‘પુના જવાનું થાય તો ઈન્દીરાને તથા દિલીપકુમાર રોયને-દાદાજીને જરૂર મળજો. તમને મળીને એમને આનંદ થશે. પહેલાં તો લગભગ દર વરસે એ મસુરી આવતાં ને અમારી પાસે થોડા દિવસ રહી જતાં, પણ છેલ્લાં ત્રણેક વરસથી નથી આવ્યાં. પુનામાં એ હરેકૃષ્ણ મંદિરમાં રહે છે.’
એ ઉદગાર હતા ઈન્દિરાદેવીની માતાના. મસુરીની મોટામાં મોટી હોટેલ-સેવોય હોટલના માલિક સ્વર્ગસ્થ કિરપારામની સેવાભાવી ભક્તિભાવયુક્ત પત્નીના. ગયે વરસે એ અમને પોતાની હોટલમાં લઈ ગયા ત્યારે એ ઉદગારો એમના મુખમાંથી નીકળી પડ્યા.
એ ઉદગારોમાં જેમ માતાસહજ સ્નેહ ટપકતો’તો તેમ એક પ્રકારનો ઊંડો આદરભાવ પણ દેખાતો હતો. ઉદગારોના ઉત્તરરૂપે હું એમને શું કહું ? મેં એમને એક પ્રકારનું આશ્વાસન આપ્યું કે પુના જવાનું થશે ને ઈશ્વરેચ્છાથી સંયોગ ઊભો થશે તો એમને જરૂર મળીશ. એમને મળીને મને પણ આનંદ થશે.
મારા ઉત્તરથી એમને સંતોષ થયો.
એ પોતે વિવેકી, સંસ્કારી, ધાર્મિક અને ભક્તિપરાયણ હતાં. મસુરીમાં લાયબ્રેરી બજારમાં બંધાયેલા નવા લક્ષ્મીનારાયણ મંદિરની રચનામાં એમણે અને એમના પતિએ ખૂબ જ રસ લીધેલો. એ સારો રસ લેતાં ત્યાં અવારનવાર મારાં પ્રવચનો ગોઠવતાં, અને મારી પાસે પ્રસંગોપાત આવ્યા કરતા.
એવી સંસ્કારી અને માયાળુ માતાને પોતાની કૃષ્ણપ્રેમી પુત્રીને માટે પ્રેમ હોય એ સ્વાભાવિક હતું. એ ઈન્દિરાદેવીનાં સાવકી માતા હોવા છતાં એને માટે ખાસ મમતા રાખતાં. એ મમતાથી પ્રેરાઈને એમણે મને પેલી ભલામણ કરેલી.
આમ તો મારે ગયા વરસે પણ પુના આવવાનું થયેલું પરંતુ હરેકૃષ્ણ મંદિરની મુલાકાત લેવાનો અવસર નહોતો આવ્યો. આ વરસે ફરી વાર પુના રહેવાનું થયું ત્યારે એ યોગ અણધારી રીતે આવી ગયો. અલબત્ત મારા આંતરમનમાં ત્યાં જવાનો વિચાર તો હતો જ, પરંતુ એનો અમલ અણધાર્યો જ થઈ ગયો.
એ દિવસ સોમવાર તા. ૧૯-૨-૬૮નો હતો. પુનામાં એ દિવસે સાંજે પર્વતી વિસ્તાર તરફ ફરતાં હરેકૃષ્ણ મંદિરની વાત નીકળતાં અમે મોટરને એ તરફ લઈ લેવાની સૂચના કરી.
થોડી જ વારમાં અમે એ મંદિરના સુંદર, શાંત, વિશાળ મકાન પાસે આવી પહોંચ્યા. મકાનના પ્રાંગણનો નાનો સરખો બગીચો જોઈને અમને આનંદ થયો.
હરેકૃષ્ણ મંદિર એક સુંદર મકાન છે. એનો આકાર કોઈ મંદિર જેવો નથી. એને પરંપરાગત મંદિર જેવું શિખર પણ નથી. એના મુખ્ય પ્રવેશખંડ કે હોલમાં જ મંદિર છે. ત્યાં રાધાકૃષ્ણની પ્રમાણમાં નાની છતાં નયનાભિરામ પ્રતિમાઓ છે.
નીચેનાં ભાગમાં એક બાજુ શ્રી અરવિંદ ને બીજી બાજુ મીરાંની છબીઓ છે. દીવાલો પર ક્રાઈસ્ટ ને ચૈતન્ય મહાપ્રભુ જેવા સંતોનાં ચિત્રો છે. સામે રાધાકૃષ્ણ પાસે દેવીની પ્રતિમા પણ મૂકેલી છે. આખુંય સ્થાન સુંદર, શાંત, પ્રેરણાત્મક અને આલ્હાદક છે.
અમે હોલમાં પ્રવેશ્યાં એ જ વખતે એક બેને મંદિરની પ્રતિમાઓનું આવરણ દૂર કર્યું.
