if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તુલસીકૃત રામાયણના અરણ્યકાંડમાં રામ અને શબરીના મેળાપ તથા વાર્તાલાપનો પ્રેરક પ્રસંગ છે. એ પ્રસંગ ઉપયોગી હોવાથી એના પર દ્રષ્ટિપાત કરી જઈએ.

રાવણે પંચવટીમાંથી સીતાનું હરણ કર્યું તે પછી રામ અને લક્ષ્મણ સીતાની શોધ કરવા માટે વનમાં નીકળ્યા. વનમાં વિહાર કરતાં આખરે એ શબરીના આશ્રમમાં આવી પહોંચ્યા.

કમળનયન, વિશાળ બાહુ, મસ્તક પર જટાના મુકુટવાળા તથા માળા પહેરેલા રામને જોઈને શબરી હરખઘેલી બની ગઈ અને એમના પગમાં પડીને વારંવાર પ્રણામ કરવા લાગી. પ્રેમમગ્ન બનીને એ કશું બોલી ન શકી. રામના ચરણનું પ્રક્ષાલન કરીને એણે એમને બેસવા માટે સુંદર આસન આપ્યું, અને એમના આગળ કંદમૂળ તથા સરસ ફળ મૂક્યાં. રામ એમને પ્રેમ તથા પ્રસન્નતાપૂર્વક પ્રશંસા કરી કરીને ખાવા લાગ્યા.

શબરીને અસાધારણ આનંદ થયો. એના જીવનમાં મંગલ-ઉત્સવ થયો. જીવનની ધન્યતાની વીણા એના અંતરમાં વાગી ઉઠી.

રામને નિહાળીને વધારે ને વધારે ભાવવિભોર બનતી શબરી બે હાથ જોડીને ભક્તિભાવે એમની આગળ ઊભી રહી ને કહેવા લાગી કે હે પ્રભુ હું તમારી સ્તુતિ કેવી રીતે કરું? હું તો અધમ અને મંદમતિ છું. અધમાધમ કહેવાતી સ્ત્રીઓમાં પણ હું સૌથી વધારે અધમ અને અપરાધિણી છું.

ત્યારે શ્રીરામ બોલ્યા કે શબરી, હું તો એક ભક્તિના સંબંધને જ મહત્વનો માનું છું. માણસ ઉત્તમ વર્ણનો, કુળનો કે ધર્મનો હોય, ધનવાન, બલવાન, ગુણવાન તથા ચતુર હોય, તેમજ સ્વજન સેવકોથી યુક્ત હોય, છતાં પણ જો ભક્તિથી રહિત હોય તે તેને વારિ વિનાના વાદળ જેવો જાણી લેવો. તેના જીવનની કિંમત કશી જ નથી. એવું જીવન તેને તથા બીજાને કામ નહિ લાગે, ને કોઈનું કલ્યાણ નહિ કરે. માટે જીવનને ભક્તિથી સુશોભિત કરવાની જરૂર છે. એ ભક્તિ જ જીવનનું શ્રેય સાધી શકે છે, અને એ જ મારે મન મહત્વની છે. એ ભક્તિના નવ પ્રકાર છે. એ નવ પ્રકારની ભક્તિમાંથી એક પ્રકારની ભક્તિ પણ જેનામાં પૂરેપૂરા પ્રમાણમાં હોય છે તેને હું અતિશય પ્રિય માનું છું. તો તારી અંદર તો એ ભક્તિ પોતાના સઘળા પ્રકારો સાથે પરિપૂર્ણતાએ પહોંચેલી છે. એટલે જ મોટામોટા યોગી અને મુનીઓને માટે પણ દુર્લભ ગણાતી મારી કૃપા તને પ્રાપ્ત થઈ છે. મારા દર્શનનું સર્વોત્તમ ફળ એ ભક્તિના પ્રભાવથી જ પામી શકાય છે. ભક્તિ જ એને માટેનું સર્વશ્રેષ્ઠ સાધન છે.

શબરી સાથેના એ સુખદ વાર્તાલાપ દરમિયાન તુલસીદાસે રામના શ્રીમુખમાં નવધા ભક્તિના રહસ્યની જે રસપ્રદ રજૂઆત કરી છે તે ભક્તિમાં માનનાર અને રસ લેનાર પ્રત્યેક સ્ત્રી-પુરુષે યાદ રાખવા જેવી છે. આ રહી એ રસમય રજૂઆત:

प्रथम भगति संतन्ह कर संगा । दूसरि रति मम कथा प्रसंगा ॥४॥

गुर पद पंकज सेवा तीसरि भगति अमान ।
चौथि भगति मम गुन गन करइ कपट तजि गान ॥३५॥

मंत्र जाप मम दृढ़ बिस्वासा । पंचम भजन सो बेद प्रकासा ॥
छठ दम सील बिरति बहु करमा । निरत निरंतर सज्जन धरमा ॥१॥

