if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

એકાદશીને માટે જનસમાજમાં પેલી પ્રસિદ્ધ પંક્તિ વારંવાર ગાવામાં આવે છે: ‘એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ’. એ ગીત-વચનમાં વિશ્વાસ રાખીને કેટલાક લોકો મરણ પછી વૈકુંઠ પામવાની અભિલાષાથી પ્રેરાઈને એકાદશીનું વ્રત કરતા હોય છે. એકાદશી-વ્રતના મહિમાની કથાઓ પણ પ્રસિદ્ધ થઈ છે. એ કથાઓનું પારાયણ એકાદશીને દિવસે કરવાની પરિપાટી છે. એકાદશીના વ્રતપાલનથી અમુક માણસને અમુક ફળ મળ્યું, અને અમુક સ્ત્રી કે પુરુષની અમુક ભાવનાની પૂર્તિ થઈ, એવાં એવાં વિધાનોથી ભરપૂર વાર્તાઓ વાંચીને, એમાં કહેલી ફળશ્રુતિથી આકર્ષાઈને બીજા ભાવિક લોકો પણ વ્રત કરવા પ્રેરાતા હોય છે. સામાન્ય રીતે મનુષ્યનો સ્વભાવ જ એવો છે કે વ્રત કે તપને ખાતર વ્રત કે તપ કરવાની પ્રેરણા એને ભાગ્યે જ થવાની. એ વધારે ભાગે ગણતરીબાજ હોય છે. દુન્વયી વસ્તુ અને વિષયોનું આકર્ષણ એને સદાયે થયા કરવાનું. એ ઉપરાંત, મરણોત્તર સુખશાંતિ ને સદ્દગતિની ચાહના પણ એને રહ્યા કરવાની. એટલે વ્રત ને તપ દ્વારા જો એ વસ્તુઓની પ્રાપ્તિની સંભાવના હોય તો એમના અનુષ્ઠાન માટેનો રસ એનામાં અવશ્ય ઉત્પન્ન થવાનો. મનુષ્યસ્વભાવની એ વિશેષતાને ઓળખીને એને સત્કર્મમાં પ્રેરવા માટે જુદી જુદી ધર્મક્રિયાઓની ફળશ્રુતિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. એ ફળશ્રુતિઓ ઈહ લોક તથા પરલોક બંનેની સાથે સંબંધ ધરાવનારી છે એ ખાસ યાદ રાખવાનું છે. એકાદશીની ફળશ્રુતિ પણ એ સંદર્ભમાં જ સમજી લેવાની છે.

જનસમાજમાં એવી રીતે એકાદશીનું પરંપરાગત વ્રત ચાલ્યું આવે છે, પરંતુ તેની પાછળ જે આધ્યાત્મિક મર્મ છે તેને વ્રત કરનારા ભાગ્યે જ સમજે છે. તે મર્મ ખરેખર સમજવા તેમજ યાદ રાખવા જેવો છે. ઉપનિષદમાં શરીરને દસ બારણાંવાળા નગરની સાથે સરખાવવામાં આવ્યું છે. ગીતામાં नवद्वारे पुरे કહીને શરીરને નવ દ્વારવાળું નગર કહ્યું છે. તો ઉપનિષદમાં બીજે એક ઠેકાણે पुरं एकादशं द्वारम् એવો ઉલ્લેખ કરીને શરીરને અગિયાર બારણાંવાળું નગર કહેવામાં આવ્યું છે. શરીરરૂપી નગરનાં એ નવ, દસ કે અગિયાર દ્વાર કયા છે ? ઈન્દ્રિયો. મનનો પણ એ ઈન્દ્રિયો અથવા તો દ્વારમાં જ સમાવેશ થઈ જાય છે. એ ઈન્દ્રિયો અથવા તો બારણાંની મદદથી જીવાત્મા બાહ્ય જગતનો અનુભવ કરે છે, એના વિવિધ વિષયો ને પદાર્થોને ભોગવે છે અને એની પ્રતિક્રિયારૂપે સુખી અથવા દુઃખી થાય છે. શરીરનાં એ કુદરતી બારીબારણાંને બંધ કરીને જે શાંતિપૂર્વક સ્થિરતાથી એક આસન પર એકાંતમાં બેસે છે, તેને એવા એકધારા લાંબા અભ્યાસના ફળરૂપે, પોતાની અંદર રહેલી પરમાત્માની પરમ જ્યોતિની ઝાંખી થાય છે, અને પરમ શાંતિ તથા મુક્તિ મળી જાય છે. તેના હૃદયની ગાંઠો તૂટી જાય છે, અને સંશયો છેદાઈ જાય છે. આ છે સાચું એકાદશીવ્રત અને સાચા એકાદશીવ્રતનો મહિમા. એકાદશીના જ દિવસે નહિ પરંતુ પ્રત્યેક દિવસે આવું સંયમશીલ આત્મશાંતિ આપનારું સાધનાવ્રત કરવું જોઈએ. તો જ તેનો ધારેલો લાભ મળી શકે. અને પ્રત્યેક દિવસે કોઈ કારણથી નિયમિત રીતે એવું વ્રત ના કરાય તો એકાદશીને દિવસે તો ગમે તેમ કરીને પણ વખત કાઢીને કરવું જ જોઈએ. એવું વ્રત કરવાથી શાંતિ, મુક્તિ ને પરમાત્મદર્શનરૂપી વૈકુંઠ જરૂર મળે. અલબત્ત, એ વૈકુંઠની પ્રાપ્તિ શરીર છોડ્યા પછી નહિ પરંતુ શરીર છોડ્યા પહેલાં જ થઈ જાય.

