બીજો પ્રશ્ન વિદર્ભ દેશના ભાર્ગવનો છે. તે મહર્ષિ પિપ્પલાદને પૂછે છે : ‘પ્રભુ, પ્રજાને કેટલા દેવો ધારણ કરે છે ? તેમાંના કેટલા પોતાની શક્તિ પ્રકટ કરે છે તથા તે દેવોમાં મુખ્ય દેવ કોણ છે ?’
તેના ઉત્તરમાં મહર્ષિ કહે છે કે પ્રજાને ધારણ કરનારા દેવો આકાશ, વાયુ, અગ્નિ, જળ ને પૃથ્વી એ પાંચ મહાભૂત તથા વાણી, મન, આંખ, કાન એ ઈન્દ્રિયો છે. તે બધા પોતાની શક્તિ પ્રકટ કરે છે ને કહે છે કે અમે જ આ શરીરને ધારણ કરીએ છીએ તેમ જ ટકાવીએ છીએ.
એકવાર તે સૌની અંદર ચર્ચા ચાલી કે શરીરને કોણ ધારણ કરે છે ને ટકાવે છે. દરેક પોતપોતાની મોટાઈ ને શક્તિનાં ગુણગાન ગાવા માડ્યાં ત્યારે છેવટે પ્રાણે તે બધાને કહ્યું કે તમે મોહમાં પડીને અજ્ઞાનને લીધે તમારી શક્તિનું અભિમાન ન કરો. હું જ મારા પોતાના પાંચ ભાગ કરીને આ શરીરને ટકાવી રાખું છું ને તેને ધારણ પણ કરું છું.
પરંતુ પ્રાણની વાતમાં કોઈને વિશ્વાસ ન બેઠો. તેથી મુખ્ય પ્રાણે શરીરની બહાર નીકળવાની શરૂઆત કરી. પરંતુ પ્રાણ વિના શરીરની બીજી ઈન્દ્રિયો શું કરે ? તે તદ્દન નિર્બળ ને નિષ્ક્રિય તથા ચેતન વિનાની થઈ ગઈ. મધમાખોનો રાજા મધપૂડાની બહાર નીકળે એટલે બધી મધમાખો બહાર નીકળે છે, ને જો મધપૂડામાં રહે તો બધી મધમાખો અંદર રહે છે, તેવી રીતે પ્રાણના બહાર નીકળવાની સાથે જ બધી ઈન્દ્રિયો કે તેના દેવો અશક્ત બની ગયા ને કોઈ જ કામ ન કરી શક્યા. શરીર પણ જડ જેવું થઈ ગયું.
વાસ્તવિક જગતમાં પણ એ જ અનુભવાય છે. શરીરમાં જ્યાં સુધી પ્રાણ હોય ત્યાં સુધી જીવન પણ ટકે છે. પરંતુ પ્રાણ બહાર નીકળ્યા પછી જીવનનું કોઈ પણ ચિહ્ન નથી રહેતું.
ઋષિ કહે છે કે ઈન્દ્રિયોના બધા દેવોએ પ્રાણની શ્રેષ્ઠતા જાણી. તેમને ખાતરી થઈ કે પ્રાણની મહત્તા સૌથી વધારે છે. તેથી તેમનો અહંકાર દૂર થયો ને તે બધા પ્રાણની પ્રશંસા કે સ્તુતિ કરવા માંડ્યા.
