if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

કેટલીકવાર માણસો મને પૂછે છે કે હિમાલયમાં બધા ધર્માત્મા જ રહે છે, અથવા શું ઈશ્વરદર્શી મહાન સંતો જ ત્યાં નિવાસ કરે છે ? તેમને આ વાત પરથી પણ કેટલુંક જાણવા જેવું મળી રહેશે. માણસ હિમાલય પર જાય, એવરેસ્ટ શિખર પર જાય કે ગમે ત્યાં જાય, પોતાના મનને તો લેતો જ જાય છે. વિચાર, ભાવ ને સંસ્કારોથી તિજોરી જેવું મન તેની સાથે જ રહે છે. એટલે જ્યાં જાય છે ત્યાં પોતાનો નવો પણ રૂચિપૂર્વકનો સંસાર શરૂ કરે છે. એ મનને વિશુદ્ધ કરવાથી કે પલટાવવાથી જ માણસ મહાન બની શકે છે. સાધારણ માણસની જેમ સંન્યાસી, યોગી કે પ્રભુપરાયણ પુરૂષને માટે પણ આ વાત સાચી છે. તેવો પુરૂષ જો બહારનો જ ત્યાગ કરીને બેસી રહેશે, તો કામ કેવી રીતે ચાલશે ? એકલા બહારના ત્યાગથી કોઈ સાચો ત્યાગી કે સંન્યાસી થઈ શકતો નથી. જીવનનો આનંદ પણ તેથી મળતો નથી. સાચા ત્યાગી કે સંન્યાસી થવા ને જીવનનો આનંદ મેળવવા માટે માણસે અંદરનો ત્યાગ પણ કરવો જોઈએ. દુર્ગુણોને દૂર કરી, સ્વભાવથી કામ, ક્રોધ, લોભ ને અહંકાર જેવી ગંદકીને દૂર કરી મમતા ને મદમાંથી તેણે મુક્તિ મેળવવી જોઈએ. સંસારના સઘળા સુખને અસાર સમજી પરમાત્માની પ્રાપ્તિ ને પ્રીતિ માટે તૈયાર થવું જોઈએ. ત્યાગ કે સંન્યાસ ત્યારે જ સાર્થક થઈ શકે, જીવનના વિકાસમાં તે ત્યારે જ મદદરૂપ બની શકે.

યાદ રાખો કે ત્યાગ કે સંન્યાસ કાંઈ ધ્યેય નથી. બહારનો ત્યાગ કે સંન્યાસ કોઈ એવી વસ્તુ નથી કે જેનો આશ્રય લઈને માણસ કૃતકૃત્ય બની શકે. પરમપદ, પૂર્ણતા ને કૃતકૃત્યતાને માટે તો મહાન તપ કે સાધનાની જરૂર પડે છે. બહારનો ત્યાગ તે માટે જરૂરી છે જ એમ નથી. જેને જરૂર હોય તે તેને અપનાવે પણ તેને અપનાવીને બેસી રહેવાથી જ કલ્યાણ થઈ જશે એમ માનવું ભૂલભરેલું છે. ત્યાગ કે સંન્યાસ તો સાધન છે. તેનો ઉપયોગ કરીને માણસે આગળ વધવાનું છે. આ વાતને વિસરી ગયેલા સાધુસંન્યાસીઓ હિમાલયમાં પણ ઓછા નથી. આ દશા દુઃખદ છે. કેટલાક સાધુ સંન્યાસી નાની નાની વાતો માટે લડી મરે છે. દંડી સંન્યાસી કહેશે કે અમે તો દંડવાળા, માટે બીજા સંન્યાસી કરતાં મોટા. બીજાની સાથે એક પંક્તિએ બેસીને અમે જમી ના શકીએ. મોટાઈનો આવો ગર્વ શા માટે ? જેણે ઘરબાર છોડ્યાં છે તે ગર્વને નથી છોડતા એ કેટલું અજબ છે ! સાચો ત્યાગ તો અહંકાર, મમતા ને મનના મેલનો છે. તે ત્યાગ કરીને જે પરમાત્માની કૃપા મેળવે છે કે મેળવવા પુરૂષાર્થ કરે છે, તે જ સૌથી મોટો છે. બાકી તો નામ, રૂપ કે વેશપલટાના આધાર પર આ સંસારમાં કોઈને મોટા ને કોઈને છોટા માનવા તેમાં અજ્ઞાન વિના બીજું કાંઈ જ નથી. ઈશ્વરની સૃષ્ટિમાં સઘળા જીવો સરખા છે. તેમાં ભેદભાવ કરવો ઠીક નથી. જે ભેદભાવમાંથી મુક્તિ મેળવે તે જ જ્ઞાની છે, ને સાચો સંન્યાસી પણ તે જ છે.