શરીરનાં અગિયાર બારણાંને બિલકુલ બંધ કરીને અંદર રહેલા પરમાત્માના પરમ પ્રકાશનું દર્શન કરવાનું કામ કાંઈ ધાર્યા જેટલું સહેલું નથી. તેમાં મદદ મળે તે માટે, સૌથી પહેલાં તો ઈન્દ્રિયોનાં એ બારણાંમાં વિશુદ્ધ પવનનો પ્રવેશ થાય તેવું કરવું જોઈએ. એટલે કે આંખ દ્વારા સારું જ જોવાય, કાન દ્વારા સારું જ સંભળાય, મન દ્વારા સારું ચિંતનમનન કે સારા સંકલ્પવિકલ્પ થાય, અને એવી રીતે બીજી બધી ઈન્દ્રિયો શુભમાં જ પ્રવૃત્ત થાય તથા અશુભ તરફ ભૂલેચૂકે પણ ના જાય, એવી કોશિશ કરવી પડશે. એવી કોશિશ પણ જો કે હમેશાંને માટે કરવાની રહેશે, પરંતુ અગિયારસને દિવસે તો એને માટે ખૂબ જ જાગ્રત રહેવું પડશે. લોકો અગિયારસનું વ્રત કરે છે અને બીજાં બધાં વ્રત પણ કરે છે, પરંતુ એવી જાગૃતિ ભાગ્યે જ રાખે છે. એને લીધે વ્રતનો સાચો આનંદ નથી મળતો, તથા તેની મદદથી જેવો આત્મવિકાસ થવો જોઈએ તેવો વિકાસ પણ નથી થતો. આજે તો એકાદશીવ્રત છે અથવા બીજું વ્રત છે, માટે બીજા દિવસે ગમેતેમ થતું હોય પણ આજે તો જૂઠું ના જ બોલાય કે ક્રોધ ના જ કરાય: આજે તો શારીરિક સંયમ કે પવિત્રતાનું પાલન કરવું જ જોઈએ અને કટુ વચન ના બોલાય: આજે તો કોઈની સાથે છેતરપીંડી ના જ થાય, દગો ના જ રમાય, ખોટું જોખાય-તોલાય કે લખાય નહિ, તેમ જ વ્યસન પણ ના થાય: આજે તો કોઈને મદદરૂપ થવું જ જોઈએ અને કોઈક સારું કામ પણ કરવું જોઈએ: એવો આગ્રહ જો ખરેખર રાખવામાં આવે ને તે પ્રમાણે ચાલવામાં આવે, તો તમને નથી લાગતું કે વ્રત કરનારના જીવનમાં-તન મન અને અંતરમાં, વિશુદ્ધિનું વૈકુંઠ ઊતરી જાય ? અને સંસારમાં બધે જ જો એવું વ્રતપાલન થાય તો સમસ્ત સંસાર વૈકુંઠરૂપ થાય એમ પણ નથી લાગતું ? વ્રતની યોજના એટલા માટે જ હતી, પરંતુ એવું વ્રતપાલન અત્યારે ક્યાં થાય છે ને કેટલાક કરે છે ?

