો માટે નામજપનો આધાર લેવાની અનિવાર્ય આવશ્યકતા છે એવું નથી સમજવાનું.

પ્રશ્ન : વહેલા ઉઠીને ધ્યાન કરવાથી ઊંઘ આવે છે તો ઊંઘ ના આવે તેને માટે શું કરવું ?
ઉત્તર : વહેલા ઉઠીને ધ્યાન કરવાથી ઊંઘ આવતી હોય તો પૂરી ઊંઘ લઈને બ્રાહ્મમુહૂર્તમાં ધ્યાન કરવું. પૂરેપૂરી ઊંઘ લીધા પછી બ્રાહ્મમુહૂર્તમાં ઉઠીને ધ્યાન કરવાનું સારુ છે, મધરાતે ઉઠવાથી ઊંઘ કાચી રહેવાનો સંભવ હોય છે. તેથી પૂરી ઊંઘ લીધા પછી જ ધ્યાનમાં બેસવાનો આગ્રહ રાખવો.

પ્રશ્ન : કયો મંત્ર શ્રેષ્ઠ છે ?
ઉત્તર : કયો મંત્ર શ્રેષ્ઠ છે એ પ્રશ્ન જ નથી. બધા જ મંત્રો શ્રેષ્ઠ છે. જે મંત્રમાં આપણી રુચિ, શ્રદ્ધાભક્તિ હોય તે મંત્રને જપવાથી લાભ થાય છે. તે મંત્ર આપણે માટે સર્વોત્તમ બની જાય છે. તે મંત્રને શ્રદ્ધાભક્તિપૂર્વક વળગી રહેવું જોઈએ તો તે આપણે માટે ચમત્કારનું સર્જન કરી શકે છે.

પ્રશ્ન : મંત્ર યંત્રની પેઠે બોલાય તો ચાલે ?
ઉત્તર : મંત્ર યંત્રની પેઠે બોલવાને બદલે એના ભાવાર્થને યાદ રાખીને એનો આધાર પ્રેમપૂર્વક રસ સાથે લેવામાં આવે તો તે વધારે ઉપયોગી, તથા કલ્યાણકારક થઈ પડે છે. આરંભમાં મંત્રનું રટણ યંત્રની પેઠે થતું હોય તો પણ ધીરે ધીરે આગળ વધતા જઈએ તેમ તેમ તેનું રટણ રસપૂર્વક થવા લાગે છે, તથા ચિન્મય બની જાય છે. યંત્રવત્ બોલાતા મંત્રથી પણ કોઈપણ પ્રકારનું નુકસાન નથી થતું. તેનાથી મનની એકાગ્રતામાં મદદ મળે છે. મન બહારના વિચારોમાંથી અને વિષયોમાંથી પાછું વળે છે, તો પણ યંત્રની પેઠે જપવામાં આવતા મંત્રને સમજપૂર્વક, ભક્તિભાવ સાથે જપવામાં આવે તો તેથી વિશેષ લાભ થાય છે.


We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.