if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
પ્રશ્ન : સહજ ધ્યાન કોને કહેવાય છે અને એ ક્યારે શક્ય બને છે ?
ઉત્તર : સહજ ધ્યાન એટલે સ્વાભાવિક રીતે થતું ધ્યાન. એ ધ્યાન કોઈ પણ પ્રકારના બહારના પ્રયત્ન વિના એની મેળે જ થયા કરે છે. ધ્યાનના સુદીર્ઘ સમયના એકધારા અભ્યાસ દ્વારા એની સિદ્ધિ થાય છે. એમાં પરમાત્માનું અખંડ અનુસંધાન રહ્યા કરે છે. મન સદાય પરમાત્માભિમુખ રહે છે. એવા ધ્યાન દરમ્યાન આસન પર બેસવાની, આંખને બંધ કરવાની, અથવા દૃષ્ટિને ભ્રૂમધ્યમાં કે આજ્ઞાચક્રમાં જમાવવાની કે કેન્દ્રિત કરવાની આવશ્યકતા નથી હોતી.

પ્રશ્ન : સહજ ધ્યાનવાળા સાધકને આંખ બંધ કરીને કરાતું સામાન્ય ધ્યાન કરવું પડે છે ?
ઉત્તર : સહજ ધ્યાનવાળા સાધકને આંખ બંધ કરીને ધ્યાન કરવાની આવશ્યકતા નથી હોતી. એમનું ધ્યાન આંખ બંધ કર્યા સિવાય સહજ રીતે જ ચાલ્યા કરે છે. છતાં પણ એવા સાધકને માટે સામાન્ય ધ્યાન કરવા માટે કોઈ પ્રકારનો પ્રતિબંધ નથી હોતો. એ પોતાની ઈચ્છા પ્રમાણે સામાન્ય ધ્યાનનો આધાર લઈ શકે છે. એવું ધ્યાન એને માટે એક અથવા બીજી રીતે ઉપયોગી થાય છે.

પ્રશ્ન : આત્માના સાક્ષાત્કાર માટે ષટ્ચક્ર ભેદનની આવશ્યકતા છે ?
ઉત્તર : આત્માના સાક્ષાત્કાર માટે ષટ્ચક્ર ભેદનની આવશ્યકતા હોય છે, અને તે અવિદ્યારૂપ ચક્રના ભેદનની. આત્મવિકાસના સાધકે પોતાનું સમગ્ર ધ્યાન અવિદ્યા અને એમાંથી પેદા થનારા મોહમાયા અથવા વાસનારૂપી વિષચક્રને ભેદવા તરફ કેન્દ્રિત કરવું જોઈએ. એ ચક્રના ભેદનથી જ આત્માનો અનુભવ થઈ શકે છે, તેમજ શાંતિ સાંપડે છે. ષટ્ચક્રના ભેદનમાં કેટલાક યોગીઓને રસ હોય છે. એ રસથી પ્રેરાઈને એ યોગીઓ જુદાં જુદાં ચક્રોને ખોલવાની અને ભેદવાની સાધના કરે છે. પરંતુ એવી સાધનામાં આત્મ- સાક્ષાત્કારની અભિરુચિવાળા સાધકને અધિક રુચિ નથી હોતી. એવી સાધનાનો આત્મસાક્ષાત્કારની સાધના સાથે સીધો સંબંધ નથી હોતો.

પ્રશ્ન : મંત્ર, યંત્ર, તંત્ર અને ત્રાટક - એમાંથી વધારે સારું અથવા શ્રેયસ્કર શું કહેવાય ?
ઉત્તર : એ સૌમાં વધારે શ્રેયસ્કર મંત્ર છે. માટે તમે મંત્રનો જ આધાર લો. મંત્ર જ યંત્ર છે, તંત્ર છે, ત્રાટક છે. એની શક્તિ અમોઘ છે. જે સર્વાવસ્થામાં ઈશ્વરના નામના જપ અને રટણ કરે છે તે વખતના વીતવાની સાથે ઈશ્વરની કૃપાને અનુભવે છે. કલિયુગમાં મંત્રનો અથવા નામજપનો મહિમા ખૂબ જ મોટો છે. માટે એની જ સાધનાને સર્વોપરી સમજીને વળગી રહેવું.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.