અત્યારે તો વ્રત કે ઉપવાસની પાછળ જે આરોગ્યની ભાવના છે તે પણ ભાગ્યે જ સચવાય છે. ભારતના સમાજશાસ્ત્રીઓ થોડાક વધારે ઉદાર હતા. તેથી તેમણે વ્રત કે ઉપવાસના દિવસોમાં ફળાહાર કરવાની અનુજ્ઞા આપી. એ ફળાહાર પણ અત્યંત સૂક્ષ્મ, અલ્પ અને એકવાર. પરંતુ ફળાહારના નામ પ્રમાણે પ્રજાએ ફળાહારમાં કેવળ ફળનો જ સમાવેશ કરવાને બદલે, બટાટા, શક્કરિયાં, રબડી, શીખંડ ને મીઠાઈથી માંડીને રાજગરાનો શિરો, પૂરી, ફરાળી ભજીયાં, હલવો, કઢી ને સામાનો ભાત - સૌનો સમાવેશ કર્યો. એવી રીતે ફળાહાર સૂક્ષ્મને બદલે ભગવાનના વિશ્વરૂપ જેવો અતિસ્થૂળ અને વિશાળ બની ગયો. આજે એની એ જ દશા છે. પરિણામે કેટલાંક ઘરોમાં તો ઉપવાસને દિવસે સ્ત્રીઓને ભારે માઠું લાગે છે. તેમની પ્રવૃત્તિ વધી પડે છે ને તેમની સ્થિતિ કફોડી બને છે. ફરાળ બનાવવામાંથી તે ઊંચી જ નથી આવતી અને એવું ફરાળ કાંઈ એક વાર ઓછું થાય છે ? એનું નામ જ ફરાળ એટલે એનો કોઈ નિયમ જ નહિં. એ તો ગમે તેટલી વાર કરી શકાય. બે કે ત્રણ વાર તો ખરું જ. આમાં આરોગ્યનો મહિમા ક્યાં સચવાયો ? આરોગ્યનો મહિમા સાચવવો છે જ કોને ? સ્વાદનો મહિમા ના સાચવે ! અને આવા આકર્ષક સુંદર ફરાળવાળા વ્રતની આગળ પાછળનો ઈતિહાસ જાણો છો ? વ્રતની આગલી રાતે જરાક મોડું જમવા બેસે ત્યારે ઘરવાળાં પણ આગ્રહ કરીને બે રોટલી વધારે ખવડાને ને કહે કે કાલે તો ઉપવાસ છે માટે શાંતિથી જમો. શી ઉતાવળ છે ? બીજે દિવસે ઉપર કહ્યું તેવું ભરપેટ ફરાળ થાય, ને રાતે સૂતા પહેલાં જ કહી દેવામાં આવે કે આજે મારે ઉપવાસ છે માટે કાલે રસોઈ જરા વહેલી બનાવજો. આવા ઉપવાસ આરોગ્યરૂપી વૈકુંઠમાં કેવી રીતે પહોંચાડે ? અનારોગ્યના નરકમાં પહોંચાડે તો ભલે. એ દિવસે ઘરની સ્ત્રીઓને આરામ તો મળે જ ક્યાંથી ? ભારે ખાવાથી આળસ આવે, ઊંઘ આવે ને ભગવાનના ભજનને બદલે સ્વપ્નાંની પરંપરા ચાલે તે નફામાં. વ્રત કે ઉપવાસનો આખો ઉદ્દેશ માર્યો જાય છે.

વ્રતને દિવસે કેવળ દૂધ લેવાય તો સારુ. તે શક્ય ના હોય તો ફળ લઈ શકાય. નહિં તો એકવારનું  સાધારણ ફરાળ લઈ શકાય. એ દિવસે સદ્દવિચાર, સદ્દવાચન ને સત્કર્મ કરવાનો આગ્રહ રખાય તે મહત્વનું છે. તો વ્રત લાભકારક થઈ શકે. હું તો એકાદશીને દિવસે ફક્ત દૂધ જ લઉં છું. એટલે બારસને દિવસે જ ચમત્કાર થાય છે. પેટ સાફ થઈ જાય છે. મળ તંદુરસ્ત શરીરને છાજે તેવો નીકળે છે. એટલે કોઈ મને પૂછે છે કે એકાદશી કરવાથી વૈકુંઠ મળે છે? તો હું તો તરત જ ઉત્તર આપું છું કે દર બારસે આરોગ્યરૂપી વૈકુંઠ મળે છે. એટલુ બધું વહેલું. તેમાં વિલંબ નથી લાગતો.

વ્રતની પાછળની ભાવના એવી રીતે ત્રિવિધ છે: સ્વાસ્થ્યની ભાવના, જીવનની સુધારણા ને પ્રભુપરાયણતાની ભાવના તથા પરમાત્માની પ્રાપ્તિ કરીને પરમ શાંતિ મેળવવાની ભાવના. એ ભાવનાને સાર્થક કરીએ તો જીવન સફળ થાય.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.