सातवँ सम मोहि मय जग देखा । मोतें संत अधिक करि लेखा ॥
आठवँ जथालाभ संतोषा । सपनेहुँ नहिं देखइ परदोषा ॥२॥

नवम सरल सब सन छलहीना । मम भरोस हियँ हरष न दीना ॥

ભક્તિનો પહેલો પ્રકાર સંતપુરુષોનો સમાગમ કરવો તે છે. એટલે કે જીવનમાં જ્યારે ભક્તિનો અરુણોદય થવાનો હોય છે ત્યારે મન સંતપુરુષો તરફ વળે છે ને પવિત્ર જીવન-વ્યવહારવાળા નિષ્કપટ ઈશ્વરપ્રેમી સંતપુરુષોના સાન્નિધ્યમાં સ્વર્ગસુખ સાંપડે છે.

ઈશ્વરની લીલાના કથા-પ્રસંગોમાં તથા જીવનના સુધાર અને વિકાસની વાતોમાં પ્રીતિ થવી એ ભક્તિનો બીજો પ્રકાર છે. સંતોનો સમાગમ એવી પ્રીતિને કેળવવા માટે જ હોવો જોઈએ તો જ તે લાભકારક થઈ શકે.

ત્રીજી ભક્તિ નમ્રતાને ધારણ કરવી તથા ગુરુની શ્રદ્ધાસહિત સેવા કરવી તે. અને ચોથી ભક્તિ સરળ હૃદયથી ઈશ્વરના ગુણાનુવાદ ગાવા તે છે.

અખંડ વિશ્વાસ સાથે ગુરુએ આપેલા કે પોતે પસંદ કરેલા મંત્રનો નિરંતર જપ કરવો તે પાંચમા પ્રકારની ભક્તિ છે, ને છઠ્ઠી ભક્તિ જુદાં જુદાં વ્યાવહારિક કર્મોમાંથી મનને ઉપરામ કરી, સજ્જનને છાજે તેવી રીતે આચરણ કરતાં, મન તથા ઈન્દ્રિયોનો સંયમ કરવો તે છે.

જગતમાં જડ અને ચેતનમાં બધે જ ઈશ્વરનું દર્શન કરવું તથા સંતપુરુષોને ઈશ્વર કરતાં અધિક માનીને મળવું, એ સાતમી ભક્તિ. સંતોષી બનવું ને બીજાના દોષને સ્વપ્ને પણ જોવા નહિ એ આઠમી ભક્તિ. અને નવમી ભક્તિ સરળ તથા છળકપટથી રહિત બનીને હર્ષશોકનો ત્યાગ કરીને એક ઈશ્વરનો ભરોસો રાખવો તે છે.

શ્રીમદ્દ ભાગવતમાં પ્રહલાદે વર્ણવેલી નવધા ભક્તિ કરતાં આ નવ પ્રકારની ભક્તિ જરા જુદી પડે છે. છતાં પણ રામાયણમાં વર્ણવેલી એ ભક્તિ ઘણી ઉપયોગી હોવાથી ભક્તે તેને જીવનમાં સાકર કરવા માટે તૈયાર થવું જોઈએ. ભક્તિની સફળતા એમાં જ સમાયેલી છે, એના આચરણમાં થનારા અનુવાદમાં. ભક્તિના એ પ્રકારોનો વિચાર કરતાં સહેજે સમજી શકાય છે કે ભક્તિ કેવળ ભાવજગતમાં જીવવાનું સાધન નથી. પરંતુ સમસ્ત જીવનમાં ક્રાંતિ કરનારું, જીવનની વિશુદ્ધિ કરનારું અને જીવનમાં નવો પ્રાણ રેડી જીવનને ઈશ્વરપરાયણ બનાવનારું મહાન બળ છે. સાધક અથવા પરમાર્થના પથિકે એ દ્રષ્ટિએ જ એનો આધાર લેવાનો છે. ભક્તિના એ પ્રકારો પોતાના જીવનમાં પ્રત્યક્ષ થાય છે કે નહિ તેનું ધ્યાન જો ભક્ત નહિ રાખે; ને જો તે જપ, વ્રત, સ્વાધ્યાય તથા તીર્થાટન જેવાં બાહ્ય સાધનોનો જ આધાર લેશે તો તે સાધનો શુષ્ક બનીને તેને ભક્તિ તથા તેના દ્વારા મળનારા ઈશ્વરાનુગ્રહનો સાચો ને સંપૂર્ણ સ્વાદ નહિ આપી શકે.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.