પ્રાણને લીધે શરીર, મન ને સમસ્ત બ્રહ્માંડ ટકી રહ્યાં છે. પ્રાણ વિના કશું ઘડીભર પણ ન ટકી શકે. ચર ને અચર, નાના ને મોટા બધા પદાર્થો પ્રાણતત્વને લીધે જ જીવન મેળવે છે. પરંતુ પ્રાણની સેવા કેટલી બધી શાંત ને મૂંગી છે ! તે પ્રથમ પંક્તિનો મૂક સ્વયંસેવક છે. તેને પોતાની શક્તિનું અભિમાન નથી તેમ જ સેવાનો નશો નથી. પોતાની શક્તિનો થોડો પરચો તેણે બતાવ્યો તે તો બીજી ઈન્દ્રિયોના દેવો તેને તદ્દન ભૂલી જઈને અહંકારી થઈ ગયેલા તેમની સાન ઠેકાણે લાવવા ને તેમને વાસ્તવિકતાનું ભાન કરાવવા માટે જ. તેના ઉદાહરણમાંથી પાઠ લઈને માણસે પોતાની સાથે સંકળાયેલાંની મૂંગી છતાં સાચી સેવા કરતાં શીખવાનું છે. યશ કે નામનાની લાલસાથી મુક્ત થઈને સહજ કર્તવ્યરૂપે કરેલી સેવા ભારરૂપ નથી થતી, કેફ કે નશો નથી ચડાવતી, પરંતુ યજ્ઞરૂપ બનીને જીવનનું કલ્યાણ કરનારી થઈ પડે છે. તેને એક પ્રકારની શ્રેયસાધના જ સમજવી. કર્મને એવી સાધનાનું સ્વરૂપ આપવાની જરૂર છે. પછી બીજી કોઈ સાધના કે તપસ્યાની જરૂર નહિ પડે. ઉપનિષદની રહસ્ય વાતને આગળ ગીતામાં સારી રીતે ને વિસ્તારથી સમજાવવામાં આવી છે.
આવા ઉત્તમ પ્રાણની સ્તુતિ કરતાં દેવો કહેવા માંડ્યા : પ્રાણ જ અગ્નિ રૂપે તપે છે, સૂર્ય થઈને પ્રકાશ પૂરો પાડે છે, ને સંસારને જીવન આપે છે. ઈન્દ્ર, વાયુ ને વરસાદનો દેવ પણ તે જ છે. પૃથ્વી પણ તેનું જ સ્વરૂપ છે. સત્યરૂપ, અસત્યરૂપ ને અમૃત પણ તે જ છે. રથનાં પૈડાંના આરા જેમ નાભિમાં સ્થિર થયા હોય છે, તે પ્રમાણે ઋચાઓ, સામ ને યજુર્વેદના મંત્રો, યજ્ઞ, બ્રાહ્મણ ને ક્ષત્રિય જેવી પ્રજાઓ બધું તેની અંદર જ સ્થિર થયું છે.
હે પ્રાણ ! પ્રજાપતિરૂપે તું જ ગર્ભમાં સંચાર કરે છે ને જન્મ પણ તું જ પામે છે. આંખ તથા બીજી ઈન્દ્રિયોરૂપ બીજા પ્રાણોની સાથે તું શરીરમાં વિરાજે છે, ને લોકો તને જ વિવિધ વિષયોરૂપ બલિ આપે છે. પિતૃને અપાતું પ્રથમ સ્વધા દ્રવ્ય તું જ છે, તથા અથર્વા ને અંગિરસ નામના ઋષિઓનું સત્ય કર્મ પણ તું જ છે. હે પ્રાણ, તું ઈન્દ્ર છે, તેજસ્વી રુદ્ર ન રક્ષણ કરનાર છે. પ્રકાશનો પતિ સૂર્ય થઈને તું પ્રકાશે છે ને વાયુરૂપે વિચરે છે. તું જ્યારે વરસાદરૂપે વરસે છે ત્યારે ‘હવે અનાજ પેદા થશે ’ એમ માનીને લોકો આનંદમાં આવી જાય છે. એકર્ષિ નામે પ્રસિદ્ધ અગ્નિ પણ તું જ છે. તું અન્નનો ભોક્તા ને સંસારનો સ્વામી છે. તું સૌનો આદિ છે. તને અમે આહુતિ આપીએ છીએ. માતરિશ્વા નામે વિખ્યાત વાયુનો પણ તું પિતા છે. તારું સ્વરૂપ અમારી વાણીમાં, કાનમાં ને આંખ તેમ જ મનમાં સ્થિર થયું છે. તે સ્વરૂપ સદાય સ્થિર રહે તેમ જ કાયમ માટે કલ્યાણકારી થાય. તું શરીરને છોડીશ નહિ; નહિ તો તેનો નાશ થશે. જે કાંઈ ત્રિલોકમાં છે તે બધું પ્રાણને આધીન છે. હે પ્રાણ, મા જેમ પુત્રોની રક્ષા કરે તેમ તું અમારી નિરંતર રક્ષા કર ને અમને સદ્ બુદ્ધિ તેમ જ સમૃદ્ધિ આપ. તને વારંવાર વંદન હો !
