if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પ્રશ્ન: જપમાં આગળ વધ્યા એવું ક્યારે કહેવાય ?

ઉત્તર: જપ કરતાં કરતાં એટલી બધી એકાગ્રતા થઈ જાય કે મન બીજે ક્યાંય જાય જ નહીં, જપમાં જ રોકાઈ જાય, અને એટલો બધો આનંદ આવે કે વાત નહીં. બીજું બધું જ ભૂલાઈ જાય. જે સ્થાનમાં બેઠા હોઈએ તે સ્થાન, કાળ, ને પોતાનું શરીર પણ - એવી દશાની પ્રાપ્તિ થાય, અને એ દશા સ્વાભાવિક કે સહજ બની જાય, ત્યારે જપની સાધનામાં આગળ વધ્યા એવું કહેવાય છે.

પ્રશ્ન: એ સિવાય બીજું કોઈ લક્ષણ છે ખરું ?

ઉત્તર: કેમ નહીં ? જપ કરતાં કરતાં મન જ્યારે નિર્મળ થાય છે, ત્યારે એની અંદર પરમાત્માને માટેના પરમ પ્રેમનું પ્રાકટ્ય થાય છે. એ પ્રેમનો પ્રવાહ પછીથી સાધકના પ્રત્યેક પરમાણુમાંથી વહેવા માંડે છે. પછી તો જપ કરતાંવેંત એનું અંતર એક પ્રકારના અવર્ણનીય આનંદથી નાચી ઊઠે છે. અને રોમાંચ થાય છે, ને પ્રેમાશ્રુ આવે છે. જપ કરતી વખતે એ ઊંડા ભાવમાં ડૂબી જાય છે. કેટલીકવાર તો શરીરની સંજ્ઞા કે બાહ્ય ચેતના ભૂલી જવાથી, જપ કરવાનું કામ પણ એકાએક અટકી પડે છે. એ દશામાં કેટલોક વખત વીતી જાય છે, તેની ખબર પણ નથી પડતી. એ પણ જપમાં પ્રગતિ કર્યાનું મહત્વનું લક્ષણ છે. અલબત્ત, એ જડતા, પ્રમાદ, આળસ કે ઊંઘની નિશાની નથી. પરંતુ પ્રેમ અથવા તો એકાગ્રતાને પરિણામે પ્રાપ્ત થતા વિકાસની છે. એ નિશાનીને શાસ્ત્રીય પરિભાષામાં યોગનિદ્રાને નામે પણ ઓળખવામાં આવે છે.

પ્રશ્ન: જપ કરીને કોઈ કોઈ સાધકો કોઈ દુન્વયી વસ્તુની સિદ્ધિ કરે છે એ સાચું છે ?

ઉત્તર: કેટલેક અંશે એ સાચું છે. એવા જપને અનુષ્ઠાન પણ કહેવામાં આવે છે. કેટલાક સાધકો બીજાને માટે પણ જપ કે અનુષ્ઠાન કરતા હોય છે. એથી કોઈ કોઈવાર ધાર્યા લાભ થાય છે પણ ખરા. છતાં પણ એવા અનુષ્ઠાન આત્મવિકાસની દૃષ્ટિએ બહુ આવકારદાયક નથી. જીવન બહુ ટૂંકું છે, ઝડપી છે, ને કરવાનું કામ ઘણું મોટું છે. એટલા માટે સમજુ સાધકોએ બીજી બધી જ આવડતોમાંથી મનને પાછું વાળી લઈ, પરમાત્માનો જ સાક્ષાત્કાર કરવાનો પ્રયાસ કરવો જોઈએ. એ જ સિદ્ધિ-પરમાત્માના સાક્ષાત્કારની સિદ્ધિ-સૌથી કીમતી છે, મહત્વની છે, મંગલમય છે, ને એને સાધવાથી જ પરમશક્તિ મળી શકે છે. એ સદાય યાદ રાખવાનું છે.

પ્રશ્ન: આ બધા લાભ ઓછામાં ઓછા કેટલા વખતમાં થઈ શકે ?

ઉત્તર: એનો કોઈ ચોક્કસ વખત નથી. એનો આધાર તમારા પર રહે છે. જેવું તમારું મનોબળ, જેવો તમારો સંકલ્પ ને જેવી તમારી મહેનત. જો તમે મન લગાડીને પુરુષાર્થ કરતા હશો, તો બહુ જ ઓછા વખતમાં એ લાભ મેળવી શકશો. અને જો રગશિયા ગાડાની પેઠે અથવા ગોકળગાયની ગતિથી ધીરેધીરે ચાલતા હશો, તો જન્મો જતા રહેશે. કેટલા વખતમાં લાભ મેળવવો તે તમારા હાથની વાત છે.

પ્રશ્ન: કયા જપ સર્વોત્તમ છે ?

ઉત્તર: જપમાં ઉત્તમ કે અધમ જેવું કશું જ નથી. બધા જ જપ સર્વોત્તમ છે, એમ સમજીને તમે જે ઠીક લાગે તે કોઈનો પણ આધાર લો, ને તે જપને પ્રેમ તથા શ્રદ્ધાપૂર્વક જપવા માંડો. એટલે તે તમારે માટે ચમત્કારિક થઈ પડશે. તમને ખબર નથી કે વાલ્મિકી રામ-રામને બદલે મરા-મરા કરીને તરી ગયા ?? તમે પણ એવી નિષ્ડાથી કોઈ જપનો આધાર લો તો જરૂર તરી જશો. એમાં શંકા જ નથી.

પ્રશ્ન: પરંતુ જપ કરનારા કેટલાય લોકો શાંતિથી રહિત દેખાય છે તેનું કારણ ?

ઉત્તર: કારણ તેનાં ઘણાં છે. પરંતુ એક મોટું કારણ એ છે કે જપ કરનારે પોતાની હૃદયની શુદ્ધિ પ્રત્યે પૂરતું ધ્યાન આપ્યું નથી હોતું. એટલે તેનું મન હંમેશા લાલસાયુક્ત રહે છે. જો જપ કરનાર સંખ્યાનું જેટલું ધ્યાન રાખે છે તેટલું ધ્યાન મનની સુધારણાનું રાખે, તો મનની શાંતિ સહજ બને. જપ જડ અથવા યાંત્રિક ના બની જાય પરંતુ આત્મોન્નતિના સાધનરૂપ થાય. જપ કરનારે પોતાના સ્વભાવને ઉત્તરોત્તર સાત્વિક કરવા તરફ ખૂબ ધ્યાન આપવું જોઈએ. એમ કરવાથી અશાંતિની ફરિયાદ દૂર થઈ જશે.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.