if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुः
श्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि ।
सर्वं ब्रह्मौपनिषदं माऽहं ब्रह्म निराकुर्यां मा
मा ब्रह्म निराकारोदनिराकरणमस्त्वनिराकरणं मेऽस्तु ।
तदात्मनि निरते य उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु ॥

શાંતિપાઠ
આ અંગ મારા પરિપૂર્ણ સ્વસ્થ હો,
હો ઈન્દ્રિયો સૌ બલવાન મારી;
ના છોડું કો’દી પ્રભુને હું સાચે,
ને ના મને યે પ્રભુ કો’દી છોડે.
અતૂટ સંબંધ હજો અમારો,
સૌ વેદધર્મો મુજમાંહિ મૂર્ત હો.
ૐ શાંતિઃ । શાંતિઃ । શાંતિઃ ॥

અર્થઃ

ૐ - હે પરમાત્મા
મમ - મારાં
અંગાનિ - સર્વે અંગ
વાક્ - વાણી
પ્રાણઃ - પ્રાણ
ચક્ષુઃ - આંખ
શ્રોત્રમ્ - કાન
ચ - અને
સર્વાણિ - સઘળી
ઇન્દ્રિયાણિ - ઇન્દ્રિયો
અથો - તથા
બલમ્ - બળ
આપ્યાયન્તુ - પુષ્ટિ પામે
સર્વમ્ - સર્વરૂપ
ઔપનિષદમ્ - ઉપનિષદ દ્વારા પ્રતિપાદિત
બ્રહ્મ - બ્રહ્મ છે.
અહમ્ - હું
બ્રહ્મ - એ બ્રહ્મનો
મા નિરાકુર્યામ્ - અસ્વીકાર કરું નહીં.
બ્રહ્મ - બ્રહ્મ
મા નિરાકરોત્ - મને પરિત્યાગે નહીં
અનિરાકરણમ્ - (એની સાથે મારો) અતૂટ સંબંધ
અસ્તુ - હો
મે - મારી સાથે
અનિરાકરણમ્ - (એનો) અતૂટ સંબંધ
અસ્તુ - હો
ઉપનિષત્સુ - ઉપનિષદમાં પ્રતિપાદિત
યો ધર્માઃ - જે ધર્મો છે
તે - તે સર્વે
તદાત્માનિ - એ પરમાત્મામાં
નિરતે - રત થયેલા
મયિ સન્તુ - મારામાં હો.
તે - તે સઘળાં
મયિ સન્તુ - મારામાં હો.
ૐ - હે પરમાત્મા
શાંતિઃ શાંતિઃ શાંતિઃ - ત્રિવિધ તાપની નિવૃતિ હો.

ભાવાર્થઃ

નિર્બળતા સર્વપ્રકારે નિરર્થક ને નુકસાનકારક છે. આશીર્વાદરૂપ નથી પરંતુ અભિશાપરૂપ છે. એટલે ઉપનિષદના શાંતિપાઠમાં એની ઇચ્છા રાખવાને બદલે શક્તિ-પ્રાપ્તિની કામના કરવામાં આવી છે. એ શક્તિ તમોગુણી ના હોય પણ શુદ્ધ સત્વગુણી હોય તો જ પોતાને ને બીજાને માટે કલ્યાણકારક, ઉપયોગી અને આશીર્વાદરૂપ બની શકે. એટલે એનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. શક્તિ સર્વાંગીણ એટલે કે શારીરિક, માનસિક, આત્મિક, ત્રણે પ્રકારની હોવી જોઇએ. એથી એની અપેક્ષા રાખવામાં આવી છે. શરીર મન, પ્રાણ, વાણી, આંખ, કાન સૌ તેજસ્વી બને ને પુષ્ટિ પામે એવી સદભાવનાને સેવવામાં આવી છે.

જીવનમાં શારીરિક, માનસિક, ઇન્દ્રિય વિષયક બળ હોય પરંતુ ધર્મપરાયણતા, સદાચાર, આધ્યાત્મિક અભિરૂચિ કે પરમાત્માની શ્રદ્ધાભક્તિ ના હોય તો એવા જીવનને પરિપૂર્ણ જીવન ના કહેવાય. એવું જીવન શાંતિ આપી શકે નહીં કે કૃતાર્થ પણ ના કરી શકે. વિજ્ઞાનની મદદથી અને ઔષધિઓના પ્રયોગથી સ્વસ્થ અને સશક્ત બની શકાય પરંતુ સદબુદ્ધિયુક્ત ધર્માચરણ વિના આત્મિક પરિબળ પ્રકટી ના શકે. એટલા માટે જ આ પાઠમાં ધર્મસંયુક્ત સદાચારનો ને પરમાત્માનો સ્વપ્ને પણ સંબંધવિચ્છેદ ના થાય એવું ઇચ્છવામાં આવ્યું છે. જે પરમાત્માને પકડી રાખે છે તેને પરમાત્મા પડવા દેતા નથી. પરમાત્મા સાથે સ્નેહસંબંધ રાખનાર પરમાત્માની પરમકૃપાને ને એમના સનાતન સુખસંબંઘનો અનુભવ કરે છે. જીવનની સાચી સફળતા તથા શાંતિનું મુખ્ય રહસ્ય એમાં જ રહેલું છે - પરમાત્માની સાથે જીવન જોડી દેવામાં અને આદર્શ ધર્માચરણમાં. એ દૃષ્ટિએ આ શાંતિપાઠનું મહત્વ ધાર્યા કરતાં ઘણું મોટું છે. એને ઉપનિષદના સંદેશના સારરૂપ કહી શકાય.


We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.