if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

{slide=Bhishma's greatness}

When the Mahabharat war about to begin, Yudhisthir put aside his weapons, removed his protective kavacha, left his chariot and headed towards Kauravas camp. Everybody in Pandavas camp were taken aback by Yudhisthir's gesture but Krishna knew what was in Yudhisthir's mind. Yudhisthir reached Kauravas side and bowed down to Bhishma. He politely asked Bhishma's permission to begin war and requested him to reveal a way to win him in the battlefield. Bhishma was extremely happy at Yudhisthir's modesty and his gesture so he blessed Yudhisthir for Pandavas victory. Bhishma also promised that he would reveal the secret to defeat him the in the battlefield at an appropriate time.

Yudhisthir then met Drona and asked for Drona's blessings. Drona was happy at Yudhisthir's humbleness and blessed him for Pandavas win. Yudhisthir also asked Drona how they could defeat him, replying to which Drona revealed that he would be vulnerable only when he would give up his arms or when he would receive any unfavorable news in the battlefield from a respected figure. After receiving blessings from Bhishma and Drona, Yudhisthir returned to his camp.

This incident speaks volumes about Yudhisthir's modesty and greatness of Bhishma and Drona as in spite of fighting for Kauravas, they blessed Yudhisthir for their victory. Their greatness was worth a salute.

{/slide}

મહાભારતના મહાભીષણ સંગ્રામના પ્રારંભ પહેલાં એક આશ્ચર્યકારક ઘટના બની.

મહાભારતમાં એ ઘટનાનું વર્ણન કરાયલું છે.

સાગર સમાન અવારનવાર ઊછળી રહેલી કૌરવ-પાંડવોની પ્રતિસ્પર્ધી સુવિશાળ સેનાઓને સંગ્રામને માટે સુસજ્જ થયેલી દેખીને યુધિષ્ઠિરે પોતાના કવચને છોડી નાખીને, ઉત્તમ અસાઘારણ આયુધોને ઉતારી નાખ્યાં.

એમણે રણમાંથી ઊતરી પડીને બે હાથ જોડીને પગપાળા જ ચાલવા માંડયું.

એમણે વાણીને સંયમમાં રાખીને તથા ભીષ્મ પિતામહ તરફ દૃષ્ટિ રાખીને પૂર્વાભિમુખે શત્રુસેનામાં જવા માંડયું.

તેમને એ પ્રમાણે જતા જોઇને ધનંજય રથમાંથી એકદમ નીચે ઊતરી પડયો, અને પોતાના ભાઇઓ સાથે તેમની પાછળ ચાલવા લાગ્યો.

ત્યારે ભગવાન વાસુદેવ પણ એમની પાછળ ચાલ્યા, એટલે બીજા મુખ્ય રાજવીઓ પણ ઉત્સુક ચિત્તે એમને અનુસરવા લાગ્યા.

અર્જુને પૂછ્યું કે તમે શું માંડયું છે ? અમને મુકીને તમે પગપાળા જ પૂર્વાભિમુખે શત્રુસેનામાં જઇ રહ્યા છો.

ભીમસેને જણાવ્યું કે કવચ અને આયુઘને ઉતારીને અને સર્વ ભાઇઓને છોડીને, તમે કવચબદ્ધ એવી આ શત્રુસેનાઓમાં કેમ જાવ છો ?

નકુલે કહ્યું કે તમે આવી રીતે ચાલી નીકળ્યા છો તેથી મારું હૃદય ભયથી ભેદાઇ જાય છે.

સહદેવ બોલ્યો કે આ મહાભયંકર સંગ્રામની શરૂઆતમાં તમે અમને મૂકીને શત્રુઓ તરફ કેમ ચાલ્યા?

યુધિષ્ઠિર કશું જ બોલ્યા નહીં અને મૂંગા મૂંગા આગળ ચાલતા રહ્યા. ત્યારે મહા બુદ્ધિમાન મહા મનસ્વી વાસુદેવે તેમને જાણે હસતા હોય તેમ કહ્યું કે મેં યુધિષ્ઠિરના વિચારને કળી લીધો છે. એ ધર્મરાજ ભીષ્મ, દ્રોણ, ગૌતમવંશી કૃપ અને શલ્ય આદિ સર્વગુરુજનોની અનુમતિ વિના જ યુદ્ધ કરવા ઇચ્છે છે. જે મનુષ્ય ગુરુજનોની અનુમતિ વિના જ યુદ્ધ કરે છે તે મહાપુરુષોની ઘૃણાને નોતરે છે; પરંતુ જે મનુષ્ય શાસ્ત્રાનુસાર સંમતિ મેળવીને મહાન પુરુષો સાથે યુદ્ધ કરે છે તેનો યુદ્ધમાં વિજય થાય છે.

ભાઇઓથી વીંટાયેલા યુધિષ્ઠિરે બાણો અને શક્તિઓથી સજ્જ થયેલી શત્રુસેનામાં પ્રવેશ કર્યો. એ સત્વર ભીષ્મ પાસે પહોંચી ગયા. એમણે યુદ્ધને માટે સજ્જ થઇ રહેલા શાન્તનું પુત્ર પિતામહ ભીષ્મના ચરણને બે હાથે સ્પર્શ કરીને શાંતિપૂર્વક જણાવ્યું કે અમે તમારી સાથે યુદ્ધ કરવાની ઇચ્છા રાખીએ છીએ. એને માટે હું તમારી અનુમતિ ઇચ્છું છું. તમે મને અનુજ્ઞા અને આશીર્વાદ આપો.

