વસમી શમાવી દે વેદના,
કરે શીતળ સઘળો શોક, ભક્તિ જેને મળે.
ચિંતાની કાયમી જલે ચિતા,
તેમ ભય ને ત્રિતાપ થાય ફોક, ભક્તિ જેને મળે.
કલેશો કપાય કષ્ટ કારમા,
થાય આનંદનો અતિરેક, ભક્તિ જેને મળે.
શાંતિની વર્ષા વરસી રહે,
મળે સુખ ને વ્યાપે છે વિવેક, ભક્તિ જેને મળે.
મમતા ને મોહ મટે પ્રાણનાં,
લભે સ્હેજે સંસિદ્ધિની સેજ, ભક્તિ જેને મળે.
ચંચલતા ભ્રમણા વળી ટળે,
શુષ્ક લાગે છે સ્વર્ગના ભોગ, ભક્તિ જેને મળે.
અંધારૂં ટળે છતી આંખનું,
જાય જૂનો થયેલો રોગ; ભક્તિ જેને મળે.
પરમાનંદે પ્રાણ ઊછળે,
કહે 'પાગલ’ પૂરો થાય યોગ, ભક્તિ જેને મળે.
- શ્રી યોગેશ્વરજી (કાવ્યસંગ્રહ 'આરતી' માંથી)