આ પ્રમાણે સંક્ષેપમાં ઋષિએ પ્રાણની ઉત્તમતા ને મહત્તા બતાવી દીધી.
તેના ઉત્તરમાં મહર્ષિ કહે છે કે પ્રજાને ધારણ કરનારા દેવો આકાશ, વાયુ, અગ્નિ, જળ ને પૃથ્વી એ પાંચ મહાભૂત તથા વાણી, મન, આંખ, કાન એ ઈન્દ્રિયો છે. તે બધા પોતાની શક્તિ પ્રકટ કરે છે ને કહે છે કે અમે જ આ શરીરને ધારણ કરીએ છીએ તેમ જ ટકાવીએ છીએ.
એકવાર તે સૌની અંદર ચર્ચા ચાલી કે શરીરને કોણ ધારણ કરે છે ને ટકાવે છે. દરેક પોતપોતાની મોટાઈ ને શક્તિનાં ગુણગાન ગાવા માડ્યાં ત્યારે છેવટે પ્રાણે તે બધાને કહ્યું કે તમે મોહમાં પડીને અજ્ઞાનને લીધે તમારી શક્તિનું અભિમાન ન કરો. હું જ મારા પોતાના પાંચ ભાગ કરીને આ શરીરને ટકાવી રાખું છું ને તેને ધારણ પણ કરું છું.
પરંતુ પ્રાણની વાતમાં કોઈને વિશ્વાસ ન બેઠો. તેથી મુખ્ય પ્રાણે શરીરની બહાર નીકળવાની શરૂઆત કરી. પરંતુ પ્રાણ વિના શરીરની બીજી ઈન્દ્રિયો શું કરે ? તે તદ્દન નિર્બળ ને નિષ્ક્રિય તથા ચેતન વિનાની થઈ ગઈ. મધમાખોનો રાજા મધપૂડાની બહાર નીકળે એટલે બધી મધમાખો બહાર નીકળે છે, ને જો મધપૂડામાં રહે તો બધી મધમાખો અંદર રહે છે, તેવી રીતે પ્રાણના બહાર નીકળવાની સાથે જ બધી ઈન્દ્રિયો કે તેના દેવો અશક્ત બની ગયા ને કોઈ જ કામ ન કરી શક્યા. શરીર પણ જડ જેવું થઈ ગયું.
વાસ્તવિક જગતમાં પણ એ જ અનુભવાય છે. શરીરમાં જ્યાં સુધી પ્રાણ હોય ત્યાં સુધી જીવન પણ ટકે છે. પરંતુ પ્રાણ બહાર નીકળ્યા પછી જીવનનું કોઈ પણ ચિહ્ન નથી રહેતું.
ઋષિ કહે છે કે ઈન્દ્રિયોના બધા દેવોએ પ્રાણની શ્રેષ્ઠતા જાણી. તેમને ખાતરી થઈ કે પ્રાણની મહત્તા સૌથી વધારે છે. તેથી તેમનો અહંકાર દૂર થયો ને તે બધા પ્રાણની પ્રશંસા કે સ્તુતિ કરવા માંડ્યા.
પ્રાણને લીધે શરીર, મન ને સમસ્ત બ્રહ્માંડ ટકી રહ્યાં છે. પ્રાણ વિના કશું ઘડીભર પણ ન ટકી શકે. ચર ને અચર, નાના ને મોટા બધા પદાર્થો પ્રાણતત્વને લીધે જ જીવન મેળવે છે. પરંતુ પ્રાણની સેવા કેટલી બધી શાંત ને મૂંગી છે ! તે પ્રથમ પંક્તિનો મૂક સ્વયંસેવક છે. તેને પોતાની શક્તિનું અભિમાન નથી તેમ જ સેવાનો નશો નથી. પોતાની શક્તિનો થોડો પરચો તેણે બતાવ્યો તે તો બીજી ઈન્દ્રિયોના દેવો તેને તદ્દન ભૂલી જઈને અહંકારી થઈ ગયેલા તેમની સાન ઠેકાણે લાવવા ને તેમને વાસ્તવિકતાનું ભાન કરાવવા માટે જ. તેના ઉદાહરણમાંથી પાઠ લઈને માણસે પોતાની સાથે સંકળાયેલાંની મૂંગી છતાં સાચી સેવા કરતાં શીખવાનું છે. યશ કે નામનાની લાલસાથી મુક્ત થઈને સહજ કર્તવ્યરૂપે કરેલી સેવા ભારરૂપ નથી થતી, કેફ કે નશો નથી ચડાવતી, પરંતુ યજ્ઞરૂપ બનીને જીવનનું કલ્યાણ કરનારી થઈ પડે છે. તેને એક પ્રકારની શ્રેયસાધના જ સમજવી. કર્મને એવી સાધનાનું સ્વરૂપ આપવાની જરૂર છે. પછી બીજી કોઈ સાધના કે તપસ્યાની જરૂર નહિ પડે. ઉપનિષદની રહસ્ય વાતને આગળ ગીતામાં સારી રીતે ને વિસ્તારથી સમજાવવામાં આવી છે.
