આ વખતની ગુજરાતયાત્રા દરમિયાન મારે અમદાવાદ રહેવાનું થયું. ત્યાં એક અમલદાર મળવા આવ્યા. તેમણે પરદેશમાં અભ્યાસ કર્યો હતો. તેમની સાથે કેટલીક વાતચીત થયા પછી તેમણે કહ્યું કે આપણે ત્યાં ભણેલા લોકોનો એક એવો વર્ગ છે જે ઈશ્વરને માનતો નથી. ઈશ્વરના સાક્ષાત્ દર્શનની વાતને સ્વીકારતો નથી, ને બીજા ઊંચી કોટિના કહેવાતા આધ્યાત્મિક અનુભવોને પણ તદ્દન પાયા વિનાના માને છે. તે વિશે તમારું શું કહેવું છે ? શું તેમનું વલણ સાચું નથી ? આવા તર્કપ્રધાન યુગમાં પણ તમે ઈશ્વરને વળગી રહ્યા છો અને આ માર્ગે ચાલી રહ્યા છો એ શું આશ્ચર્યકારક નથી ?
મેં એમને ઉત્તર આપતા કહ્યું કે મને તો તેમા કંઈ જ આશ્ચર્યકારક લાગતું નથી. તમને લાગે તો ભલે. ઈશ્વર અને આધ્યાત્મિકતા વિશે શિક્ષિત કહેવાતા લોકોનું વલણ કે મંતવ્ય તમે કહો છો તેવું હોય તો તે સંબંધમાં કહેવું જોઈએ કે તે બરાબર નથી. શિક્ષિત લોકો સાચી શિક્ષા કે સમજથી દૂર છે એની તે પરથી સૂચના મળે છે. આપણે ત્યાં ઘણા માણસો એવા છે જેમને આધ્યાત્મિક સાધનાનો લેશ પણ ખ્યાલ કે અનુભવ નથી હોતો. છતાં પણ વખત આવે છે ત્યારે તે 'અમે પણ કાંઇક જાણીએ છીએ' એવું માનીને ચર્ચા, વિવાદ ને ઉપદેશ દ્વારા પોતાના મિથ્યા જ્ઞાનનું પ્રદર્શન કરવા સદાય તૈયાર રહે છે. અને આધ્યાત્મિકતાને અન્યાય કર્યો છે એમના અભિપ્રાયોનું મહત્વ પણ શું ? જેણે જીવનભર દાક્તરી વિશે કંઇ જાણ્યું જ ન હોય અથવા દાક્તરી કરી જ ન હોય તેવા માણસ દાક્તરી વિશે અભિપ્રાય કે સલાહ આપવા બેસે, તો તેના અભિપ્રાય ને તેની સલાહનું મહત્વ કેટલું માની શકાય ? સંગીતને ન જાણનાર ને સમય આવતાં કંટાળી કે સૂગ ચઢાવીને સંગીતથી દૂર ને દૂર રહેનાર માણસ સંગીતની કળા વિશે ને કાયદાને ન જાણનારા કાયદાના શાસ્ત્ર વિશે મનગમતો અભિપ્રાય આપવા માંડે તો તે મિથ્યા બકવાદ નહિ તો બીજું શું કહેવાય ? આધ્યાત્મિકતા અને સાધનાનું પણ એમ જ સમજવાનું છે. તે વિશે કોઇ નિશ્ચિત નિર્ણય પર પહોંચવાની ઉતાવળ કરતાં પહેલાં માણસે ખૂબ ખૂબ ધીરજ રાખવાની ને વિચારણા ચલાવવાની છે.
તે ઉપરાંત વધારે મહત્વની વાત તો એ છે કે તેણે શક્તિ પ્રમાણે પોતાની મેળે સાધના કરવાની છે. સાધના દ્વારા લાંબા કાળ સુધી ઇશ્વરપરાયણ બનીને અનુભવી પુરુષોના આદેશાનુસાર પોતાની જાતનું ઘડતર કરવાનું છે. તે પછી જ જરૂર પડે તો મોં ઉઘાડવાનું છે. તે વખતે સ્વાનુભવથી સંપન્ન હોવાથી તેની વાણીમાંથી જે ઝરશે તે સત્ય જ હશે. તે બીજા માટે પ્રેરણાદાયક સાબિત થશે. સાધના કરતાં કરતાં પણ જ્યાં સુધી ધ્રુવપદે પહોંચાય કે સિદ્ધિ ના સાંપડે ત્યાં સુધી મૂંગે મોઢે સતત પ્રયાસ કરતાં રહેવાનું છે. પોતાની ત્રુટિને લીધે કેટલીકવાર માણસને સારા ઇશ્વરવિષયક અનુભવો નથી થતા ને સિદ્ધિ પણ નથી સાંપડતી. તેવા સંજોગોમાં ત્રુટિને શોધી કાઢીને સિદ્ધિનો માર્ગ પ્રકાશિત કરવાને બદલે તે ઇશ્વર અને સાધનાને જ મિથ્યા માનવા-મનાવવાની ભૂલમાં કેટલીકવાર પડી જાય છે. એ એક મોટું ભયસ્થાન છે ને તેનાથી સાવધ રહેવાની આવશ્યકતા છે. સ્વાનુભવો સિવાયના માણસો શિક્ષિત હોય તોપણ તેમના અભિપ્રાયનું વજન કેટલું ? તેમના કરતાં લાંબા વખતના અનુભવ પછી જેમણે તે વિષયો પર અભિપ્રાય આપ્યા છે તેમનું વજન વધારે છે અને તે વધારે સાંભળવા જેવા, સ્વીકાર્ય અને સાચા છે.
મારા જવાબથી તે ભાઇને રાહત મળી અને આનંદ થયો. જીવનમાં વરસોથી હું સાધનાના માર્ગે સફર કરું છું. ઇશ્વરનું શરણ લઇને વરસોથી એના એક નમ્રાતિનમ્ર શરણાગત શિશુ તરીકે આગળ વધું છું. તે દરમિયાન મને અનેક અનુભવ થયા છે ને ઇશ્વરની કૃપાનો લાભ પણ મળ્યો છે. તેવા સ્વાનુભવમાંથી જ મારી શ્રદ્ધા ને સમજશક્તિ ઉત્પન્ન થઇ છે. આ તર્કવાદના જમાનામાં, તર્કને નેવે મુક્યા વિના, તેથી જ ઇશ્વરનું શરણ લઇને ઇશ્વરની સાથે હું પ્રેમના અતૂટ મજબૂત દોરથી બંધાઇ ગયો છું. એમાં આશ્ચર્ય જેવું કશું જ નથી. આશ્ચર્ય લાગે તો એટલી આપણી કમનસીબી અને દીનતા સમજી લેવાની છે.
બાકી તો પરમ પ્રકાશના પાવન પંથના પ્રવાસની કથા પોતે જ કહેશે. તેને શાંતિપૂર્વક વાંચી વિચારી જવાથી ઘણી ઘણી શંકાનું સમાધાન થઇ જશે. તે પોતે જ હાજર થાય છે, પછી છૂટીછવાયી વિચારણાની શી જરૂર છે ? કૂવાથી જે હેતુ સરવાની શક્યતા છે તે સરોવરથી સહેજે સરી રહે છે.