if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પ્રશ્ન : મને એક પ્રશ્ન કેટલાય વખતથી ઊઠ્યા કરે છે. સાધનામાં જ્ઞાન, ભક્તિ તથા યોગના જુદા જુદા અભ્યાસક્રમનું વર્ણન કરવામાં આવે છે. તે અભ્યાસક્રમો પ્રમાણે પ્રત્યેક સાધક પોતાની રૂચિ તથા પ્રકૃતિને અનુસરીને કોઈ પણ એક સાધના-માર્ગનો આધાર લેતો હોય છે. તેથી જીવનનો વિકાસ સધાય છે. પરંતુ જેને જ્ઞાન, ભક્તિ તથા યોગના ત્રણે પ્રકારના માર્ગોમાં રસ હોય તેને માટે કોઈ સમન્વયકારી સાધના-પધ્ધતિ છે  ખરી ?

ઉત્તર : જરૂર છે.

પ્રશ્ન : તે પધ્ધતિ કયી છે તે સંબંધી પ્રકાશ પાડી શકશો ?

ઉત્તર : જ્ઞાન ભક્તિ અને યોગની સમન્વયકારી સાધના-પધ્ધતિમાં આટલી વસ્તુઓનો સમાવેશ થઈ શકે છે.
૧. નામ-જપ તથા પ્રાર્થના
૨. આત્મવિચાર તથા જ્ઞાનના જુદી જુદી જાતના ગ્રંથોનો અભ્યાસ
૩. યોગના જુદા જુદા આસનો, નાડીશોધન જેવી પ્રાણાયમની ક્રિયાઓ, ષણ્મુખી જેવી મુદ્રાઓ તથા
૪. નિયમિત ધ્યાન.
એ બધો અભ્યાસક્રમ પરસ્પર મદદરૂપ થાય એવી રીતે ગોઠવી શકાય છે અને ગોઠવવો જોઈએ.

પ્રશ્ન : એવો અભ્યાસક્રમ ગોઠવવામાં મદદ મળે એ માટેનું માર્ગદર્શન આપી શકશો ?

ઉત્તર : એ અભ્યાસક્રમના અનુસંધાનમાં રોજ સવારે વહેલા બ્રાહ્મમુહર્તમાં ઊઠીને પહેલાં પ્રાર્થના તથા જપ કરવા જોઈએ. તે પછી આસન, પ્રાણાયામ અને મુદ્રાનો અભ્યાસ કરવો જોઈએ. તે પછીથી જ્ઞાનના ઉત્તમ પ્રેરક ગ્રંથોનો અભ્યાસ કરી શકાય. રોજ રાત્રે વધારે ભાગે જપ તથા ધ્યાન અને પ્રાર્થનાનો આધાર લઈ શકાય. આસન તથા પ્રાણાયામથી શરીર સ્વસ્થ, સુદૃઢ અને નીરોગી બને છે. જપ અને પ્રાર્થનાથી એકાગ્રતામાં મદદ મળે  છે, મુદ્રાથી મનની ચંચળતાનું શમન થાય છે, અને ધ્યાનથી મનની શાંતિ તથા આત્માનો સાક્ષાત્કાર સહજ બને છે. આત્મવિચાર અને જ્ઞાનના ગ્રંથોના અભ્યાસથી અંતર્મુખવૃત્તિનો ઉદય થાય છે.

પ્રશ્ન : આ બધાં સાધનોનો સમન્વય કરવાથી આત્મવિકાસની સાધનામાં મદદ મળી શકે અથવા એ સાધના ઝડપથી થઈ શકે ખરી ? એમાં વહેલી તકે પ્રગતિ કરવાની શક્યતા વધે ખરી ?

ઉત્તર : એ બધાં સાધનોનો સમન્વય આત્મવિકાસમાં મદદરૂપ જરૂર થાય છે, પરંતુ એથી સાધકની સાધના ટૂંકી  થાય છે, અથવા ઝડપી બને છે, એવું નથી કહી શકાતું. સાધનાનો અભ્યાસક્રમ એકાંગી હોય કે અનેકાંગી હોય અથવા સમન્વયકારી, તેની શીઘ્ર સફળતાનો સઘળો આધાર સાધકની લગની, તમન્ના, વિકાસ કરવાની તત્પરતા અને પુરુષાર્થ પર રહે છે. સાધનાને સફળ કરવાની ઉત્કટ આકાંક્ષા સૌને માટે અનિવાર્ય છે. એ સિવાયની સાધના સરળ કે સફળ નથી થઈ શકતી. ટૂંકી પણ નથી બનતી. સાધક ગમે તેવા અભ્યાસક્રમને અપનાવે તો પણ.

પ્રશ્ન : વ્યક્તિગત રીતે તમે સાધનામાં સમન્વયમાં માનો છો કે કોઈ એક જ પ્રકારની સાધનામાં ?

ઉત્તર : વ્યક્તિગત રીતે કહું તો મને સાધનાના સમન્વયકારી અભ્યાસક્રમમાં વધારે રસ છે, એવો અભ્યાસક્રમ આકર્ષક અને આશીર્વાદરૂપ લાગે છે. પરંતુ એનો અર્થ એવો નથી કે કોઈ એક પ્રકારની સાધનાને હું નથી માનતો કે એની મહત્તાને નથી સમજતો.

પ્રશ્ન : એક જ પ્રકારની સાધનાની મહત્તા શી છે ? એનો આશ્રય લેનાર સાધકને શો લાભ થાય છે ?

ઉત્તર : કોઈ એક જ પ્રકારની સાધનાનો આશ્રય લઈને આગળ વધનારો સાધક સહેલાઈથી આગળ વધી શકે છે. એનું લક્ષ બીજી આવડતોમાંથી કે પેટા વસ્તુઓમાંથી નિવૃત થઈને પોતે પસંદ કરેલી મુખ્ય સાધના પર કેન્દ્રિત થઈ જાય છે. પોતાનો સમગ્ર સમય ને પોતાની સમસ્ત શક્તિ પોતાની રુચિ અથવા પ્રકૃતિ પ્રમાણેના અભ્યાસક્રમ પાછળ શ્રધ્ધાભક્તિપૂર્વક લગાડી શકે છે, અને એને લીધે પ્રમાણમાં ઘણા ઓછા સમયમાં સફળતા મેળવે છે. એની આગળ જે એક જ પ્રકારનો આત્મવિકાસનો નિશ્ચિત અભ્યાસક્રમ હોય છે, એની અંદર પૂરતો રસ લઈ શકે છે.

પ્રશ્ન : એને લીધે એકાંગી નથી થવાતું ? એવું વલણ સર્વાગીણ વિકાસમાં બાધક નથી બનતું ?

ઉત્તર : ના નથી બનતું. ગમે તે પ્રકારના જ્ઞાન, ભક્તિ કે યોગના અભ્યાસક્રમનો આધાર સમજ સાથે નિષ્ઠાપૂર્વક લેવાથી સર્વાંગીણ વિકાસ સાધવામાં મદદ મળે છે. એવો અભ્યાસક્રમ બાધક નથી થતો પરંતુ સાધક જ થઈ જાય છે.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.