if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

કન્યા વિદ્યાલય, ભાદરણ.
તા. ૧૯ જુલાઈ, ૧૯૪૧

વ્હાલા નારાયણ,

આજે ગામથી દૂર દૂર આવેલા એક ખેતરમાંથી પત્ર લખવામાં આવે છે. સમય સાંજનો છે. સામે જ વૃક્ષની હાર છે ને તેના પર ઊભેલો સૂર્ય મારાં દર્શન કરતો કરતો કૃતાર્થ થાય છે. સાથે જ આ સુમધુર પવન વાય છે. એનું ગીત પણ અદભુત છે.

હૃદયમાં આ વખતે અનેરું ગીત જાગી રહ્યું છે. સંપૂર્ણ સંવાદ છે. દેહથી ભિન્નત્વની દશા અનુભવાઈ રહી છે. સંપૂર્ણ શાંતિથી આ લખાય છે.

આંખ આગળ હિંદમાતા આવે છે. હાથમાં સિતાર છે. માથું ઉઘાડું છે. લટેલટ વિખરાઈ ગઈ છે. પગમાં જોર નથી. માથું ઢળી ગયું છે-એ સિતાર પર નમી પડ્યું છે. સિતારના તાર તૂટી ગયા છે, ગીત બંધ પડી ગયું છે. 'મા'ની આંખમાં દર્દ છે, કરુણા છે, અપાર વેદના છે. એ પૃથ્વીના ગોળા પર બેઠી છે. એક વખત એ એવી ન હતી. આખી સૃષ્ટિની શક્તિ હતી. સૌને પ્રેરણા પાનારી એ એક વખત પરમપાવની હતી. આજે એ કેવી છે ? એના સુમધુર મુખમાંથી આજે એક સ્વર પણ નીકળતો નથી, એક શ્વાસ પણ છૂટતો નથી-અરે, એની આંખ ભીની છે. આંસુની ધાર પણ ઊઠી શકતી નથી. કેમ આમ થયું ? એના બાળકોએ એને ધુતકારી કાઢી ? એનાં છોરુ કછોરુ પાક્યાં ? એક વારની ગંગા હતી-મૈયા હતી. એનાં ધાવણ કેમ સુકાયાં ? એ કેમ દીન બની ? એ શાંતિનો અવતાર હતી. ભીષ્મ, કૃષ્ણ, ઋષિવરો એના પુત્રો હતા. સીતા ને સાવિત્રી એની સહેલી હતી. દુષ્યન્ત ને અશોક, શિવાજી ને પ્રતાપ તથા જનક એના કુંવર હતા. એને ખોળે કોણ ન હતાં ? નદીનાં મીઠાં તીર હતાં ને તટે તટે તીર્થ હતાં. આજે એ ક્યાં ગયાં ?

આંખમાં આંસુ આવે છે. માતાની આ દશા નથી જોઈ શકાતી. શું જે હજારોની પ્રેરણા હતી, જે હજારોની માતા હતી, હવે તે ફરી નહિ ઊઠે ? એની આંખ નહિ ઊઘડે ?

એ વિશ્વનો પ્રાણ છે ને એ વિશ્વની શક્તિ છે. બીજાએ એને હલકી ગણી, જંગલી કહી. ભલે, એને સુધરવું નથી. કટ્ટર દુશ્મન બની એકમેકની કતલ કરવી, લાખોની સંખ્યામાં ગુનેગાર કે બિનગુનેગારને ગોળીએ ઉડાડવા, કુમળાં કુસુમોને પળવારમાં હતાં-ન હતાં કરવાં, લક્ષ્મી ને સત્તાનાં સિંહાસનો માંડવાં, પાશવી લાલસાઓનાં ટોળેટોળાં કાઢવાં, આ જો સુધારો હોય તો એને એ નથી જોઈતો. ભલે એ ગૌ રહી. એને વાઘણ થવું નથી. એને આંચળે આંચળે એક વાર અવની વળગી હતી, એક વાર ફરી એ અવનીને નોતરશે, ફરી એનું પય ચખાડશે.

પેલે દિવસે દ્રૌપદીનાં ચીર ખેંચાયાં હતાં, આજે શાંતિનાં વસ્ત્ર ખેંચાઈ રહ્યાં છે. કયો કૃષ્ણ એની વહારે ધાય ? મારા ભાઈ, આપણે તો એ 'મા'ના બાળકો રહ્યાં. આપણો ધર્મ એ માતાની સારવાર કરવાનો રહ્યો. પણ આપણને એનો શો હક છે ? એ પવિત્ર પુરુષોની જનનીને, એ પતિતપાવનીને, સ્પર્શ પણ કરવાનો આપણને શો અધિકાર છે ? આપણે તો એની ગોદમાં લપાઓ. એને સમજો. એના આદર્શને જીવનમાં ઉતારો.

એનો મંત્ર ત્યાગનો છે; વિલાસ ને વૈભવને છોડવાનો, જીતવાનો છે, શુદ્ધ થવાનો છે. આટલું કર્યા પછી એને કહો- ઓ મા, હું તારો છું, તું મારી છે. એ જરૂર હસશે-ઊભી થશે.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.