ગુપત રસ આ જાણી લેજો પાનબાઈ!
જેથી જાણવું રહે નહિ કાંઈ,
ઓઘ રે આનંદના કાયમ રહે,
ને સેજે સંશય બધા મટી જાય ... ગુપત.
શુરવીર થૈને સંગ્રામે ચડવું પાનબાઈ,
માયલું મન ફરી ઊભું ન થાય;
કેવળ ભક્તિને તમે એમ પામો પાનબાઈ,
જેથી જનમ મરણ સહેજે મટી જાય ... ગુપત.
પરપંચનાં તોડી નાખો પડલ પાનબાઈ,
તો તો પચરંગી પાર જણાય;
જથારથ પદને જાણ્યા પછી પાનબાઈ,
ભાવ કભાવ મનમાં નહિ થાય ... ગુપત.
મેદાનમાં હવે મામલો મચાવો પાનબાઈ,
ભજન કરો ભરપૂર,
ગંગા રે સતી એમ બોલિયાં રે,
વરસાવો નિર્મળ નર ... ગુપત.
- ગંગા સતી
Comments
જેથી જાણવું રહે નહિ કાંઈ,
ભક્તિમાર્ગમાં કહેવાયેલી આ વાત છે, જેનો અર્થ એવો થાય છે કે તમારા શ્વાસને આવતો અને જતો જોયા કરો અને એના દ્વારા શરીરમાંથી થતી સંવેદનાને જાણી લો જેથી મન એકાગ્ર થાય.
ઓઘ રે આનંદના કાયમ રહે,
ને સેજે સંશય બધા મટી જાય
આમ દરેક જાતના સુખ દુખ મટી જાય.
શુરવીર થૈને સંગ્રામે ચડવું પાનબાઈ
જ્યારે પણ માનવી સાધના કરવા બેસે છે ત્યારે ખુબ કષ્ટ પ઼ડે છે. અને માયલું મન ફરી ઊભું ન થાય, અને અનેક જાતના વિચારોથી મન ભટકી જાય છે. તો શુરવીર થૈને સંગ્રામે ચડવું .. એટલે કે ખુબ હિંમત કરીને અડગ મન બનાવીને ભક્તિ કરવી, સાધના કરવી.. જેથી જનમ મરણ સહેજે મટી જાય .. એટલે કે મન નિતાંત નિર્મળ બની જાય, મોહમાયાના બંધન છુટી જાય.
પરપંચનાં તોડી નાખો પડલ પાનબાઈ.. એટલે કે આપણી ખુબ જુની માન્યતા (પરંપરાગત મારું-તારું, સારું-નરસુંની લાગણીઓ)ને છોડીને વિપસ્યનામાં લીન થાઓ.. તો તો પચરંગી પાર જણાય .. એટલે કે બ્રહ્મલોકના દર્શન થાય. આ બ્રહ્મલોકને જાણી લીધા પછી ..ભાવ કભાવ મનમાં નહિ થાય..એટલે કે મનમાં બીજી કોઈ સુખ દુખની અનુભૂતિઓ નહીં રહે. દરેક પરિસ્થિતિમાં સમતામાં રહી શકાશે...મેદાનમાં હવે મામલો મચાવો ..એટલે કે આમ હવે સાધનામાં ખુબ ખુબ પ્રગતિ કરો અને મુક્તિનો આનંદ માણો... વરસાવો નિર્મળ નર.. મનને નિતાંત નિર્મળ બનાવો.