કેટલાક સંન્યાસીઓ એવો આગ્રહ રાખે છે કે સૌએ તેમની જેમ સંન્યાસી થવું જોઈએ ને ભગવાં ધારણ કરવાં જોઈએ. કેટલાક સાધુઓ જટાદાઢી રાખવાનો, અમુક રીતે તિલક કરવાનો ને ભસ્માદિ ચોળવાનો આગ્રહ કરે છે. આ બધો દુરાગ્રહ છે, ને તેવા દુરાગ્રહનું કારણ અજ્ઞાન છે. મને કેટલાક લોકો પૂછે છે કે તમે ભગવાં કેમ નથી પહેરતા કે દાઢી કેમ નથી રાખતા ? હું કહું છું કે ભગવાં પહેરવાના ને દાઢી રાખવાના તબક્કામાંથી હું પસાર થઈ ચૂક્યો છું. તેના પ્રયોગ મેં કર્યા છે, પણ તેને વળગી રહેવાનું મને મારે માટે સારું નથી લાગતું. જેને સારું લાગે તે તેવા બહારનાં રૂપરંગને વળગી રહે. તેનો મને વાંધો નથી પણ તેને વળગી રહેવાનો દુરાગ્રહ સૌને માટે રાખવો બરાબર નથી. ગીતાના અઢારે અધ્યાયને ઉથલાવી નાંખો તો પણ બહારનાં રૂપરંગ માટેનો એવો દુરાગ્રહ કોઈ પણ ઠેકાણે જોવા નહિ મળે. ભગવાં વસ્ત્રો ને સંન્યાસની આ પ્રથા તો હમણાંથી શરૂ થઈ છે. આદ્ય શંકરાચાર્યે તેની વ્યવસ્થા કરી છે. તે પહેલાં પણ ભારતમાં સંતપુરૂષો તો હતા જ. તે બધા શું ભગવાં વસ્ત્રોમાં રહેતા હતા કે ? ઉપનિષદ્ ને વેદકાળના સંતો ને મહર્ષિઓ શું સફેદ વસ્ત્રો નહોતા પહેરતા ?

ભારતીય સંસ્કૃતિ તો ઘણી વિશાળ ને ઉદાર છે. તેમાં દરેક જાતની રૂચિ ને માન્યતાવાળા માણસોને યોગ્ય સ્થાન આપવામાં આવ્યું છે. શ્રી રામકૃષ્ણ પરમહંસ, કબીર ને નાનક, શ્રી સાઈબાબા, મહાત્મા ગાંધીજી, રમણ મહર્ષિ ને અરવિંદ જેવા મહાપુરૂષોના જીવનમાં આ સંદેશ છૂપાયેલો છે. તે શું સફેદ વસ્ત્રો નહોતા પહેરતા ? છતાં તે પરમશાંતિ મેળવીને પ્રભુમય બની શક્યા છે. માણસો આવો વિવેક કરી શકતાં નથી એટલે જ ગોટાળો ઊભો કરે છે. હિમાલયના પ્રદેશમાં તો આ વિશે ભારે ગેરસમજ પ્રવર્તે છે. જે ભગવાં વસ્ત્રો પહેરે તેને ત્યાં સ્વામી, સંન્યાસી કે મહાત્મા માનવામાં આવે છે, ને જે સફેદ પહેરે તેને બ્રહ્મચારી કહેવામાં આવે છે, સફેદ પહેરનારો માણસ સ્ત્રી સંતાનને છોડીને આવ્યો હોય ને મોટી ઉંમરનો હોય, તો પણ બ્રહ્મચારી કહેવાય છે. સંન્યાસી કરતાં તેનો દરજ્જો નીચો ગણાય છે. આવી ગેરસમજનો અંત આવવો જોઈએ, ને પરમાર્થના પંથમાં બધા જ પથિકો સરખા માનના અધિકારી ગણાવા જોઈએ. ગીતામાતાનું કથન આવું જ છે. એટલે સાંપ્રદાયિક ભેદભાવમાં પડ્યા વગર જીવનની ઉન્નતિ માટેની જરૂરી યોગ્યતા તરફ તે આપણું ધ્યાન ખેંચે છે.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.