स्वदेहमरणिं कृत्वा प्रणवं चोत्तरारणिम् ।
ध्याननिर्मथनाभ्यासादेवं पश्यन्निगूढवत् ॥१४॥
svadehamaranim krtva pranavam chottararanim ।
dhyananirmathanabhyasadevam pasyannigudhavat ॥ 14॥
શરીરની સ્થિરતા રાખીને ૐકારતણો જપ કરવો,
ધ્યાન કરી ચિંતન કરવાથી પ્રકટ થાય છે ગુપ્ત પ્રભો. ॥૧૪॥
અર્થઃ
સ્વદેહમ્ - પોતાના શરીરને
અરણિમ્ - નીચેથી અરણિ
ચ - અને
પ્રણવમ્ - પ્રણવને
ઉત્તરારણિમ્ - ઉપરની અરણિ
કૃત્વા - કરીને
ધ્યાનનિમર્થનાભ્યાસાત્ - ધ્યાનની મદદથી નિરંતર મંથન કરતા રહેવાથી
નિગૂઢવત્ - ગુપ્ત અગ્નિની જેમ (હૃદયમાં વિરાજમાન)
દેવમ્ - દેવાધિદેવ પરમાત્માને
પશ્યેત્ - પેખે.
ભાવાર્થઃ
પાવકને પ્રકટાવવા માટે બે અરણિનું મંથન કરવામાં આવે છે એવી રીતે પ્રણવમંત્રનો આશ્રય લઇને ધ્યાનયોગની એકધારી, અખંડ, સુદીર્ઘ સમયની સાધના કરવાથી હૃદયમાં રહેલા પરમાત્માનો સાક્ષાત્કાર સહજ બને છે. કેવળ વિચાર કરવાથી કશું વળતુ નથી. દૂધને જોયા કરવાથી એનું દહીં અને દહીંમાંથી માખણ નથી બનતું. એને મેળવવા માટે કેટલીક આવશ્યક પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. એવી રીતે પરમાત્મદર્શનને માટે પણ ધ્યાનની પદ્ધતિસરની પ્રક્રિયાનો આધાર લેવો પડે છે. એ પ્રક્રિયા પ્રત્યે આ શ્લોકમાં અંગુલિનિર્દેશ કરવામાં આવ્યો છે. સાધકોને માટે એ અંગુલિનિર્દેશ અત્યંત અગત્યનો છે.