४१. सत्त्वशुद्धिसौमनस्यैकाग्र्येन्द्रियजयात्मदर्शनयोग्यत्वानि च ।
41. sattva shuddhi saumanasya ekagra indriya-jaya atma darshana yogyatvani cha
અંદરની શુદ્ધિનો પોતાની રુચિ પ્રમાણેના સાધનની સહાયતા લઇને અભ્યાસ કરવાથી રાગ, દ્વેષ ને અહંકાર જેવા મેલનો નાશ થઇને હૃદય નિર્મળ બને છે. મનની ચંચલતા ને ઉદાસીનતાનો અંત આવતાં મન એક પ્રકારની પવિત્ર પ્રસન્નતાથી ભરાઇ જાય છે. ઇન્દ્રિયોનો સંયમ સ્વાભાવિક થઇ જાય છે, ને આત્માનું દર્શન કરવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે.
*
४२. संतोषाद् अनुत्तमः सुखलाभः ।
42. santosha anuttamah sukha labhah
સંતોષના સેવનથી અશાંતિ, પરાવલંબન, તૃષ્ણા ને ભ્રમણાનો અંત આવે છે, ને અનન્ય ઉત્તમ સુખની પ્રાપ્તિ થાય છે.
*
४३. कायेन्द्रियसिद्धिरशुद्धिक्षयात् तपसः ।
43. kaya indriya siddhih ashuddhi kshayat tapasah
આત્મોન્નતિને માટે કરતાં વ્રત, ઉપવાસ તથા તે માટે થતું કષ્ટ સહન તપ કહેવાય છે. તેના પ્રભાવથી તન ને મન નિર્મલ થાય છે, ને વશ પણ થઇ જાય છે. તેથી યોગીને અદૃશ્ય થવું, મોટા કે નાના બનવું વગેરે શરીર સાથે સંબંધ ધરાવતી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે; તથા દૂરદર્શન, દૂરશ્રવણ જેવી ઇન્દ્રિયો સાથે સંબંધ ધરાવતી સિદ્ધિઓ પણ પ્રાપ્ત થાય છે.
*
४४. स्वाध्यायाद् इष्टदेवतासंप्रयोगः ।
44. svadhyayat ishta samprayogah
શાસ્ત્રાભ્યાસ, જપ, ધ્યાન કે પ્રાર્થના જેવા સ્વાધ્યાયથી ઇષ્ટદેવતાનો સાક્ષાત્કાર થઇ જાય છે. સાધક જેનું દર્શન કરવા ચાહે, તેનું દર્શન તેને થઇ શકે છે.
*
४५. समाधिसिद्धिरीश्वरप्रणिधानात् ।
45. samadhi siddhih ishvara pranidhana
ઇશ્વરપ્રણિધાનથી સમાધિની સિદ્ધિ થઇ જાય છે.
ઇશ્વરપ્રણિધાનને લીધે સાધકની સાધનાનો ભાર ઇશ્વર પોતે જ ઉપાડી લે છે.