અંગ છે ઉપવાસથી આ ખૂબ કૃશ થયું,
નિર્બળ બન્યું, વિરહ વેઠી વ્યથિત છેક થયું;
તોય ચિંતા ના ટળી, ના મિલન મધુર થયું,
હૃદય નીરસ, રુદનથી ભર, આ અનાથ રહ્યું !
હિમાલયના દિવ્ય દેશે આજ તપતો હું,
દૂર ગુર્જર દેશની ક્ષણવાર યાદ કરું;
ગામમાં ત્યાં શાંત માતાજી હશે બેઠાં,
પ્રેમની પ્રતિમાસમાં મંગલ બની બેઠાં.
ખૂબ તે ઉપવાસની ચિંતા હતાં કરતાં,
નિરખતાં મારી વ્યથા ને વેદના ધરતાં;
પ્રેમ એવો હતો મારે કાજ અંતરમાં,
જતાં મૂક જલી મને દેખી કદી દુઃખમાં.
યાદ કરતાં વાત એ હૈયું દ્રવે મારું,
કદી ભાવવિભોર બનતાં આંસુ બે સારું;
તમે જગદંબા કહેવાઓ જગતજનની,
છતાં ચિંતા લાગણી કાં નથી નિજ જનની ?
કહે ‘પાગલ’ નામ છે મોટું તમે ધાર્યું,
કરો સત્વર સાર્થ તે દળદર હરી મારું.
- © શ્રી યોગેશ્વરજી
Comments
ધ્યાન માર્ગે માં ગુરુજીના માર્ગદર્શન વગર આગળ વધવામાં કોઈ મુશ્કેલી આવે ખરી? એવી કોઈ મુંઝવણની/ભટકાવની કોઈ સમસ્યા આવે ખરી? મારા વાંચવામાં આવેલું કે પાગલપનની આવવાની શકયતા રહેલી છે? યોગ માર્ગમાં શરુઆત થી લઈ યોગની છેલ્લી અવસ્થા સુધીના આપના અનુભવો કહેવા આપને નમ્ર વિનંતી છે.