if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
પ્રશ્ન : આચારશુદ્ધિ વિના ધ્યાન થઈ શકે ?
ઉત્તર : આચારશુદ્ધિ સિવાય ધ્યાનનો આધાર અવશ્ય લઈ શકાય. પરંતુ તેવા ધ્યાનથી જરૂરી માનસિક શાંતિ કદાચ ના મળી શકે. ધ્યાનનો આધાર લેનારે આચારશુદ્ધિનો આગ્રહ રાખવો જોઈએ. જેમ જેમ ધ્યાનની સાધના આગળ ચાલે છે તેમ તેમ આચારશુદ્ધિની પ્રેરણા મળતી રહે છે. એ પ્રેરણાને ઝીલવાની શક્તિ સાધકની અંદર આપોઆપ પ્રાદુર્ભાવ પામે છે. છતાં પણ એનો અર્થ એવો નથી કે આવશ્યક આચારશુદ્ધિ વિના સાધકે ધ્યાનની સાધનાનો આરંભ કરવો જ નહિ. શુદ્ધિની દૃષ્ટિએ સાધક જે ભૂમિકા પર હોય ત્યાંથી આગળ વધવાની કોશિશ કરતાં રહીને ધ્યાનનો અભ્યાસ નિયમિત કરવો જોઈએ. આચારની શુદ્ધિ થતી જાય છે તેમ તેમ માનસિક શાંતિનો અનુભવ થાય છે, અને છેવટે આત્મદર્શનનો લાભ મળી રહે છે.

પ્રશ્ન : ઈષ્ટદેવ તથા ગુરુદેવ એ બંનેમાંથી પ્રથમ કોનું ધ્યાન કરવું ?
ઉત્તર : પોતાના ઈષ્ટદેવ અને ગુરુદેવમાં તત્વની દૃષ્ટિએ કોઈ ખાસ ભેદભાવ નથી હોતો. બંને મૂળભૂત રીતે એક જ હોય છે, છતાં પણ ધ્યાન કરવાનું હોય ત્યારે સૌથી પ્રથમ ગુરુદેવની કૃપા માટે પ્રાર્થના કરવી, તે પછી પોતાના ઈષ્ટદેવનું ધ્યાન ધરવું. ગુરુદેવને ઈષ્ટદેવ માનવામાં આવતા હોય તો કેવળ ગુરુદેવનું જ ધ્યાન ધરી શકાય. પરંતુ ગુરુદેવ કરતાં ઈષ્ટદેવ અલગ હોય તો તેમના ધ્યાનમાં મદદ મળે તથા સફળતા સાંપડે તે માટે ગુરુની કૃપાની કામના કરવી. એ પરિસ્થિતિમાં ધ્યાન ગુરુદેવનું ના કરવું પરંતુ જે ઈષ્ટદેવ કે દેવી હોય તેમનું જ કરવું.

પ્રશ્ન : ધ્યાન કરતી વખતે જો ઊંઘ આવે અને બીજા વિચારો સતાવે તો શું કરવું ?
ઉત્તર : ધ્યાન કરતી વખતે ઊંઘ આવે તો આંખને ધોઈ નાંખવી, ધ્યાન કરવાનું કામચલાઉ સમયને માટે બંધ રાખવું અને થોડાક આંટાફેરા કરી લેવા. સુસ્તી દૂર થાય તે પછી ફરી વાર ધ્યાન કરવાનું શરૂ કરવું. એવું કરવાથી આખરે ઊંઘનો ઈલાજ થઈ રહેશે. ધ્યાન કરનારે સૂક્ષ્મ આહાર લેવો જોઈએ. આહાર અને નિદ્રાનો છેક જ સમીપનો સબંધ હોય છે. ધ્યાન કરનારે રાતે અલ્પ અને વહેલો આહાર લેવો જોઈએ. રાતે આહાર લેવામાં ના જ આવે તો પણ તેથી નિદ્રાનો વિજય કરવામાં મદદ મળે છે. ધ્યાન કરતી વખતે બીજા વિચારો સતાવતા હોય તો તેથી હતાશ કે નિરાશ થવાને બદલે આપણે પોતે જ આપણા આરાધ્યદેવના વિચારો કરવાનું શરૂ કરવું. તે ઉપરાંત જપ સાથે ધ્યાન કરવાની ટેવ પાડવી. ધ્યાન કરતી વખતે પરમાત્માની પ્રાર્થનાનો આધાર લેવાથી પણ મનની એકાગ્રતામાં મદદ મળે છે. ધ્યાનનો અભ્યાસ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ બીજા ભળતા વિચારો આપોઆપ શાંત બની જાય છે. અને છેવટે જેમનું ધ્યાન કરવામાં આવે છે તેમના જ વિચારો ચાલ્યા કરે છે.