થોડાક વખત લગી અમે એ વાતાવરણનો લાભ લેતાં ઊભાં રહ્યાં. પછી ઈન્દિરાદેવીને અનુકૂળતા હોય તો મળવા માટે સૂચના મોકલાવી.
ચાર-પાંચ મિનિટમાં તો ઈન્દિરાદેવી આવી પહોંચ્યા.
એમણે સૌથી પહેલાં રાધાકૃષ્ણને પ્રણામ કર્યા ને પછી અમને.
મેં પણ એમને પ્રેમથી પ્રણામ કર્યા અને એમને એમની માતાનો સંદેશ તથા મારો પરિચય આપ્યો.
એ સાંભળી એ અત્યંત પ્રસન્ન થઈને બોલ્યા : ‘અહીં પણ થોડોક લાભ આપો. અમારા કૃષ્ણને પણ જ્ઞાનની જરૂર છે.’
‘એ તો પરમ જ્ઞાની છે. એમનું જ્ઞાન કદીયે નથી ખૂટતું અને હું લાભ આપવા માટે નથી આવ્યો, લાભ લેવા માટે આવ્યો છું.’
‘તો પણ તમારે લાભ તો આપવો જોઈએ. થોડી વાર વધારે રોકાઈ જાવ. હમણાં સાડા સાતથી સાડા આઠ સુધી કીર્તન થશે. કીર્તન પહેલાં તો રોજ થતું-પરંતુ હવે એકાંતરે ને રવિવારે સવારે સાડા નવ વાગ્યે થાય છે.’
‘પરંતુ આજે મારાથી એનો લાભ નહિ લઈ શકાય. આજે રાતે મારું પ્રવચન છે એટલે ફરી કોઈ વાર.’
‘ફરી ક્યારે આવશો ?’
‘કાલે તો મુંબઈ જઈ રહ્યો છું. વરસમાં એક વાર આ બાજુ આવવાનું બની શકે છે એટલે હવે તો બીજે વરસે ઈશ્વરેચ્છા હોય તો બને.’
આ સાંભળી ઈન્દિરાદેવીનાં મુખ પર થોડીક ગમગીની ફરી વળી.
એમનામાં જે નમ્રતા, મધુરતા તથા પ્રેમભાવ ટપકતો’તો તે એમના અસાધારણ અંતરની પ્રતીતિરૂપ હતો.
એમને ભક્તિનો ભાર નહોતો લાગ્યો, ભક્તિ એમની અંદર ઊતરીને પચી ગઈ હતી. એમને જોતાં અને એમની સાથે વાતચીત કરતા એ સ્પષ્ટ જણાઈ આવ્યું.
ઈન્દિરાદેવી ખરેખર દેવી હતા. પ્રેમ અને ભક્તિથી ભરપૂર દેવી, સંસારના વિશાળ સરોવરમાં ખીલેલી કોઈક અલિપ્ત ઈન્દિરા યા કમલિની.
ભગવાન કૃષ્ણની કૃપાની વાત નીકળી ત્યારે મને એક ઘટનાનું સ્મરણ થયું. મેં કહ્યું, ‘ભક્તના જીવનમાં બધું એની ઈચ્છાનુસાર, એની પરમ અથવા અસીમ કૃપાના પરિણામે થતું હોય છે એ સાચું છે.
હું એવો કોઈ મોટો ભક્ત નથી, છતાં એના અનુગ્રહના એવા અનુભવો અવારનવાર થયા કરે છે. સાચું કહું તો આખું જીવન અને એમાં જે કાંઈ છે તે બધું જ એના અનુગ્રહરૂપ જ છે.
એ બાબતમાં એક ઘટના કહું. મસુરીમાં મારા નિત્ય પ્રવચનોનો પ્રારંભ નહોતો થયો ત્યારે મારું એક જાહેર પ્રવચન ચિત્રશાળામાં રાખવામાં આવેલું. તે દિવસે જનમાષ્ટમી હતી. ચિત્રશાળાના ગુરુજીએ મસુરીના મોટા મોટા પ્રતિષ્ઠિત સ્ત્રી-પુરુષોને આમંત્રેલા. માણસો સારી સંખ્યામાં એકઠા થયેલા.
ગુરુજીએ સ્ટેજ પાછળ દીવાલ પર એમના જ હાથથી દોરેલું ભગવાન કૃષ્ણનું સરસ ચિત્ર રાખેલું અને એને તાજી ગુલાબની માળા પહેરાવેલી.
પ્રવચન પૂરું થયું ને કૃષ્ણ ભગવાનની ધૂન પણ પૂરી થઈ એટલે એક અદભુત ઘટના બની. ગુલાબની માળામાંથી એક ગુલાબનું ફુલ મારા માથા પર પડીને સ્ટેજ પર સૌના દેખતા અટકી પડ્યું. એ જોઈ બધાંને નવાઈ લાગી. મને થયું કે ભગવાને મને આશીર્વાદ આપ્યા.
