if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
સાધનામાં આહારનું અગત્યનું સ્થાન છે. એને વિશે સાધના અથવા સંસ્કૃતિના ઉષઃકાળથી જ વિચારવામાં આવ્યું છે.  आहारशुद्धौ  सत्तवशुद्धिः । 'આહાર શુદ્ધ હોય તો અતઃકરણની શુદ્ધિ થાય છે’ એ અને 'અન્ન એવો ઓડકાર’ તથા जैसा खावे अन्न वैसा होवे मन જેવાં સૂત્રો આહારના સાધનાત્મક ને સમગ્ર જીવન પર પડનારા પ્રભાવનું જ સૂચન કરે છે. એ પ્રભાવ કેટલો બધો શકવર્તી છે એના પ્રત્યે એમાં અંગુલિનિર્દેશ કરવામાં આવ્યો છે. એના પરથી એક વાત તો સુસ્પષ્ટ છે કે આહારનું સ્થાન આત્મવિકાસની સાધનામાં સાધારણ નથી. એની ઉપેક્ષા કર્યે ચાલે તેમ નથી.

આહારનો પ્રભાવ તન, મન અને અંતર પર પડે છે. એ સ્વભાવના ઘડતર તથા ગઠનમાં પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. એ દ્રષ્ટિએ એની સર્વોપયોગી ઉપલક વિચારણા કરીએ તો ઉપયુક્ત જ લેખાશે.

સાધકે સાધનાના અનુષ્ઠાનમાં મદદ મળે તે માટે સાત્વિક ખોરાક લેવો જોઈએ એ વિશે સઘળા સત્પુરૂષો એકમત છે. મસાલા, મરચાં તથા અન્ય ગરીષ્ઠ પદાર્થોનો પરિત્યાગ એને માટે આવશ્યક છે. હઠયોગના સાધકે તો એ ત્યાગ અનિવાર્ય રીતે કરવો જ જોઈએ. એના સિવાય પ્રાણાયામાદિ સાધનાનું અનુષ્ઠાન સફળતાપૂર્વક ન જ થઈ શકે. હઠયોગ તથા રાજયોગમાં અમુક કક્ષા સુધી આગળ વધેલા અભ્યાસીઓ દૂધ અથવા દૂધ ને ભાત પર રહે તો સારો વિકાસ કરી શકે છે એવું પણ સૂચવાયું છે.

સાધકને માટે શાકાહારી થવાનું અનિવાર્યરૂપે આવશ્યક છે. માંસાહારનો પ્રભાવ તન તથા મન પર ખૂબ જ પ્રતિકૂળ પડે છે. બીજાની હિંસાના પરિણામે પ્રાપ્ત થયેલા પદાર્થોનું સેવન સાચો સાધક નથી કરી શકતો. એનું મન એમાંથી આપોઆપ ઉપરામ થઈ જાય છે.

સાધનામાં સૂક્ષ્મ આહારની ઉપયોગિતા ઘણી મોટી છે. ભોજનની વધારે પડતી લાલસાથી ભરપૂર હોય એ આદર્શ સાધક ન બની શકે. સ્વાદેન્દ્રિયને સંયમમાં રાખવાની આવશ્યકતા છે. સાચો સાધક રસનો ગુલામ નથી હોતો. એ શરીરને ટકાવવા અને એની દ્વારા સાધનામાં મદદ મેળવવા માટે આહાર કરે છે. આહારની પસંદગી એની ગુણવત્તાના અથવા એનાં પોષકતત્વોના આધાર પર કરવાનો આગ્રહ રાખે છે.

સાધકે રાત્રીભોજનનો ત્યાગ કરી શકાય તો કરવો જોઈએ. એવો ત્યાગ ન જ કરી શકાય તો રાતનું ભોજન જેટલું બને તેટલું વહેલું અને સૂક્ષ્માતિસૂક્ષ્મ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. જેટલી રુચિ હોય એનાથી એક ચતુર્થાંશ જેટલું ભોજન કરવાનું સાધકને માટે સારું છે. રાતે વહેલું ને થોડું ભોજન કરવાથી સહેલાઈથી વહેલા ઊઠી શકાય છે, પેટ હલકું રહે છે, ને સાધનામાં મનને પરોવવામાં મદદ મળે છે. રાતે ખરાબ સ્વપ્ન નથી આવતાં ને ઊંઘ સારી આવે છે. રાતે ભારે ને વધારે પ્રમાણમાં ભોજન કરવાથી સવારે બ્રાહ્મમુહૂર્તમાં વહેલા ઊઠવાનું અને સાધના કરવાનું કાર્ય કઠિન બને છે.

સાધક આવશ્યકતા પ્રમાણે કોઈ વાર ઓછાવત્તા પ્રમાણમાં ઉપવાસ કરે એ બરાબર છે; પરંતુ સામાન્ય રીતે તો મિતાહારી બને એ જ બરાબર છે. સાધનાના કોઈક વિશેષ હેતુને માટે ઉપવાસ કરવાનું આવશ્યક અથવા અભિનંદનીય મનાય, પરંતુ એ સિવાય ઉપવાસની અનિવાર્ય આવશ્યકતા નથી રહેતી.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.