ભીષ્મે કહ્યું કે તું જો આ પ્રમાણે મારી પાસે ના આવ્યો હોત તો યુદ્ધમાં તારો પરાજય થશે એવો હું તને શાપ આપત. પણ હવે હું તારા ઉપર  પ્રસન્ન છું. તું ભલે યુદ્ધ કર અને વિજયમાળાની પ્રાપ્તિ કર. વળી સંગ્રામમાં તારી બીજી પણ જે કોઇ અભિલાષા હોય તે સફળ થાય. તું વરદાનને માંગી લે. તું મારી પાસેથી શું આકાંક્ષા રાખે છે ? પુરુષ અર્થનો દાસ છે પણ અર્થ કોઇનો પણ દાસ નથી. કૌરવોએ મને અર્થથી બાંધી લીધો છે.

યુધિષ્ઠિરે પુછ્યું કે હું તમને અપરાજિતને સંગ્રામમાં કેવી રીતે જીતી શકું ? જો તમે ખરેખર મારા હિતને વિચારતા હો તો મને એ સંબધી સલાહ આપો.

ભીષ્મે જણાવ્યું કે યુદ્ધમાં મને જીતી શકે એવા કોઇને હું જોતો નથી વળી અત્યારે મારો મૃત્યુકાળ પણ નથી. માટે તું ફરી કોઇવાર આવજે.

યુધિષ્ઠિરે ભીષ્મના વચનને શિર નમાવીને સ્વીકાર્યુ, અને તેમને ફરી અભિવંદન કર્યા. પછી તે પોતાના ભાઇઓ સાથે દ્રોણાચાર્યના રથ તરફ ચાલ્યા.

દ્રોણને વંદન અને પ્રદક્ષિણા કરીને તેમણે જણાવ્યું કે ભગવન ! હું નિર્દોષ તમારી સાથે યુદ્ધ કરવાની ઇચ્છા રાખું છું. તમારી અનુજ્ઞા પામીને હું સર્વ રિપુઓને રણસંગ્રામમાં કેવી રીતે જીતી શકું ?

દ્રોણ બોલ્યા કે યુદ્ધનો નિશ્ચય કર્યા પછી જો તું મારી પાસે આમ આવ્યો ના હોત તો હું તારો સર્વથા પરાભવ થાય એવો તને શાપ આપત. હું તારી પર પ્રસન્ન છું. તેં મારું પૂજન કર્યું છે. હું તને અનુજ્ઞા આપું છું કે તું યુદ્ધ કર અને વિજય પામ. હું કૌરવોને માટે યુદ્ધ તો કરીશ જ. કિન્તુ વિજય તો તારો જ ઇચ્છીશ. હું તને આશીર્વાદ આપું છું કે તું રણમાં શત્રુઓનો નાશ કરીશ. જ્યાં ધર્મ છે જ્યાં શ્રીકૃષ્ણ છે ત્યાં જય છે. રથમાં બેઠેલા, બાણવર્ષા વરસાવતા, આવેશપૂર્વક યુદ્ધ કરી રહેલા, મને હણી શકે એવા કોઇ શત્રુને હું જોતો નથી. છતાં પણ મેં શસ્ત્રોને છોડયાં હોય અને હું રણસંગ્રામમાં અચેતન જેવો થઇ ગયો હોઉં ત્યારે, યોદ્ધાઓ મને હણી શકશે. જેના જેના વચન વિશે શ્રદ્ધા રાખી શકાય એવા પુરુષના મુખથી મહાન અપ્રિય વચનને સાંભળીને હું યુદ્ધમાં શસ્ત્ર ત્યાગ કરીશ.

દ્રોણના શબ્દોને સાંભળીને અને એમની અનુમતિ લઇને યુધિષ્ઠિર કૃપાચાર્ય તરફ ગયા.

કૃપાચાર્ય તથા શલ્યની અનુમતિ અને આશિષ મેળવીને યુધિષ્ઠિર પાછા વળ્યા. અને કૃષ્ણ કર્ણની પાસે પહોંચ્યા. એમણે કર્ણને ફરીવાર સમજાવી જોયો. કિન્તુ કર્ણ ના માન્યો.

યુયુત્સુ દુંદુભિઘોષ કરાવીને કૌરવોને છોડીને પાંડવોની સેનામાં ચાલ્યો ગયો. આથી યુધિષ્ઠિરરાજ પોતાના નાના ભાઇઓ સાથે અતિ આનંદ પામ્યા. અને તેમણે ફરીવાર કનકના જેવા ઉજ્જવળ કવચને ધારણ કર્યું.

વીરોએ હર્ષમાં આવીને સેંકડો અને હજારો મહાભેરીઓ વગાડી તેમજ ગાયના દૂધ જેવા ઉજળાં શંખોને બજાવ્યા.

ઉપર્યુક્ત પ્રસંગ દ્વારા ભીષ્મ તથા દ્રોણ તથા કૃપાચાર્ય જેવા મહાપુરુષોની ઉદારતા પ્રગટ થાય છે. યુધિષ્ઠિર પોતાના પ્રતિસ્પર્ધી હોવા છતાં એમણે એમને આશીર્વાદ આપ્યા એ એમની મહાનતા દર્શાવે છે. યુધિષ્ઠિરની એમને માટેની પૂજ્યભાવના પણ એ પ્રસંગમાં પ્રતિબિંબિત બને છે. મહાપુરુષોનું પૂજન સેવન નિરર્થક નથી જતું; સદા શ્રેયસ્કર થાય છે, એની પ્રતીતિ એ પ્રસંગ પરથી થઇ રહી છે.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.