આવા ઉત્તમ પ્રાણની સ્તુતિ કરતાં દેવો કહેવા માંડ્યા : પ્રાણ જ અગ્નિ રૂપે તપે છે, સૂર્ય થઈને પ્રકાશ પૂરો પાડે છે, ને સંસારને જીવન આપે છે. ઈન્દ્ર, વાયુ ને વરસાદનો દેવ પણ તે જ છે. પૃથ્વી પણ તેનું જ સ્વરૂપ છે. સત્યરૂપ, અસત્યરૂપ ને અમૃત પણ તે જ છે. રથનાં પૈડાંના આરા જેમ નાભિમાં સ્થિર થયા હોય છે, તે પ્રમાણે ઋચાઓ, સામ ને યજુર્વેદના મંત્રો, યજ્ઞ, બ્રાહ્મણ ને ક્ષત્રિય જેવી પ્રજાઓ બધું તેની અંદર જ સ્થિર થયું છે.
હે પ્રાણ ! પ્રજાપતિરૂપે તું જ ગર્ભમાં સંચાર કરે છે ને જન્મ પણ તું જ પામે છે. આંખ તથા બીજી ઈન્દ્રિયોરૂપ બીજા પ્રાણોની સાથે તું શરીરમાં વિરાજે છે, ને લોકો તને જ વિવિધ વિષયોરૂપ બલિ આપે છે. પિતૃને અપાતું પ્રથમ સ્વધા દ્રવ્ય તું જ છે, તથા અથર્વા ને અંગિરસ નામના ઋષિઓનું સત્ય કર્મ પણ તું જ છે. હે પ્રાણ, તું ઈન્દ્ર છે, તેજસ્વી રુદ્ર ન રક્ષણ કરનાર છે. પ્રકાશનો પતિ સૂર્ય થઈને તું પ્રકાશે છે ને વાયુરૂપે વિચરે છે. તું જ્યારે વરસાદરૂપે વરસે છે ત્યારે ‘હવે અનાજ પેદા થશે ’ એમ માનીને લોકો આનંદમાં આવી જાય છે. એકર્ષિ નામે પ્રસિદ્ધ અગ્નિ પણ તું જ છે. તું અન્નનો ભોક્તા ને સંસારનો સ્વામી છે. તું સૌનો આદિ છે. તને અમે આહુતિ આપીએ છીએ. માતરિશ્વા નામે વિખ્યાત વાયુનો પણ તું પિતા છે. તારું સ્વરૂપ અમારી વાણીમાં, કાનમાં ને આંખ તેમ જ મનમાં સ્થિર થયું છે. તે સ્વરૂપ સદાય સ્થિર રહે તેમ જ કાયમ માટે કલ્યાણકારી થાય. તું શરીરને છોડીશ નહિ; નહિ તો તેનો નાશ થશે. જે કાંઈ ત્રિલોકમાં છે તે બધું પ્રાણને આધીન છે. હે પ્રાણ, મા જેમ પુત્રોની રક્ષા કરે તેમ તું અમારી નિરંતર રક્ષા કર ને અમને સદ્ બુદ્ધિ તેમ જ સમૃદ્ધિ આપ. તને વારંવાર વંદન હો !
આ પ્રમાણે સંક્ષેપમાં ઋષિએ પ્રાણની ઉત્તમતા ને મહત્તા બતાવી દીધી.