પ્રશ્ન : આસન, પ્રાણાયામ, મુદ્રાનો અભ્યાસ ધ્યાન કર્યા પછી કરવો જોઈએ કે ધ્યાન કરતાં પહેલાં કરવો જોઈએ ? ધ્યાનના અભ્યાસ માટે આસનનો અભ્યાસ અનિવાર્ય છે ?
ઉત્તર : આસન, પ્રાણાયામ, મુદ્રાનો અભ્યાસ ધ્યાન કર્યા પછી પણ થાય છે, અને ધ્યાન કરતાં પહેલાં પણ કરી શકાય છે. એ અભ્યાસ સાધકની પોતાની અનુકૂળતા પ્રમાણે કરી શકાય છે. સામાન્ય રીતે આસન, પ્રાણાયામ તથા મુદ્રાનો અભ્યાસ કર્યા પછી ધ્યાનનો અભ્યાસ કરવાથી લાભ થાય છે. ધ્યાન કરનારને માટે આસનનો અભ્યાસ અનિવાર્ય નથી તો પણ સારા મનને માટે સારું તન આવશ્યક છે. મનને સારુ બનાવવા માટે તનને પણ સારુ બનાવવું જોઈએ. એટલા માટે જ આસનોનો અભ્યાસ આવશ્યક છે. એ અભ્યાસનો અનુરાગ જેટલો પણ વધારવામાં આવે તેટલો લાભકારક છે.

પ્રશ્ન : ઈશ્વરના દર્શનને માટે શાસ્ત્રોક્ત ન્યાસ વિગેરે આવશ્યક છે ?
ઉત્તર : ઈશ્વરના દર્શનને માટે શાસ્ત્રોક્ત ન્યાસ વિગેરેની આવશ્યકતા છે જ એવું નથી માનવાનું. ઈશ્વરના દર્શનને માટે અનિવાર્ય આવશ્યકતા હૃદયના સાચા પ્રેમની તથા ભાવની છે. વિધિવિધાનની નથી. ઈશ્વર શરણાગત ભક્તના કે સાધકના પ્રેમભાવને જ લક્ષમાં લે છે. આરંભમાં વિધિવિધાનની આવશ્યકતા લાગે તો પણ પાછળથી સાધક જેમ જેમ આગળ વધે છે અને પવિત્ર પ્રબળ પ્રેમજગતમાં પ્રવેશે છે તેમ તેમ બહારની બધી જ વિધિઓ ગૌણ બની જાય છે અને અદૃશ્ય થાય છે. આગળ વધતાં સાધક પરમાત્માની પ્રાપ્તિ માટે રડે છે, પ્રાર્થે છે, પોકાર પાડે છે, આકુળ વ્યાકુળ બને છે, અને વિલાપ કરે છે. એની આંખમાંથી અનુરાગના અખંડ અશ્રુ ટપકે છે. અને એને બાહ્ય જગતનું ભાન પણ રહેતું નથી. એવી રીતે પરમાત્માની પ્રાપ્તિને માટેનો માર્ગ મોકળો થાય છે. એ અવસ્થામાં શાસ્ત્રોમાં વર્ણવેલા ન્યાસાદિની આવશ્યકતા નથી રહેતી. સાધક ભક્તનું મન અને અંતર પરમાત્માના સ્મરણ મનન અને નિદિધ્યાસનમાં કોઈ પણ પ્રકારના બહારના અથવા અંદરના અંતરાય વગર સતત વહ્યા જ કરે છે. શાસ્ત્રોમાં વર્ણવેલી બધી જ બહિરંગ ક્રિયાઓ ત્યારે સફળ બને છે. પરમાત્માને માટેનો એવો પ્રેમભાવ કોઈક પરમ સંસ્કારસંપન્ન બડભાગી આત્માના જીવનમાં જ જોવા મળે છે. શાસ્ત્રોમાં કરેલાં વિધિવિધાનોનો આધાર લીધા પછી લાંબે વખતે એવી અસાધારણ અનુરાગવાળી અવસ્થાની અનુભૂતિ આપોઆપ થઈ રહે છે.


We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.