એ પછી બીજે વરસે મસુરીમાં ગાંધી નિવાસ સોસાયટીમાં મારા નિત્ય પ્રવચનોની પૂર્ણાહુતિ થઈ ત્યારે ગુરુજીએ એવી જ રીતે ભગવાન કૃષ્ણનો એ જ ફોટો મારી પાછળની દિવાલ પર ટીંગાડેલો. તેની તાજી માળામાંથી એવી જ રીતે પાછું એક ફુલ મારા માથા પર પડ્યું. ભગવાન કૃષ્ણે એ રીતે કહી બતાવ્યું, ‘હું તમારા આ સેવાકાર્યથી સંતુષ્ટ છું.’
એ પ્રસંગ મને હંમેશા યાદ આવે છે અને થાય છે કે એની કૃપા વિના કાંઈ જ નથી થઈ શકતું.’
એટલામાં તો બહાર ફરવા નીકળેલા દાદાજી દિલીપકુમાર રોય આવી ગયા.
ઈન્દિરાદેવીએ એમને મારો પરિચય કરાવ્યો ત્યારે પીળાં વસ્ત્રોમાં સજ્જ કોઈ તપસ્વી જેવા દેખાતા દાદાજી આનંદ પામ્યા ને બોલ્યા, ‘આપણે મસુરીમાં ગયેલાં ત્યારે તે મળેલાં ?’
‘ના. મા એમને છેલ્લાં ચાર વરસથી જ જાણે છે ને હમણાં હમણાં આપણે મસુરી ગયાં નથી.’
એ બંને બંગાળીમાં બોલતાં હતા.
દિલીપકુમારે પૂછ્યું : ‘આજે આપણે ત્યાં કાંઈ સંભળાવશે ખરા ?’
ઈન્દિરાદેવીએ ના કહીને કારણ કહી બતાવ્યું.
‘તો પાછા ક્યારે આવશો ?’
‘પાછા આવવાનું તો હવે ઈશ્વરેચ્છા હોય તો બીજે વરસે જ બને.’
દિલીપકુમારને જાણે એ જરા પણ ન ગમ્યું. એમણે ને ઈન્દિરાબેને કહ્યું કે પ્રવચનમાં મોડા જજો પરંતુ એવું કરવું શક્ય ન હતું.
મારા પર એ બંનેનો પ્રેમ, સદભાવ, વિવેક અને એમની નમ્રતાની છાપ ભારે પડી. એ દૈવી આત્માઓને જોઈ મને ઘણો જ આનંદ થયો.
પછી તો ઈન્દિરાદેવીએ અમારી સાથે ફરી અમને મકાનની ચારે તરફની સુંદર જગ્યા બતાવી. ત્યાં ઠેકઠેકાણે હનુમાનજી, સાંઈબાબા તથા દેવીની મનહર મૂર્તિઓ હતી. એને લીધે સ્થાન આકર્ષક લાગતું.
ઈન્દિરાદેવી બહાર વિદાય આપવા આવ્યાં ત્યારે માતાજીની ઓળખાણ આપતાં મેં જણાવ્યું : ‘આ મારા માતાજી છે ને મારી સાથે જ રહે છે.’
એ માતાજી પાસે આવીને ભાવમય બનીને બોલી ઊઠ્યાં : ‘હું પણ તમારી છોકરી છું.’
ઈન્દિરાદેવી ને દિલીપકુમાર રોયનો એ ટુંકો મેળાપ ખરેખર ચિરસ્મરણીય બની રહ્યો. એમના સુખદ સહવાસમાં વધારે વખત રહેવાનું સૌભાગ્ય સાંપડ્યું હોત તો સારું થાત; એવો યોગ આવકારદાયક અને આનંદદાયક થઈ પડત. સત્પુરુષોનો સમાગમ ઈશ્વરની કૃપા વિના નથી થઈ શકતો, ને થાય છે ત્યારે આનંદ આપનાર થાય છે.
ઈન્દિરાદેવીએ અરવિંદ આશ્રમમાં દિલીપકુમાર રોયને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા ત્યારે એ હકીકત આશ્રમ માટે નવી થઈ પડી. એ વાત શ્રી અરવિંદ પાસે પહોંચી ત્યારે એમણે કહ્યું : ‘ગુરુનો સંબંધ પોતાના હૃદયની ભાવનાનુસાર ગમે તેની સાથે સ્થાપી શકાય છે. અહીં રહેનારે મને જ ગુરુ કરવો જોઈએ એવું નથી.’ એ ઉદગારોમાં શ્રી અરવિંદની હૃદયની વિશાળતાનું દર્શન થાય છે.
ઈન્દિરાદેવીના અંતરાત્માએ અનુભવેલો એ ગુરુભાવ પાછળનાં વરસોમાં કાયમ રહ્યો અને આજે પણ એવો જ અડગ-અક્ષય છે.
ધન્ય એ ગુરુ ને ધન્ય એ શિષ્યા ! આત્મિક માર્ગમાં રસ લેનારે એમનું દર્શન કરવું બહુ પ્રેરક થઈ પડશે.
- શ્રી યોગેશ્વરજી