if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
પ્રશ્ન : ધ્યાનની પ્રક્રિયા કેવી રીતે કરવી તે અંગે સૂચનો આપશો ?
ઉત્તર : ધ્યાનની પ્રક્રિયા માટે જરૂરી સૂચનો શિવપુરાણમાં વર્ણવેલા છે, જે આ પ્રમાણે છે:
"ભગવાન શંકરે દુર્વાસા મુનિને સંબોધીને કહેવા માંડ્યું કે હે મુનિ ! મુક્તિના મંગલમય દ્વારને ખોલી આપનાર ધ્યાનયોગની વિધિ કહી બતાવું છું તે સાંભળો. યોગની રુચિવાળા પુરૂષે પહેલાં ગુરૂને પ્રણામ કરી, પ્રાર્થના કે મંત્રનું સ્મરણ કરી, પ્રાણાયામ કરવો. પદ્માસન, સ્વસ્તિકાસન, વજ્રાસન કે બીજા કોઈક આસનનો આધાર લઈને સ્થિરતાપૂર્વક બેસવું. પછી એણે મન તથા પ્રાણને શાંત કરવાનો પ્રયાસ કરવો. ઈન્દ્રિયોમાં મન મુખ્ય છે તથા સૌનું પ્રેરક છે એટલે એને બહારના વિષયોમાં ના જવા દેવું. પ્રાણ તથા મનને બ્રહ્મરંધ્ર અથવા ભ્રૂમધ્યમાં જોડી દઈ ઓમનો ઉચ્ચાર કરી અંતઃકરણને આત્મામાં ધારણ કરી રાખવું.
ધ્યાનયોગના સાધકે નીરોગી રહેવું, અલ્પાહાર કરવો, એકાંતમાં રહેવું, ક્રોધનો ત્યાગ કરવો અને આત્માના ચિંતનમનનનો રસ કેળવવો. વળી વૈરાગ્યને દ્રઢ કરવા માટે આત્મા અને શરીરના નિત્યાનિત્યપણાનો વિચાર કરવો. શુક્ર તથા શોણિતથી ઉત્પન્ન થયેલું, મજ્જા, મેદ અને અસ્થિથી ભરેલું, નાડીસમૂહથી વીંટળાયેલું, નવ દ્વારવાળું, મળમૂત્રની દુર્ગંધીયુક્ત, જન્મમરણ ને વ્યાધિનો ગ્રાસ થનાર શરીર અનિત્ય છે. માટે એમાં પ્રીતિ અને આસક્તિ ના કરવી." ('શિવપુરાણ’ અધ્યાય ૩૫માંથી)

પ્રશ્ન : ધ્યાન ધરતી વખતે જે પરમાત્માનું ધ્યાન ધરવામાં આવે છે તેનાથી પોતાની ભિન્નતા માનવી જોઈએ કે અભિન્નતા ?
ઉત્તર : પરમાત્મતત્વથી સર્વ પ્રકારે અને સંપૂર્ણપણે અભિન્નતા માનતા હોય તો તમારાથી તે તત્વનું ધ્યાન જ નહિ થઈ શકે. એવી અવસ્થામાં ધ્યાનની સાધના કરવાનું કોઈ કારણ કે પ્રયોજન પણ નહિ રહે. વળી, પરમાત્માના સાક્ષાત્કારને માટે તો ધ્યાન કરવામાં આવે છે. એ પરમાત્માની સાથે જો તમે એકતા અથવા તો અભેદ અનુભવો તો પછીથી ધ્યાન કરવાનો અર્થ જ શો રહેશે ? એટલે સાચી હકીકત તો એ છે કે જે પરમાત્માનું ધ્યાન કરવામાં આવે છે તે પરમાત્માની સાથે જ્ઞાનદ્રષ્ટિથી મૂળભૂત એકતા માનવાની સાથે સાથે, વ્યાવહારિક દશામાં અથવા તો વાસ્તવિક રીતે એ પરમાત્માની સાથેના ભેદનો સ્વીકાર કરવો જોઈએ. ધ્યાનમાર્ગનો અભ્યાસી એવા વર્તમાન ભેદભાવનો સ્વીકાર કરીને જ એને મિટાવવા માટે આગળ વધતો હોય છે, અને એ ભેદભાવને મિટાવીને અભેદભાવને સિદ્ધ તથા સ્વાભાવિક કરવાથી જ એને શાંતિ મળે છે. એટલે મારી સમજ પ્રમાણે સાધકે પરમાત્માથી પોતાની ભિન્નતા તથા પરમાત્માની સાથેની અભિન્નતા બંનેનો ખ્યાલ રાખવો જોઈએ.

પ્રશ્ન : ધ્યાનમાં મૂર્તિ તથા મંત્રનો આધાર લેવો જોઈએ કે એ સિવાય પણ ધ્યાન થઈ શકે ?
ઉત્તર : એ પ્રશ્નના ઉત્તરનો આધાર ધ્યાન કરનારની યોગ્યતા કે ભૂમિકા પર અવલંબે છે. જો મૂર્તિ કે મંત્રના આધાર વિના મનને સ્થિર તથા શાંત કરી શકાતું હોય તો તો એમનો આધાર લેવાની જરૂર નથી રહેતી. એ દશામાં એમનો આધાર લીધા વિના જ તમે આગળ વધી શકો છો. પરંતુ મોટા ભાગના સાધકો એવી રીતે કોઈ પણ પ્રકારના આલંબન વિના પોતાના મનને સ્થિર નથી કરી શકતા. માટે જ આરંભમાં કોઈ મૂર્તિ કે મંત્રનું આલંબન લઈને આગળ વધવાનું એમને માટે આવશ્યક હોય છે. છતાં પણ એવા આધારની આવશ્યકતા સમસ્ત જીવનપર્યંત નથી હોતી. છેવટે તો બધી જાતના બાહ્ય આધારોમાંથી મુક્તિ મેળવીને સાધકે પોતાના આત્માની અંદર જ રત રહેતાં કે એકાગ્ર થતાં શીખવાનું છે. એ દશા પ્રયત્નસાધ્ય છે.
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.